ગઈકાલે રાજકોટમાં બે પોલીસ કર્મીઓના મૃતદેહ મળી આવ્યા હતા. મહિલા ASI અને કોન્સ્ટેબલની આત્મહત્યાના આ મામલે નવો વળાંક આવ્યો છે. જે રૂમમાંથી બન્નેના મૃતદેહ મળી આવ્યા છે તે જગ્યા પરથી બીજી પિસ્તોલ મળી આવી છે. આ પિસ્તાલ અન્ય ASIની હોવાનું સામે આવતા ઘટનાનું રહસ્ય વધારે ગૂંચવાયું છે. હાલ પોલીસ આત્મહત્યા અને હત્યાની આશંકાએ તપાસ ચલાવી રહી છે.
પરંતુ પ્રાથમિક તપાસમાં રાજકોટમાં બે પોલીસકર્મીઓ વચ્ચે પ્રેમ પ્રકરણને કારણે આત્મહત્યા કરી હોવાનું મનાઇ રહ્યું હતું. રાજકોટમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા એ.એસ.આઇ અને ડી સ્ટાફમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે સર્વિસ રીવોલ્વરમાંથી ગોળી મારી આપઘાત કરી લીધો તેવું સામે આવ્યું હતું. પરંતુ આ ઘટના બાદ નવો વળાંક સામે આવ્યો છે. જ્યાંથી બન્નેના મૃતદેહ મળી આવ્યા છે ત્યાં વધુ એક પિસ્તોલ મળી આવી છે. પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ગુજરાત હાઉસિંગ બોર્ડનાં પંડીત દીન દયાલ આવાસ યોજનામાં ઇ-402માં રહેતી અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતી ખુશ્બુ રમેશ કાનાબાર અને મવડી હેડ કવાર્ટરમાં રહેતા અને કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રવિરાજસિંહ અશોકસિંહ જાડેજાના મૃતદેહ મળી આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, કોન્સ્ટેબલ રવિરાજાસિંહ જાડેજા અને ASI ખુશ્બુ કાનાબાર વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો. જોકે રવિરાજસિંહ જાડેજા પરિણીત હતો અને તેને ત્રણ વર્ષની બાળકી પણ છે. રવિરાજસિંહ છેલ્લા આઠ વર્ષથી પોલીસમાં ફરજ બજાવી રહ્યા હતા. જ્યારે ખુશ્બૂ ત્રણ વર્ષથી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી હતી.
પોલીસનું પ્રાથમિક તારણ હતું કે, બન્ને વચ્ચેનો પ્રેમ સબંધ આપઘાત પાછળ કારણભુત હોઇ શકે છે. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે ઘટનાસ્થળેથી બીજી પિસ્તોલ મળી આવતા રહસ્ય વધારે ગૂંચવાયું છે. આ આત્મહત્યા કે હત્યા? તે તપાસ બાદ જ સામે આવશે.