રાજ્યમાં આજે અલગ અલગ જગ્યાએ ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કુલ 6 લોકોના મોત અને 157થી વધુ ઇજાગ્રસ્ત થયા છે.
વડોદરાના જામ્બુવા બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના, મહિલાનું મૃત્યુ
મહેસાણા-અમદાવાદ હાઈવે પર દુર્ઘટના: 2 મહિલાઓના મૃત્યુ
કાણોદર નજીક બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 3 લોકોના મોત
ગુજરાત માટે આજે રવિવારનો દિવસ અપશુકનિયાળ સાબિત થયો છે. કારણ કે આજે ત્રણ અલગ-અલગ અકસ્માતમાં કુલ 6 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 17થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
મહેસાણા-અમદાવાદ હાઈવે પર દુર્ઘટના: 2 મહિલાઓના મૃત્યુ
મંડાવી ગામ નજીક કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. પુરપાટ ઝડપે જતી કાર અથડાયા બાદ પલટી ગઈ. આ અકસ્માતમાં કારસવાર 2 મહિલાઓના મૃત્યુ થયા છે, જ્યારે 2ને ઈજા પહોંચી છે.
વડોદરાના જામ્બુવા બ્રિજ પર હિટ એન્ડ રનઃ મહિલાનું મૃત્યુ
વડોદરાના જામ્બુવા બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક અજાણ્યા વાહનચાલકે બાઈક સવાર દંપતિને અડફેટે લેતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે આ અકસ્માતમાં મહિલાના પતિનો આબાદ બચાવ થયો છે. અકસ્માત સર્જાતા હાઈવે પર 10થી 15 કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ સર્જાઇ ગયો હતો. તમને જણાવી દઇએ કે, આ અકસ્માતમાં વાહનચાલક ફરાર થઇ ગયો છે.
કાણોદર નજીક બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 3 લોકોના મોત
બીજી બાજુ આજે પાલનપુરના કાણોદર નજીક એક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે વહેલી સવારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં 3 લોકોના મોત અને 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની વિગત એવી છે કે, કાણોદર નજીક ઉભેલી એક ટ્રક પાછળ રાજસ્થાનથી અમદાવાદ જતી લક્ઝરી બસ ઘૂસી જતા બસમાં સવાર 3 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે આ અકસ્માતમાં 15 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. જેઓને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જો કે, મોતનો આંક હજુ વધે તેવી શક્યતાઓ છે.
પાલનપુર તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જણાવી દઇએ કે, બસ રાજસ્થાનથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે આખરે કેવી રીતે એક ઉભેલી ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસી ગઈ તે એક તપાસનો વિષય છે. આખરે એવું શું થયું કે લક્ઝરી બસે ઉભી રહેલી ટ્રકને પાછળથી ટક્કર મારી દીધી.
એકાદ દિવસ અગાઉ ડીસાના ભોયણ નજીક અકસ્માત સર્જાયો હતો
એકાદ દિવસ અગાઉ ડીસાના ભોયણ નજીક બસ અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ધાનેરા-અમદાવાદ જતી બસનો અકસ્માત થયો હતો. જેમાં અકસ્માત બાદ બેકાબુ બસ ડિવાઈડર કૂદીને નીચે ઉતરી ગઇ હતી. આ અકસ્માત સમયે બસમાં 40 જેટલાં મુસાફરો સવાર હતાં. જીપ ચાલકને ગંભીર ઈજાઓ બાદ હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ ટૂંકી સારવાર બાદ જીપ ચાલકનું મૃત્યુ થયુ હતું.