એક બાજુ દેશમાં મોટાં ભાગનાં રાજ્યમાં ગરમીનો કહેર વધી રહ્યો છે તો બીજી બાજુ દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ ભારતનાં કેટલાંય રાજ્યમાં ત્રણ દિવસ સુધી તોફાની પવનો ફૂંકાવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પહાડો પર પણ ભારે વરસાદ અને હિમવર્ષા આજે પણ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે. જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સપ્તાહે દેશના કોઈ પણ ભાગમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે નહીં.
હવામાન વિભાગના કહેવા મુજબ, ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન 9 થી 12 ડિગ્રીની વચ્ચે રહેશે. બીજી બાજુ હિમાચલ પ્રદેશના કેટલાય વિસ્તારોમાં હિમપ્રાત થતાં ચાર નેશનલ હાઈવે સહિત કુલ 176 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારે હિમવર્ષાનાં કારણે રાજ્યના 470 વીજ પ્લાન્ટ અને 10 વોટર સપ્લાય પ્લાન્ટ ઠપ થઈ ગયા છે. કેદારનાથ મંદિર પર પાંચ ફૂટ બરફની ચાદર છવાઈ ગઈ છે.
હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં તાપમાનમાં ઘટાડો અને પહાડી-મેદાની વિસ્તારોમાં જુદાં જુદાં સ્થળોએ વીજળી પડવાનું યલો એલર્ટ જાહેરકર્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે કાશ્મીર ખીણને દેશના અન્ય ભાગો સાથે જોડતો એક માત્ર 270 કિલોમીટર લાંબો જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે નં-1 બ્લોક કરી દેવામાં આવ્યો છે. મોટાપાયે પથ્થરની શીલા પડવાથી આ નેશનલ હાઈવે પર પંથિયાલ કેફેટેરિયા મોડ અને દલવાસ નજીક 200 થી વધુ વાહન ફસાઈ ગયાં છે. જોકે કાટમાળ હટાવવાનું કામ હાલ યુદ્ધનાં ધોરણે ચાલી રહ્યું છે.
હિમાચલ પ્રદેશ ડિઝાસ્ટર મેનેજમેન્ટે શું કહ્યું ?
હિમાચલ પ્રદેશના સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જમાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન લાહૌલ-સ્પિતિ, કિન્નૌર, ચંબા, કુલ્લૂમાં નવેસરથી હિમવર્ષા થઈ છે. લાહૌલ-સ્પિતિમાં માઈનસ 3.5ડિગ્રી નોંધાયું છે. જ્યારે હિમાચલના અન્ય વિસ્તારોમાં જોઈએ તો, મનાલીમાં 2.6 ડિગ્રી, કુફરીમાં 2.2 ડિગ્રી, કિન્નૌરના કલ્પામાં માઈનસ 0.4 ડિગ્રી, નારકંડામાં માઈનસ 0.20 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હિમાચલમાં મધ્યમ અને નીચી ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં રોકાઈ રોકાઈને વરસાદ ચાલુ છે. મનાલીમાં 38 મિલીમીટર (એમએમ), સિયોબાગમાં 15 એમએમ, ચંબામાં 11 એમએમ, ભૂંતરમાં 10.5એમએમ વરસાદ થયો છે.
ભીષણ ગરમી માટે દેશ તૈયાર રહેઃ હવામાન વિભાગની ચેતવણી
ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, હવે ઠંડી વિદાય લઈ રહી છે અને ગરમીની એન્ટ્રી થઈ રહી છે. યુએસ નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA)ની લેટેસ્ટ આગાહી અનુસાર, જૂન, જુલાઈ અને ઓગસ્ટના મહિનામાં અલ નિનોની સ્થિતિ પ્રબળ હોવાની 50 ટકા શક્યતા છે. નિનો પ્રભાવ હેઠળ ભારતમાં ભીષણ ગરમી પડી શકે છે એવું હવામાન વિભાગે જણાવ્યું છે.