એક ફૂલ દો માલીની જેવી ઘટના સામે આવી છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી શ્રમિક પરિવારનું અપહરણ કર્યાનો પોલીસ કોન્ટ્રોલ રૂમને મેસેજે મળતાની સાથે જ સરખેજ પોલીસ અને ક્રાઈમ બ્રાંચ મધરાત્રીએ દોડતી થઈ હતી. ત્યારે જાણો શું છે અપહરણ પાછળનું કારણ...
અમદાવાદમાં અપહરણની ઘટના બની હતી
પૂર્વ પતિ જ મહિલા અને બાળકને ઉઠાવી ગયો હતો
પોલીસની સમય સુચકતાના કારણે પરણિતા મહિલાનો છુટકારો
ગઈ મધરાત્રીએ પોલીસ કંટ્રોલ રૂમને એક કોલ આવ્યો હતો કે ટ્રાવેરા કારમાં એક મહિલા સહિત એકમાસના બાળકનું અપહરણ કરીને લઇ જવામાં આવી રહ્યા છે. આ મેસેજ મળ્યાની સાથે જ સરખેજ પોલીસ અને અમદવાદ ક્રાઇમ બ્રાંચ પ્રહલાદનગરમાં આવેલ છાપરામાં પહોંચ્યા હતા. જ્યાંથી બનાવની તમામ હકીકતો મેળવીને પોલીસ કામે લાગી ગઈ હતી. પોલીસે કારના નંબર અને આરોપીના મોબાઈલ નંબરના આધારે ઇડર પાસે આરોપીઓને ઝડપી લીધા હતા.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા મોરિયો ભરથરી, સુરેશ ભરથરી, પ્રકાશ ભરથરી અને અન્ય એક મહિલાની ધરપકડ કરી હતી. ત્યારે વધુ ચાર ફરાર આરોપીની શોધખોળ સ્થાનિક પોલીસે શરુ કરી છે. આ તમામ આરોપીઓ ગઈ મધરાત્રીએ પ્રહલાદનગરમાં આવેલ શ્રમિકના છાપરામાં ટ્રાવેરા કાર લઇને આવ્યા હતા. ભોગબનનાર મહિલા સહીત તેના એક માસના બાળકને અપહરણ કરી લઇ ગયા હતા. સાથે જે વર્તમાન પતિને ઢોરમાર પણ માર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અપહરણ કરનાર અન્ય કોઈ નહિ પણ મહિલાનો પૂર્વ પતિ હતો. મહિલાનું અપહરણ કરવા પાછળનું કારણ એ હતું કે ભોગબનનાર મહિલા થોડા વર્ષ પહેલા પોતાના પતિ મોરિયો ભરથરીને તરછોડીને અમદાવાદમાં જગદીશ ભરથરી સાથે રહેવા લાગી હતી. બંનેને એક માસનું બાળક પણ થયું હતું. બસ આ વાતની અદાવત રાખીને પૂર્વ પતિએ અપહરણનું કાવતરું રચી નાખી ગુનાને અંજામ આપી દીધો હતો. પરંતુ પોલીસની સમય સુચકતાના કારણે પરણિતા મહિલાનો છુટકારો કરાવ્યો હતો.