રાજકોટ પોલીસ મથકમાં મહિલા કરેલા આપઘાત મામલે ઝોન-1ના DCP પ્રવિણકુમાર મીણાએ ખુલાસો કર્યો છે.
રાજકોટમાં પોલીસ સ્ટેશનમાં મહિલાનો આપઘાત મામલો
રવિ સાથે સંબંધ હોવાથી મહિલાને પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં બોલાવાઈ હતી
પોલીસ મથકમાં જ મહિલાએ કરી લીધો આપઘાત
રાજકોટ પોલીસ મથકમાં નયનાબેન નામની મહિલાએ આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી હતી. મહિલાના આત્મઘાતી પગલાં પાછળના કારણ અંગે ઝોન-1ના DCP પ્રવિણકુમાર મીણાએ મીડિયા સમક્ષ ખુલાશો કરી જણાવ્યુ હતું કે પ્રેમસબંધ હોવાની શંકાએ મહિલાને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી જ્યાં મહિલાએ રાત્રે ઘરે ન જવાનું કહી પોલીસ મથકમાં જ આપઘાત કરી લિધો હતો. જેને પગલે પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલાને પતિ સાથે ઝઘડો થવાનો ભય હોવાથી ઘરે જવાની ના પાડી હતી
આજીડેમ પોલીસ સ્ટેશનમાં બાથરુમાં યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે DCP ઝોન 1 પ્રવીણ કુમાર મીણાએ ખુલાશો કરતાં જણાવ્યું હતું કે રાજકોટના મુકેશ નામના વ્યક્તિએ પોતાને રવિ નામના યુવાને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની પૂછપરછ દરમિયાન મુકેશ વધુ માહિતી આપતો ન હતો. જેમાં મુકેશે નયનાબેન અને રવિ બંને વચ્ચે સંબંધ હોવાની પોલીસને માહિતી આપી હતી. રવિ સાથે સંબંધ હોવાથી આપઘાત કરનાર મહિલાને પૂછપરછ અર્થે પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવી હતી. પૂછપરછ બાદ મહિલાએ પોતાના ઘરે જવાની મનાઈ કરી હતી. મહિલાને પતિ સાથે ઝઘડો થવાનો ભય હોવાથી ઘરે જવાની ના પાડી હતી અને મહિલાએ પોલીસ સ્ટેશનમાં આશરો આપવાની કાકલૂદી કરતાં પોલીસે તેને પોલીસ મથકમાં જ આશરો આપ્યો હતો.
મહિલાએ બાથરૂમમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી
પોલીસ સ્ટેશનમાં મહિલાની સાથે મહિલા પોલીસકર્મીઓ પણ પોલીસ મથકમાં હતા અને આ અંગેના CCTV ફૂટેજ પણ હાજર હોવાનું DCPએ જણાવ્યુ હતું. ત્યારબાદ પોલીસ સ્ટાફ દ્વારા મહિલાને સવારે ઘરે જવાનું કહેવામાં આવ્યું હતું. જેથી ફ્રેશ થવાનું કહી મહિલા વૉશરુમમાં ગઈ હતી. જ્યાં બાથરૂમમાં જ તેણીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ થતાં ડીસીપી સહિત ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા.ત્યારબાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી કાર્યવાહી આગળ ધપાવી છે.
પોલીસની કામગીરી સામે સો મણના સવાલો
આ પ્રકરણમાં પોલીસની કામગીરી સામે પણ શંકાની સોઈ તણાઇ રહી છે. લોકોમાં ચર્ચાતી વિગત અનુસાર મહિલાને રાત્રિના સમયગાળા દરમિયાન કેમ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી ? વધુમાં મહિલાની પૂછપરછ મહિલા પોલીસને સોંપવાને બદલે આજીડેમ પોલીસે કેમ રાખી? તે પણ એક અણીયારો સવાલ છે. મહત્વનું એ પણ છે કે મહિલાએ પતિ સાથે ઝઘડાના સંકેતો આપ્યા હોવા છતા પોલીસે તેણીને ઘરે સલામત પહોચાડવાને બદલે પોલીસ મથકમાં કેમ રાખી?, આજીડેમ પોલીસ સ્ટેશનના અધિકારીઓ શું કરી રહ્યા હતા. આમ પોલીસની નીતિ-રીતિ સામે લોકોમાંથી અનેક સવાલો ઉઠી રહ્યા છે.