સરકાર એ વાતને કેમ સમજતી નથી કે માત્ર બધે બધું અનલોક કરી દેવાથી બધું ઠીકઠાક થઇ જશે. વાસ્તવમાં બધું ઠીક કરવા માટે કેટલાક પ્રયાસ કરવા પડશે, પરંતુ સરકારના પક્ષે આવા કોઇ પ્રયાસો દેખાતા નથી. સરકાર માત્ર થોડા ઘણા સરળ ઉપાયોના ભરોસે બેઠી છે અને એવી આશા રાખી રહી છે કે દેશમાં બધું આપમેળે ઠીકઠાક થઇ જશે.
શું બધુ જ અનલોક કરી દેવાથી ઠીક થઈ જશે?
દેશમાં લાગૂ કરાયું હતું સૌથી સખત લોકડાઉન છતાં પણ..
આર્થિક સલાહકારો આર્થિક સંકટનું સરળીકરણ કરી રહ્યા છે
કોરોના સંકટ શરૂ થયા બાદ સરકારે કોરોના સંક્રમણ રોકવાનો એ સરળ ઉપાય કાઢ્યો હતો કે સમગ્ર દેશ સંપૂર્ણપણે બંધ કરી દેવાથી કોરોના આપોઆપ ખતમ થઇ જશે. આ ભ્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ર૧ દિવસની અંદર કોરોનાનું મહાભારત જીતી લેવાનો દાવો કર્યો હતો, પરંતુ પરિણામ શું આવ્યું?
ભારતમાં લાગૂ કરાયું હતું દેશનું સૌથી સખત લોકડાઉન
દુનિયાનું સૌથી સખતમાં સખત લોકડાઉન લાગુ કરવા છતાં ભારત એકમાત્ર દેશ છે કે જ્યાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દુનિયાના બીજા દેશોમાં લોકડાઉન લાગુ થયા બાદ કેસ ઘટ્યા છે, જ્યારે ભારતમાં વધી રહ્યા છે. જે રીતે વડા પ્રધાન, તેમના સલાહકારો, નીતિઆયોગના સભ્યો, ICMR ના વૈજ્ઞાનિકોએ કોરોના વાઇરસનું સરળીકરણ કર્યું હતું, અને તેની જટિલતાને સમજ્યા વગર લોકડાઉન લાગુ કર્યું હતું એ રીતે હવે સરકારના આર્થિક સલાહકારો કોરોનાના કારણે ઊભા થયેલા આર્થિક સંકટનું સરળીકરણ કરી રહ્યા છે.
લોકડાઉનના કારણે આર્થિક સંકટ ઊભું થયું: એક્સપર્ટ્સનો અભિપ્રાય
આર્થિક સલાહકારોનું માનવું છે કે કોરોના રોકવા માટે લાગુ કરવામાં આવેલ લોકડાઉનના કારણે આર્થિક સંકટ ઊભું થયું છે તો હવે બધું અનલોક કરી દેવાથી આર્થિક સંકટ આપોઆપ દૂર થઇ જશે. આર્થિક સલાહકારોની આ બાલીશતા પર માત્ર અફસોસ જ કરી શકાય. તમામ અને બધે બધું અનલોક કરીને અર્થતંત્રને પાટા પર લાવવાની વિચારધારામાં સરકાર એટલી બધી ઉતાવળ કરી રહી છે કે તેણે એ બધી સેવાઓ પણ શરૂ કરી દીધી છે, જેનાથી સંક્રમણ વધુ ફેલાવાનો મોટો ખતરો છે.
સરકાર વિદ્યાર્થીઓની જિંદગી પણ જોખમમાં મૂકી રહી છે. બળજબરીપૂર્વક એન્જિનિયરિંગ અને મેડિકલમાં પ્રવેશ માટેની પરીક્ષાઓ યોજ્યા બાદ હવે ર૧ સપ્ટેમ્બરથી આંશિક રીતે શાળાઓ ખોલવા જઇ રહી છે. સરકારના સલાહકારોએ એ સમજવાની જરૂર છે કે વગર વિચાર્યે બધું અનલોક કરી દેવાથી આર્થિક સ્થિતિ નહીં સુધરે, ઊલટાનું કોરોના સંક્રમણ વધુ ફેલાશે. આ વાત જૂન અને જુલાઇ બે મહિનાના અનુભવ પરથી સાબિત થઇ ચૂકી છે. જૂનમાં જ્યારે કેટલીક સેવાઓ શરૂ કરી ત્યારે વડા પ્રધાને એવો દાવો કર્યો હતો કે હવે લીલીકૂંપળો ફૂટશે.
જૂનમાં અનલોક પણ શું સાચે જ સામાન્ય માનવી અનલોક થયો છે?
જૂનમાં જે લોકોએ કામકાજ શરૂ કર્યું હતું તેમને જુલાઇ આવતાં સુધીમાં ખબર પડી ગઇ કે સરકારે ભલે અનલોક કર્યું હોય, પરંતુ સામાન્ય માનવી અનલોક થયો નથી. તે હજુ પણ કોરોનાની ચિંતામાં છે અને પોતાના આર્થિક ભવિષ્યને લઇ પરેશાન છે અને તેથી બજારમાં ખરીદી કરવા જવાની હિંમત કરતો નથી અને આમ જૂનમાં વડા પ્રધાનને દેખાયેલી લીલીકૂંપળો જુલાઇમાં સાવ કરમાઇ જઇ સૂકી ભઠ થઇ ગઇ.
સરકાર માત્ર અનલોક કરવાથી બધુ ઠીક જઈ જશેની સેવી રહી છે આશા
આ દરમિયાન કોરોનાના સંક્રમણની ઝડપ વધતી ગઇ. સરકારને કમસે કમ ત્યારે એટલું સમજી જવાની જરૂર હતી કે હવે શું કરવું જોઇએ? પરંતુ અફસોસની વાત છે કે જુલાઇ-ઓગસ્ટના બે મહિનાના અનુભવ પરથી પણ સરકારે કોઇ પણ પાઠ ભણ્યો નહીં. હજુ પણ મોડું થયું નથી. હજુ પણ સમય છે કે સરકાર માત્ર અનલોક ના ભરોસે બધે બધું ઠીક થઇ જશે એવી આશા પર બેસી રહેવાના બદલે સરકારે કોઇ નક્કર કાર્યવાહી શરૂ કરવી જોઇએ અને આર્થિક સંકટ દૂર કરવાનાં સર્વગ્રાહી પગલાં ભરવાં જોઇએ.
સૌપ્રથમ તો સરકારે લોકોને વિશ્વાસ અપાવવો પડશે કે તેમનું ભવિષ્ય સુરિક્ષત છે, જોકે આ કામ સરળ નથી. જ્યારે પાંચ મહિનામાં બે કરોડ કરતાં વધુ પગારદારની નોકરી ગઇ છે અને ૧ર કરોડ રોજગાર ઠપ થયા છે ત્યારે આર્થિક ભવિષ્યને લઇ વિશ્વાસ બંધાવવો એ કામ સરળ નથી, પરંતુ સરકારે તેની પહેલ સૌ પહેલાં કરવી જોઇએ. સરકારે બિનપગારદાર મધ્યમવર્ગ અનેે નબળા વર્ગોને રોકડ રાહત પહોંચાડવા કાર્યવાહી કરવી જોઇએ. કોરોના વાઇરસ સામે લડાઇમાં લોકોને વિશ્વાસ બંધાવવો પડશે.