રાજ્યના રાજકીય ઈતિહાસ પર નજર કરીએ તો ગુજરાતમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રહ્યો છે. 20 વર્ષમાં ગુજરાતની જનતાએ કોઈ ત્રીજા પક્ષને સ્વીકાર્યો નથી
રાજકીય ઈતિહાસ મુજબ મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહ્યો છે
છેલ્લા 20 વર્ષમાં ગુજરાતની જનતાએ કોઈ ત્રીજા પક્ષને સ્વીકાર્યો નથી
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપ-કોંગ્રેસની સાથે સાથે અનેક રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો પણ લડી રહ્યા છે. પરંતુ રાજ્યના રાજકીય ઈતિહાસ પર નજર કરીએ તો અહીં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહ્યો છે. છેલ્લા 20 વર્ષમાં ગુજરાતની જનતાએ કોઈ ત્રીજા પક્ષને સ્વીકાર્યો નથી. મોટા ભાગના પક્ષો વોટ કાપનાર સાબિત થયા છે.
આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી, NCP, AIMIM, BTP સહિત અનેક પ્રાદેશિક પક્ષો આ ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. પરંતુ તેમના માટે સ્પર્ધા એટલી સરળ નથી. એક તરફ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી રાજ્યમાં પોતાની જમીન શોધવાનો પ્રયાસ કરી રહી છે. તો AIMIM મુસ્લિમ મતદારોના આધારે મેદાનમાં ઉતર્યું છે. જોકે અન્ય પક્ષો AIMIM પર ભાજપની બી-ટીમ હોવાનો આરોપ લગાવી રહ્યાં છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં મેદાન મારી રહી છે.
ટ્રાઈબલ બેલ્ટ અને ઈન્ડિયન ટ્રાઈબલ પાર્ટી
2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં 89.17 લાખ આદિવાસીઓ છે, જે રાજ્યની કુલ વસ્તીના લગભગ 15 ટકા છે. રાજ્યના 14 પૂર્વીય જિલ્લાઓમાં આદિવાસી સમુદાયો મોટાભાગે વસે છે. આ સાથે વિધાનસભાની 27 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. ગુજરાતમાં આદિવાસીઓ કોંગ્રેસના પરંપરાગત મતદારો ગણાય છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ 27 આદિવાસી બેઠકોમાંથી કોંગ્રેસે સૌથી વધુ 17 બેઠકો જીતી હતી. તો ભાજપના ખાતામાં માત્ર 8 બેઠકો આવી. બીજી તરફ બીટીપીએ બે બેઠકો કબજે કરી હતી.
BTP પિતા-પુત્રની લડાઈમાં અટવાયું હતું
એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ વખતે બીટીપી આદિવાસી પટ્ટામાં કોંગ્રેસની વોટબેંકમાં ખાડો પાડી શકે છે. પરંતુ પાર્ટી પારિવારિક ઝઘડામાં ફસાયેલી હતી. વાત જાણે એમ હતી કે, BTPના સ્થાપક છોટુ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવા આમને-સામને આવી ગયા હતા. BTPમાંથી ફોર્મ ભર્યા બાદ મહેશ વસાવાએ ફોર્મ પરત ખેંચી લીધું હતું. જોકે આ સમગ્ર વિવાદ BTP ઉમેદવારોની જાહેરાત સાથે શરૂ થયો હતો. મહેશ વસાવાએ પોતાના જ પિતાનું પત્તું કાપીને ઝઘડિયા બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જણાવી દઈએ કે, આ સીટ પરથી તેમના પિતા છોટુ વસાવા 1990 થી સતત 7 વખત ચૂંટણી જીત્યા છે. પુત્રની જાહેરાત બાદ પિતાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તો હવે પુત્ર પણ ફોર્મ પરત ખેંચી લીધું છે.
કોણ છે છોટુ વસાવા ?
આદિવાસી નેતા છોટુ વસાવા 1990 થી 2017 સુધી JDU સાથે હતા. તેમણે 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા BTPની રચના કરી હતી. આ પછી 2020માં ગુજરાત પંચાયતની ચૂંટણી પહેલા તેમણે અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વ હેઠળની AIMIM સાથે અને આ વર્ષે AAP સાથે ચૂંટણી જોડાણ કર્યું હતું. જોકે વસાવાએ AAP સાથેના સંબંધો તોડી નાખ્યા અને દાવો કર્યો કે, કેજરીવાલ ભાજપના ઈશારે કામ કરી રહ્યા છે. મહત્વનું છે કે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં BTPએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું. BTPએ 6 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેમાંથી 2 ઉમેદવારો જીત્યા હતા. તો 4 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી. જ્યારે પાર્ટીને માત્ર 0.74 ટકા વોટ મળ્યા હતા.
