રાષ્ટ્રીય રાજનીતિમાંથી જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં પાછા ફરવાનો સંકેત આપ્યો
જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ગણતરીના કલાકોમાં એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, તેઓ જમ્મુ-કાશ્મીર પરત ફરીને પોતાની પાર્ટી બનાવશે. આઝાદે ભાજપમાં જોડાવાના અહેવાલોને પણ નકારી કાઢ્યા છે.
ગુલામ નબી આઝાદ નવી પાર્ટી બનાવશે
ગુલામ નબી આઝાદે કહ્યું કે તેઓ નવી પાર્ટી બનાવશે. આ સાથે તેમણે ફરી એકવાર રાષ્ટ્રીય રાજનીતિમાંથી જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં પાછા ફરવાનો સંકેત આપ્યો છે. આઝાદે કહ્યું, હું જમ્મુ પણ જઈશ, કાશ્મીર પણ જઈશ. તેમણે કહ્યું, અમે જમ્મુ-કાશ્મીરમાં અમારી પાર્ટી બનાવીશું. આ પછી અમે રાષ્ટ્રીય સ્તરે પણ જોઈશું.
ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે, મારા વિરોધીઓ છેલ્લા 3 વર્ષથી કહી રહ્યા છે કે, હું ભાજપમાં જાઉં છું. એટલેથી નહી અટકતા તેઓ એ તો મને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ બનાવી દીધો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષના નિવેદન પર ગુલામ નબી આઝાદે કહ્યું કે, અમારા તમામ પક્ષો સાથે સારા સંબંધો છે. અમે ક્યારેય કોઈની સાથે દુર્વ્યવહાર કર્યો નથી. અમે તમામ પક્ષોનું સન્માન કરીએ છીએ. એટલા માટે તમામ પક્ષો મારા માટે સન્માનની ભાવના ધરાવે છે.
ગુલામ નબી કોંગ્રેસમાંથી "આઝાદ"
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા તેમના રાજીનામાના પત્રમાં ગુલામ નબી આઝાદે કહ્યું કે, ખૂબ જ અફસોસ અને ખૂબ જ ભાવુક હૃદય સાથે, મેં કોંગ્રેસ સાથે ઘણા વર્ષો જૂના સંબંધો તોડવાનો નિર્ણય કર્યો છે. આઝાદે કહ્યું કે 'ભારત જોડો યાત્રા'ને બદલે 'કોંગ્રેસ જોડો યાત્રા' કાઢવામાં આવે.
"It is therefore with great regret and an extremely leaden heart that I have decided to sever my half a century old assocation with Indian National Congress," read Ghulam Nabi Azad's resignation letter to Congress interim president Sonia Gandhi pic.twitter.com/X49Epvo1TP
ગુલામ નબી આઝાદે સોનિયા ગાંધીને લખેલા રાજીનામાના પત્રમાં રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. આઝાદે લખ્યું છે કે, તેઓ કોઈપણ સ્વાર્થ વગર ઘણા દાયકાઓ સુધી પાર્ટીની સેવામાં લાગેલા છે. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, સોનિયા ગાંધીના નેતૃત્વમાં પાર્ટી સારૂ પ્રદર્શન કરી રહી છે, પરંતુ કમનસીબે રાહુલ ગાંધીની પાર્ટીમાં એન્ટ્રી થઈ ત્યારથી તેમણે પાર્ટીમાં વાતચીતની આખી બ્લુપ્રિન્ટને બરબાદ કરી દીધી. તમામ વરિષ્ઠ અને અનુભવી નેતાઓને સાઈડલાઈન કરવામાં આવ્યા હતા.