કોરોનાના વધતા હાઉ વચ્ચે આજે એક સાથે રાજ્યમાં 90 પોઝીટીવ કેસ સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે. બીજી બાજુ આરોગ્યતંત્ર પણ કાર્યવાહીમાં જોતરાયું છે.
રાજ્યમાં આજે કોરોનાના 90 કેસ નોંધાયા
અમદાવાદ શહેરમા 49 કેસ નોંધાયા
મહેસાણામાં 10 સુરતમા 6 કેસ નોંધાયા
કમોસમી વરસાદની આગાહીને પગલે રાજ્યભરમાં ધાબડીયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ક્યાંક છૂટોછવાયો વરસાદ પણ નોંધાયો છે ત્યારે આવી સ્થિતી વચ્ચે રોગચાળાએ માથું ઊંચક્યું છે. જેને લઈને કોરોનાના કેસોમાં પણ મોટાપાયે વધારો નોંધાયો છે. આથી લોકોમાં ભયનું લખલખું ફેલાયું છે. રાજ્યમાં આજે કોરોનાના એકસામટા 90 કેસ નોંધાયા છે. જેમાં એકલા અમદાવાદ શહેરમા જ 49 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. બીજી બાજુ મહેસાણામાં 10 લોકોને કોરોના વળગ્યો છે. તો સુરતમા કોરોનાના 6 પોઝીટીવ કેસ નોંધાયા છે.
એ જ રીતે સાબરકાંઠા અને વડોદરામા 5-5 કેસ સામે આવ્યા છે અને પોરબંદરમાં બે કેસ તો અમરેલીમા 1 કેસ અને ભરૂચ -વલસાડમં 1-1 કેસા નોંધાયા છે. હાલ રાજ્યમાં 336 એક્ટિવ કેસ હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે. આજે 1154 લોકોનું રસીકરણ કરાયું છે.
ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ફ્લુના કેસમાં 30થી 40 ટકા વધારો
બીજી બાજુ ગુજરાત સહિત દેશભરમાં H3N2ના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને રાજકોટમાં H3N2 ફ્લૂના કેસને લઇ તબીબોને રસી આપવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટના તબીબોને H1N1ની રસી આપવાની તૈયારી પણ આરંભી દેવામાં આવી છે. મહત્વનું છે કે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ફ્લૂના કેસમાં 30થી 40 ટકાનો વધારો નોંધાયો છે. આથી ફ્લૂના કેસમાં વધારો થતા તબીબોને રક્ષણ આપવા માટે H1N1 ફલૂની રસી આપવા નિણર્ય કરાયો છે.
રાજકોટના તબીબોને આપવામાં આવશે રસી
H3N2 વાયરસને લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. આ અંગે સિવિલમાં OPD અને આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો છે. બીજી બાજુ અગમચેતી અને સંભવિત ખતરાને ખાળવા માટે સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા 500 ટેસ્ટીંગ કીટની પણ માગ કરવામાં આવી છે.