દિલ્હીની ઉત્તર પશ્ચિમ સીટ પરથી હાલના કાર્યરત સાંસદ અને ભાજપના નેતા ઉદિત રાજે ભાજપને ખુલ્લી ધમકી આપી છે. આ વખતે ટિકિટ કપાય તેવી આશંકાના પગલે ઉદિત રાજે હવે પાર્ટી સામે બળવો પોકાર્યો છે.
ઉદિત રાજે કહ્યું કે, જો ભાજપ મને ટિકિટ નહીં આપે તો હું પાર્ટી છોડી દઈશ. સાથો સાથ આજે જ ઉમેદવારી ફોર્મ પણ ભરીશ. હું કઈ પાર્ટીમાં જઈશ તેનો ખુલાસો બાદમાં કરીશ. પાર્ટી મને છોડી રહી છે. દેશભરમાં મારૂ સંગઠન છે અને હું એક દલિત ચહેરો છું.
ગઈ કાલે જ મારી અરવિંદ કેજરીવાલ સાથે ફોન પર વાતચીત થઈ. તેઓએ મને પહેલા જ સંકેત આપ્યા હતા કે ભાજપ મને ટિકિટ આપશે નહીં. તો રાહુલ ગાંધીએ પણ એક વાર સંસદમાં કહ્યું હતુ કે, તમે ખોટી પાર્ટીમાં છો. મેં મારા સમર્થકોને બોલાવ્યા છે. હું પાર્ટીની જાહેરાતની રાહ જોઉ છું. મેં નિતીન ગડકરી, રાજનાથસિંહ અને જેપી નડ્ડાનો પણ સંપર્ક કર્યો છે. હવે હું ઉમેદવારીની રાહ જોઈ રહ્યો છું.