શિયાળો શરૂ થઇ ગયો છે. વહેલી સવારે વાતાવરણમાં થોડીક ઠંડક જોવા મળી રહી છે. એવા સમયમાં શિયાળામાં શાકભાજીથી લઇ ફળ ખાવાનો સૌથી શ્રેષ્ઠ સમય આવી ગયો છે. શિયાળામાં લીલી ભાજીથી લઇ આમળાં સુધી તમામ વસ્તુઓ સરળતાથી મળી જાય છે.
આમળા ખાવાથી થાય છે ફાયદા
આમળા શિયાળાનું ઔષધ છે
આમળાં સ્વાદમાં ખાટાં હોય છે, પરંતુ સ્વાસ્થ્ય માટે તે સૌથી વધારે ફાયદારૂપ છે. શિયાળામાં સહેલાઇથી મળતાં આમળાં ખૂબ જ ગુણકારી ફળ માનવામાં આવે છે. આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે આમળાં એ દરેક પ્રકારના દર્દની દવા છે. આમળાં આપણા શરીરમાં પાચનતંત્રથી માંડીને યાદશક્તિ સુધીની દરેક સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. ડાયાબિટીસ પર કાબૂ મેળવવા માટે પાંચથી દસ મિલિગ્રામ આમળાંના રસમાં પાંચ મિલિગ્રામ હળદર ઉમેરી સવારે ખાલી પેટે પીવાથી ફાયદો થાય છે.
આમળાંમાં અસંખ્ય ઝીણાં કાણાં પાડી તેને ત્રીસ દિવસ સુધી મધમાં પલાળી રાખી રોજ આવાં બે આમળાં ખાવાથી તે સ્વાસ્થ્ય માટે ટોનિકનું કામ કરે છે. આમળાંમાં ઓરેન્જથી વધારે વિટામિન-સી મળે છે. આમળાંમાં અનેક એવાં ન્યૂટ્રીઅન્ટ્સ છે, જે હેલ્થ માટે ફાયદાકારક છે. ડોક્ટર્સ અને ડાયટિશિયન પણ રોજ આમળાંનો રસ પીવાની સલાહ આપે છે.
• દરરોજ આમળાંનો રસ પીવાથી માત્ર 10 જ દિવસમાં તેની શરીર પર પોઝિટિવ અસર જોવા મળે છે. આમ તો આજકાલ બજારમાં આમળાંનો રસ સરળતાથી મળી જાય છે, પરંતુ ઘરમાં બનેલ તાજો આમળાંનો રસ જ પીવો વધારે ફાયદારૂપ છે.
• આમળાંનો રસ પીવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ થાય છે. હાર્ટ પ્રોબ્લેમથી બચાવવામાં મદદ મળે છે.
• આમળાંના રસમાં એિન્ટ-ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ હોય છે, જે ઘૂંટણના દુખાવા સહિત તમામ પ્રકારના સાંધાના દુખાવાથી રાહત અપાવવામાં મદદ કરે છે.
• આમળાંના રસમાં ફાઇબરની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. આ રસ પીવાથી ડાઇજેશન સારું રહે છે, કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે.
• આમળાંનો રસ પીવાથી બોડીના ટોક્સીન્સ દૂર થાય છે, સ્કિનની ચમક વધે છે, વાળ કાળા-ઘટ્ટ બનવામાં મદદ કરે છે.
• રોજ આમળાંનો રસ પીવાથી મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થાય છે, વજન ઘટાડવામાં મદદ મળે છે.