વર્ષોની લડાઇ બાદ આખરે અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ કરાર થયા છે.જેને અનેક નિષ્ણાતો ઐતિહાસિક ગણાવે છે. પરંતુ આ અમેરિકાની મજબૂરી વધુ હોવાનું પણ ઘણા નિષ્ણાતો માને છે. તેથી જ આ કરાર છતાં અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતાનો માર્ગ મોકળો થશે તે કહેવું હાલ કઠિન છે. અમેરિકાનું પ્રમુખ પદ સંભાળ્યું ત્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના સૈન્યને અફઘાનિસ્તાનથી પાછી બોલાવવાના તેમના વચનને પૂર્ણ કરવા પ્રયાસ કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ ફરી પ્રમુખપદની ચૂંટણીનો સામનો કરવા જઈ રહ્યા હોવાથી તાલિબાન સાથેના કરાર માટે તેમને ઉતાવળ હતી.
લિબાની નેતાઓ હજુ પણ અક્કડ વલણ રાખી રહ્યા છે
અફઘાનિસ્તાનના હાલના શાસકોને મહત્વ આપવાનો ઇનકાર કરી રહ્યા છે
અહીંના લોકો પણ આ કરારથી શાંતિ સ્થપાશે તે બાબતે આશંકિત છે.
કતારની રાજધાનીમાં અમેરિકા અને તાલિબાન વચ્ચે થયેલા કરાર મુજબ હવે તાલિબાન નેતાઓ અને અફઘાનિસ્તાનની સરકાર વચ્ચે અફઘાનિસ્તાનમાં સત્તામાં કોની કેટલી ભાગીદારી રહેશે તેના પર વાતચીત થશે. હકીકતમાં અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થપાશે કે કેમ તેનો આધાર વાતચીત કેટલી સફળ થશે તેના પર રહેલો છે. હાલ તો અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી ધીમે ધીમે હટવાનું શરૂ કરી દીધું છે. વાસ્તવમાં તાલિબાન અને અમેરિકાની સેના લડી લડીને થાકી ગયા હતા. તાલિબાનો પણ આ કરાર માટે ઉત્સુક હતા.
જોકે હાલના તબક્કે એ કહેવું ઘણું વહેલું છે કે તાલિબાનોએ પોતાની વિચારધારાને છોડી દીધી છે. જેણે અફઘાનિસ્તાનને વિનાશ તરફ ધકેલી દીધું હતું. કતાર સમજૂતી પછી અમેરિકાએ કહ્યું હતું કે, તે આગામી ૧૪ મહિનામાં પોતાના સૈન્યને પાછું ખેંચી લેશે. જોકે આ દરમિયાન, તે તાલિબાન કરારની શરતોને યોગ્ય રીતે પૂર્ણ કરે છે કે કેમ તેના પર નજર રાખશે. કેમ કે કરાર ભલે કર્યા પણ અમેરિકાને તાલિબાન નેતાઓ પર વિશ્વાસ નથી.
તાલિબાની નેતાઓ હજુ પણ અક્કડ વલણ રાખી રહ્યા છે અને અફઘાનિસ્તાનના હાલના શાસકોને મહત્વ આપવાનો ઇન્કાર કરી રહ્યા છે. તેથી અફઘાનિસ્તાનના લોકોમાં પણ આ કરારથી શાંતિ સ્થપાશે તે બાબતે આશંકિત છે. એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે અમેરિકાની વિદાયબાદ પાકિસ્તાન તેના મલિન ઇરાદાને પુરા કરવા માટે તેની ધરતી પર રહેલા તાલિબાનોનો ઉપયોગ કરી શકે છે.
પાકિસ્તાન ઘણા સમયથી અફઘાનિસ્તાનમાં પોતાને અનુકૂળ પાકિસ્તાન તાલિબાનની મદદથી અફઘાનિસ્તાનમાં મનમાની કરવામાં સફળ થશે તો આખા ક્ષેત્ર માટે એક નવો ખતરો ઊભો કરી શકે છે. તેનાથી ભારતીય હિતોને પણ નુકસાન થઈ શકે છે. એ સારી વાત છે કે કતારમાં અમેરિકા-તાલિબાન કરાર સમયે ભારતીય રાજદૂત પણ હાજર હતા. પરંતુ ભારતે હવે અફઘિસ્તાનમાં થનારી ગતિવિધિઓ પર બાજ નજર રાખવી પડશે.
અફઘાનિસ્તાનમાં ભારતીય હિતોને કોઈ ખતરો પેદા ન થાય તે સુનિશ્ચિત કરવું પડશે. ખાસ કરીને પાકિસ્તાન પર પણ વોચ રાખવી પડશે. બદલાયેલી પરિસ્થિતિમાં ભારતે પણ કુટનીતિ અપનાવીને તાલિબાન સાથે સંવાદ શરૂ કરવો પડશે. કેમકે આપણને ગમે કે ન ગમે પણ તાલિબાનો પણ હવે અફઘાનિસ્તામાં કોઇને કોઇ રીતે સત્તામાં ભાગીદાર બનવાના છે. ભવિષ્યમાં આપણે તેમની સાથે પણ વાત કરવી જ પડશે.
પાકિસ્તાનને અફઘાનિસ્તાનના વિકાસમાં નહીં પણ પોતાનો સ્વાર્થ સાધવામાં જ રસ છે તે વાત પણ ભારતે તાલિબાની નેતાઓના ગળે ઉતારવી પડશે. જોકે કરાર મુજબ બધુ ઠીકઠાક ચાલવા પર બધો આધાર છે. તાલિબાનો અથવા અમેરિકા ખુદ ભવિષ્યમાં આ કરાર તોડી શકે છે. જોકે એક વાત સ્પષ્ટછે કે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી ટ્રમ્પ કોઇ આકરું વલણ અપનાવવાના મૂડમાં લાગતા નથી. ટ્રમ્પ ફરી ચૂંટાઇ આવશે તો તાલિબાનો પર કરારનું પાલન કરવાનું દબાણ વધશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી.