રાજ્યમાં વાતારવણમાં પલટો આવતા લોકોને ગરમીથી રાહત મળી છે. ત્યારે હવે વાતાવરણ પલટાને લઈને હવામાન વિભાગની આગાહી કરી છે કે, આગામી 3 દિવસ સુધી રાજ્યમાં તાપમાન યથાવત્ રહેશે.
રાજયભરમાં પશ્ચિમ તરફથી ફૂંકાતા પવન 15 મેથી દક્ષિણની દિશાથી ફૂંકાશે. સાથે જ હવામાન વિભાગે 15 તારીખે રાજકોટ, ભુજ, બનાસકાંઠામાં ગાજવીજ સાથે તેજ પવનની આગાહી પણ કરી છે. હાલમાં રાજયના મોટા શહેરોમાં તાપમાન 40ને પાર છે. અમદાવાદમાં હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યુ છે.
અમરેલીમાં પડ્યો વરસાદ
અમરેલીમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો હતો. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સાવરકુંડલાથી જિંજુડા વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો હતો. સમગ્ર વિસ્તારમાં અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અચાનક વાતાવરણ પલટાને કારણે ખેડૂતો ચિંતામાં જોવા મળ્યા હતા. જ્યારે ભાવનગરમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. તળાજા પંથકમાં પણ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
કેરીના પાકને નુકસાન
તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડતા કેરીના પાકને ભારે નુકશાન જોવા મળ્યું. સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડતા કેરીના પાકને નુકશાન થયું. મહત્વનું છે કે, ગુજરાતમાં પર સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે.