પુત્ર મોહમાં સાસરિયાં પરિણીતાને મારઝૂડ કરતા હોય કે મ્હેંણા મારતા હોય તેવી અનેક ઘટના તમે જોઈ સાંભળી હશે. પરંતુ વસ્ત્રાલમાં દીકરીનો જન્મ ના થતા સાસરિયાંએ ત્રાસ આપતા પરણિતાએ આપઘાત કરી લીધો. એક વર્ષના માસૂમ પુત્રની બર્થ ડેના બે દિવસ અગાઉ જ માતાએ આ પગલું ભર્યું હતું. રામોલ પોલીસે કરૂણ ઘટનાને લઈને મૃતકના પતિ અને સાસુ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી.
દીકરાના પ્રથમ બર્થડેના બે દિવસ પહેલા માતાનો આપઘાત
દીકરીને જન્મ નહિ આપતા સાસરીયા આપતા હતા ત્રાસ
એક વર્ષના દીકરાએ માતાનો પ્રેમ ગુમાવ્યો
અમદાવાદનાં રામોલમાં એવી ઘટના બની જેમાં સાસરિયાનાં ત્રાસને લીધે પરણીતાએ જીવન ટુકાવ્યું. તેનું કારણ હતું કે સાસરીયાવાળાને પરિણીતા પાસેથી દીકરી પ્રાપ્તિની ઘેલછા હતી. ઈશ્વરે પરણીતાને પુત્ર આપતા તેની પર ત્રાસ આપવાનું શરૂ કરી દેવાયું હતું. દુઃખની વાત એ છે કે પરિણીતાએ કંટાળીને તેના પુત્રના જન્મદિવસના બે દિવસ પહેલા જ આત્મહત્યા કરી લીધી હતી. દીકરાના જન્મ વખતે સાસુએ મ્હેણું માર્યું કે, મારે દીકરી જોઇતી હતી. દીકરી જણી ના શકાય તો મરી કેમ જતી નથી તેવું કહ્યું હતું.
શું છે સમગ્ર ઘટના?
અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં રહેતા બાબુભાઈ સોલંકીની પુત્રી ભાવના બહેનના વર્ષ 2018માં લગ્ન વસ્ત્રાલ ખાતે રહેતા જીતુ વાઘેલા સાથે થયા હતા. જીતુ સફાઈ કામદાર છે. ત્રણ વર્ષના લગ્ન જીવનમા ભાવનાબેનને સંતાનમાં કાયરવ નામનો એક વર્ષનો પુત્ર છે. લગ્નના ત્રણ માસ બાદથી ભાવનાબહેનને તેની સાસુ મણીબેન કામ બાબતે ઠપકો આપી ત્રાસ આપતા હતા. આ બાબતે ભાવના બહેન તેમના પિયરમાં ફરિયાદ કરે તો સંસાર ન બગડે તે માટે તેમને સમજાવીને પિયરજનોએ પરત સાસરે મોકલતા હતાં. ભાવના બહેન તેમની સાસુને કઈ કહે તો પતિ તેની માતાનું ઉપરાણું લઈને માર મારતો અને પિયર આવવા દેતો નહિ.
પુત્ર મોહના બદલે પુત્રીનો કેમ હતો મોહ ?
હદ તો ત્યારે થઈ કે સાસુને દીકરી જોઈતી હતી. પરંતુ ભાવનાબેનને દીકરાનો જન્મ થયો. જેથી સાસુએ તેને ત્રાસ આપવાનુ શરૂ કર્યુ હતું. દીકરી મોહનુ કારણ એવુ હતુ કે મણીબેનની મોટી દીકરીનુ અવસાન થયુ હતુ. તે દીકરીનો જન્મ થાય તો પોતાની મૃતક દીકરી ઘરે પરત ફરે તેવી અંધશ્રધ્ધામાં ભાવનાબેનને ત્રાસ આપતા હતા.
એક વર્ષના દીકરાએ માતાનો પ્રેમ ગુમાવ્યો
ત્રણ વર્ષના લગ્ન જીવનમા ભાવનાબેનને સાસુ અને પતિ જીતુનો ખુબજ ત્રાસ હતો. પતિ રાત્રે બીયર પણ પીવડાવતો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. આ ઘટનાના દિવસની વાત કરીએ તો ભાવનાબેનના પુત્રનો પ્રથમ જન્મદિવસ 9 જાન્યુઆરીના રોજ આવતો હતો. જેથી ભાવનાબેને દીકરાનો જન્મદિવસ ઉજવવા માટે પતિ અને સાસુને કહ્યુ અને દીકરા માટે કપડા અને ગીફટ ખરીદવાની વાત કરી હતી. પરંતુ દીકરીના મોહમાં સાસુએ ભાવનાબેને મ્હેણા-ટોણા એવા માર્યા કે દીકરાનો જન્મ દિવસ ઉજવે તેના બે દિવસ પહેલા જ અંતિમ પગલુ લીધું. એક વર્ષના કાયરવ માનો ખોળા માટે તરસી રહ્યો છે. જ્યારે ભાવનાબહેનની માતા અને ભાઈ-બહેનો પણ ન્યાયની અપીલ કરી રહ્યા છે. રામોલ પોલીસે આ કરૂણ ઘટનામા ભાવનાબેનના પતિ જીતુ વાઘેલા અને સાસુ મણીબેન વાઘેલા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી.
પતિ અને સાસુ એક વર્ષના દીકરાને લઇને થઇ ગયા ફરાર
ભાવનાબેનના આત્મહત્યા બાદ પતિ અને સાસુ એક વર્ષના કાયરવને લઈને ફરાર થઈ ગયા છે. પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.