જામનગર શહેરના તળાવ પાસે રેકડી અને પાથરણાંવાળા નાના ધંધાર્થીઓને કોર્પોરેશનના અધિકારીઓ હેરાન કરતા હતા. આ નાના વેપારીઓએ પોતાના કોર્પોરેટરને રજૂઆત કરી હતી. તેને લઈને કોર્પોરેટર રચનાબેન કોર્પોરેશનની કમિશ્નર કચેરીમાં લાકડી લઈને ઘૂસી આવ્યા હતા અને તોડફોડ મચાવી હતી.
ભાજપના કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ રણચંડીનું રૂપધારણ કરી કમિશ્નરની ચેમ્બરમાં લાકડીથી તોડફોડ કરી હતી. તેમણે કહ્યું કે, હું પોલીસથી ડરતી નથી. જો કે અગાઉ અમદાવાદમાં ભાજપના ધારાસભ્ય પછી રાજકોટમાં ભાજપના કોર્પોરેટરની મહિલાઓ પર દબંગગીરી કરી ચુક્યાના કિસ્સા હજુ તાજા છે. ત્યાં ફરી અહીંયા સત્તાના નશામાં મહિલા કોર્પોરેટરે જ સરકારી ઓફિસર પર દાદાગીરી કરી હતી.
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં વોર્ડ નંબર-4ના કોર્પોરેટર રચનાબેન મનપા સંકુલમાં લાકડી લઈ સીધા જ આસી.કમિશ્નર મુકેશ વરણવાની ચેમ્બરમાં ગયા હતા. આસી.કમિશ્નર કંઈ સમજે તે પહેલાં જ ટેબલ પર પડેલી ફાઈલો પર લાકડી મારવાનું શરૂ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, તળાવની પાળ પર ટ્રાફીકને અડચણરૂપ ન થાય તે રીતે 10 રેંકડીધારકો ઉભા રહે છે. વાવાઝોડા પહેલા ખાણીપીણીના રેંકડીધારકો તૈયાર કરી આ મુદે એસ્ટેટ કન્ટ્રોલીંગ અધિકારીને રજૂઆત કરવા ગયા હતાં. પરંતુ તેઓ કામમાં હોવાથી મળી શક્યા ન હતાં.
આથી આ બાબતે મે ડેપ્યુટી મ્યુ.કમિશ્નરને રજૂઆત કરી હતી. જો આ રેંકડીધારકોને દૂર કરવામાં કે તેનો માલ જપ્ત કરાશે તો ઉગ્ર પગલાંની ચિમકી આપી હતી. તેમ છતા વારંવાર હેરાન કરાતા કોર્પોરેટર ઉશ્કેરાયા હોવાની વાત સામે આવી છે. જો કે આ મામલે હજુ કોઈ પોલીસ ફરિયાદ કરાઈ નથી.