આ વખતે કોંગ્રેસ સાથે NCP પણ છે ચૂંટણી મેદાનમાં
આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી સાથે છે. રાજ્યની 182 વિધાનસભા બેઠકોમાંથી, NCP માત્ર ત્રણ બેઠકો પર ચૂંટણી લડી રહી છે - ઉમરેઠ (આણંદ જિલ્લો), નરોડા (અમદાવાદ) અને દેવગઢ (દાહોદ જિલ્લો). આ ત્રણેય બેઠકો પર હાલમાં સત્તાધારી ભાજપનો કબજો છે. જો છેલ્લી ચૂંટણીની વાત કરીએ તો 2017માં NCPએ 58 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને માત્ર 1 બેઠક (ઉમરેઠ) જીતી હતી. 56 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી. પાર્ટીને કુલ મતોના માત્ર 0.62 ટકા જ મત મળ્યા છે. 2012ની ચૂંટણીમાં પાર્ટીએ 2017ની ચૂંટણી કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું. પાર્ટીએ 12 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા અને બે બેઠકો જીતી. પાર્ટીને 0.95 ટકા વોટ મળ્યા હતા. 2007 માં, પાર્ટીએ 10 ઉમેદવારો ઉભા રાખ્યા અને 3 જીત્યા. પાર્ટીને 1.05 ટકા વોટ મળ્યા હતા.
ગુજરાત 8 ટકા દલિત વસ્તી પણ BSP જન આધાર વિહોણી
ગુજરાતમાં દલિતોની વસ્તી આઠ ટકા જેટલી છે. તેમની પાસે 12 થી 15 બેઠકોના પરિણામોને તેમના મતોથી સીધો પ્રભાવિત કરવાની શક્તિ છે. ગુજરાત વિધાનસભામાં 13 બેઠકો SC માટે અનામત છે. પરંતુ આટલી મોટી દલિત વસ્તી હોવા છતાં, BSP પાસે રાજ્યમાં જન આધાર નથી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં BSPએ 139 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તમામ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી. જો વોટ ટકાવારીની વાત કરીએ તો 0.69 ટકા વોટ મળ્યા હતા. અગાઉ 2012ની ચૂંટણીમાં 163 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા હતા અને આ વખતે પણ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મતદાનની ટકાવારી 1.25 ટકા હતી. 2007માં પાર્ટીએ 166 ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેમાંથી માત્ર 3 ઉમેદવારો તેમની ડિપોઝિટ બચાવી શક્યા હતા. મતદાનની ટકાવારી 2.62 ટકા હતી. 2002ની ચૂંટણીમાં પાર્ટીને 34માંથી 34 સીટો પર હારનો સામનો કરવો પડ્યો હતો.
JDU, SP, LJP, ડાબેરી સહિત સ્થાનિક પક્ષો
ગુજરાતમાં નીતીશ કુમારની જેડીયુથી લઈને સમાજવાદી પાર્ટી, લોક જનશક્તિ પાર્ટી તેમજ ડાબેરી અને સ્થાનિક પક્ષો પસંદગીની બેઠકો પર તેમના ઉમેદવારો ઉભા કરે છે. પરંતુ ભાજપ-કોંગ્રેસની હરીફાઈમાં જીતની વાત છોડી દો પણ આ પક્ષો સામે ટકી રહેવાનો પડકાર છે. જો છેલ્લી ચૂંટણીની વાત કરીએ તો રાજ્યમાં ભાજપ-કોંગ્રેસને 90.49 ટકા વોટ મળ્યા હતા. આ સાથે બાકીના 9.51 ટકા મત અપક્ષો સહિત અન્ય પક્ષોના ખાતામાં આવ્યા. 2012, 2017 અને 2002ની ચૂંટણીમાં પણ આવું જ કંઈક થયું હતું.
નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી વધુ સમયથી ભાજપ સત્તા પર છે. આ સમયગાળા દરમિયાન કોંગ્રેસ સિવાય અન્ય કોઈ પક્ષ ભાજપને ટક્કર આપવામાં નિષ્ફળ ગયો છે. આ વખતે પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર છે. પરંતુ આમ આદમી પાર્ટી કેટલીક સીટો પર બંનેની રમત બગાડી શકે છે. સાથે જ AIMIMના આવવાથી મુસ્લિમ બહુમતી બેઠકો પર પણ અસર પડી શકે છે.