ટી-20 સિરીઝની છેલ્લી મેચમાં સૂર્યકુમાર યાદવે સદી ફટકારી હતી અને આ મેચમાં તેને 51 બોલમાં 112 રનની ઇનિંગ રમી હતી, આ પ્રદર્શન પછી તેને ODIની પ્લેઈંગ 11માં સ્થાન મળી શકે છે..
ફરી એક્શનમાં જોવા મળશે ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓ
સૂર્યા વનડેની પ્લેઈંગ 11 થઈ શકે છે શામેલ!
કેપ્ટન રોહિત શર્મા કોને આપશે તક?
હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા શાનદાર પ્રદર્શન કરીને શ્રીલંકા સામેની T20 શ્રેણી 2-1થી જીતી લીધી હતી અને ટીમ ઈન્ડિયાએ શનિવારે રાજકોટમાં રમાયેલી સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચમાં 91 રને જીત મેળવી હતી. જણાવી દઈએ કે ભારતે T20 સીરિઝની પહેલી મેચ 2 રને જીતી હતી જ્યારે બીજી મેચમાં શ્રીલંકાએ 16 રને જીત મેળવી હતી પણ સીરિઝની ત્રીજી મેચ એકતરફી રહી હતી.
ફરી એક્શનમાં જોવા મળશે સિનિયર ખેલાડીઓ
T20 સીરિઝની જીત ટીમ ઈન્ડિયા માટે ઘણી અલગ અને મહત્વની હતી કારણ કે વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, ભુવનેશ્વર કુમાર જેવા વરિષ્ઠ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો. જો કે હવે બંને ટીમો વચ્ચે 10 જાન્યુઆરી મંગળવારના રોજ પ્રથમ વનડે મેચ રમાશે. આ સીરિઝમાં સિનિયર ખેલાડીઓની વાપસી થઈ રહી છે અને વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ જેવા બેટ્સમેન ફરી એકવાર એક્શનમાં જોવા મળશે. આ ખેલાડીઓની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હાર્દિકની કપ્તાનીમાં ભારતના યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
સૂર્યા વનડેની પ્લેઈંગ 11 થઈ શકે છે શામેલ
હાર્દિકની કેપ્ટનશિપમાં ટી-20 સિરીઝની છેલ્લી મેચમાં ટીમના વાઇસ કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ સદી ફટકારી હતી અને આ મેચમાં તેણે 51 બોલમાં 112 રનની ઇનિંગ રમી હતી. જણાવી દઈએ કે સૂર્યાના કારણે ભારત તે મેચ શ્રીલંકા સામે જીત્યું હતું. જો કે સૂર્યા T20 અને ODI બંને ટીમનો ભાગ છે અને આ પ્રદર્શન બાદ એમને વનડેની પ્લેઈંગ 11માં સામેલ કરી શકાય છે.
કેપ્ટન રોહિત શર્મા કોને આપશે તક?
સૂર્યકુમાર યાદવ T20માં ભારત માટે નંબર 4 પર બેટિંગ કરે છે, જો કે વનડેમાં બીજા ખેલાડીઓની વાપસીથી સૂર્યાની ચિંતા વધી ગઈ છે. T20 ની જેમ ભારત માટે નંબર 4 પર રમવા માટે હજુ સુધી કોઈ બેટ્સમેન નિશ્ચિત નથી. જણાવી દઈએ કે શ્રેયસ અય્યર છેલ્લા ઘણા સમયથી ભારત માટે ODIમાં નંબર 4 પર બેટિંગ કરી રહ્યો છે અને તે ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યો છે, આ સાથે જે શ્રેયસ અય્યર પણ શ્રીલંકા સામેની ODI શ્રેણી માટે ટીમનો ભાગ છે. આવી સ્થિતિમાં શ્રેયસ અય્યર સૂર્યા માટે ખતરો બની શકે છે. વનડેમાં શ્રેયસના ફોર્મને જોતા એવું લાગી રહ્યું છે કે તેનું સ્થાન ટીમમાં નક્કી છે પણ એ સામે જ સૂર્યાએ તાજેતરમાં સદી ફટકારી છે. જોકે સૂર્યાનું વનડેમાં પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. આ પરિસ્થિતિમાં જોવાનું એ રહ્યું કે રોહિત શર્મા કોને ડ્રોપ કરે છે કે કોને તક આપે છે.
વન ડેમાં કેવું રહ્યું છે સૂર્યા અને શ્રેયસનું પ્રદર્શન
વનડેમાં શ્રેયસ અય્યર અને સૂર્યકુમાર યાદવના પ્રદર્શન પર નજર કરીએ તો સૂર્યાએ ભારત માટે 16 વનડેમાં 32ની એવરેજ અને 100.52ના સ્ટ્રાઈક રેટથી 384 રન બનાવ્યા છે અને શ્રેયસ અય્યરે 39 વનડેમાં 48.03ની એવરેજ અને 96ની સ્ટ્રાઈક રેટથી 1537 રન બનાવ્યા છે. આ દરમિયાન શ્રેયસ અય્યરે 2 સદી અને 14 અડધી સદી પણ ફટકારી છે અને સૂર્યાની વનડેમાં માત્ર 2 અડધી સદી છે.