રાજકોટમાં ઘૂંટણના સાંધાનું ઓપરેશન બે વખત કરાવ્યા છતાં પણ શારિરીક સમસ્યાથી ત્રસ્ત મહિલાએ ટૂંકાવ્યુ જીવન
રાજકોટમાં શારીરિક પીડાથી ત્રસ્ત મહિલાએ આત્મહત્યા કરી
પદ્મકુંવરબા હોસ્પિટલના ઇન્ચાર્જ મેટ્રને આત્મહત્યા કરી
એરપોર્ટ રોડ પર રહેતા હેમલતાબેન કનેરીયાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી
રાજ્યમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. આર્થિક ભીંસમાં કે પછી માનસિક રીતે પરેશાનીને કારણે લોકો આપઘાત કરવા તરફ પ્રેરાઇ રહ્યા છે. તેમાં પણ પરીક્ષામાં ફેઇલ થવાના ડરથી પણ વિદ્યાર્થી આપઘાત કર્યાના બનાવો આપણે જોયા છે. ત્યારે રાજકોટમાં એક હોસ્પિટલના ઇન્ચાર્જ મેટ્રને શારીરીક પીડાથી ત્રસ્ત થઇને આપઘાત કરી લેતા ચકચાર મચી છે.
ઘૂંટણનું ઓપરેશન સફળ ન રહેતા આપઘાત
રાજકોટમાં શારીરિક પીડાથી ત્રસ્ત મહિલાએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પદ્મકુંવરબા હોસ્પિટલના ઇન્ચાર્જ મેટ્રને આત્મહત્યા કરી લીધી. એરપોર્ટ રોડ પર રહેતા હેમલતાબેન કનેરીયાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતા પરિવારમાં ભારે દુઃખની લાગણી ફરી વળી છે. મૃતકના ઘૂંટણનું ઓપરેશન સરખુ ન થતા આત્મહત્યા કરી લીધી. જો કે એક સુસાઇડ નોટ પણ મળી આવી છે જેમાં તેમણે ઓપરેશનમાં તબીબની બેદરકારીનો ઉલ્લેખ કર્યો છે.
સુસાઇડ નોટમાં તબીબની બેદરકારીનો ઉલ્લેખ
સુસાઇડ નોટમાં ઓર્થોપેડિક સર્જન વિમલ કોઠારીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોતાના પગના ઓપરેશનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ઓપરેશનના 13 મહિના બાદ પણ ઘૂંટણમાં દુઃખાવો રહેતો હતો. આ અંગે પરિવારે વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેને ઘૂંટણની તકલીફ હતી. સાંધાના બે ઓપરેશન કરાવ્યા હતા. પહેલુ ઓપરેશન રાજકોટમાં કરાવ્યુ હતું જે નિષ્ફળ રહ્યું. એટલે બીજુ ઓપરેશન અમદાવાદ કરાવ્યુ હતું. પરંતુ હાડકુ ખૂંચતુ હોવાની ફરિયાદ કરતા હતા. તેઓ ડિપ્રેશનની પણ દવા લઇ રહ્યા હતા. હાલ ઘટનાને પગલે ગાંધીગ્રામ પોલીસે સુસાઇડ નોટ કબજે લઇને વધુ તપાસ હાથ ધરી છે.