કેટલાક કટ્ટર મૌલવીઓએ પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારને ચેતવણી આપી હતી કે ઇસ્લામાબાદમાં મંદિર નિર્માણને મંજૂરી ન આપે. CDA એ કાયદાકીય કારણો દર્શાવીને જુલાઈમાં આ મંદિરનું બાંધકામ અટકાવ્યું હતું.
ઈમરાન ખાન સરકારે કૃષ્ણ મંદિર બનાવવાની મંજૂરી આપી
પાકિસ્તાનની રાજધાનીમાં બનશે ભવ્ય કૃષ્ણ મંદિર
આ પહેલા કેટલાક મૌલવીઓએ આ મામલે સરકારને આપી હતી ચેતવણી
જો કે પાકિસ્તાન સરકારે ઇસ્લામાબાદમાં હિન્દુ મંદિરના નિર્માણને હવે મંજૂરી આપી દીધી છે. બાંધકામના કામમાં વિક્ષેપ પડ્યાના છ મહિના બાદ સરકારે આ મંજૂરી આપી દીધી છે. કેટલાક આતંકવાદી ઇસ્લામિક જૂથોના દબાણને કારણે મંદિરનું નિર્માણ બંધ કરાયું હતું.કેપિટલ ડેવલપમેન્ટ ઓથોરિટીએ સોમવારે લાહોરમાં એક નોટિસ જારી કરી હતી, જેમાં ઇસ્લામાબાદના સેક્ટર એચ -9 / 2 માં હિન્દુ સમુદાયના સ્મશાન ઘાટની સીમા બાંધવાની મંજૂરી પણ આપી હતી.
મંદિરની સાથે જ સ્મશાન બનાવવાની પણ આપી મંજૂરી
ન્યુઝ એજન્સી પીટીઆઈ અનુસાર, મંજૂરીમાં જણાવાયું છે કે સેક્ટર એચ -9 / 2 માં હિન્દુ સમુદાય માટે સ્મશાનની ફરતે બાઉન્ડ્રી દિવાલો બનાવવાની ઇસ્લામાબાદ કેપિટલ ટેરિટરીની કલમ 4.I.I. હેઠળ મંજૂરી આપવામાં આવી છે. બિલ્ડિંગ કંટ્રોલ રેગ્યુલેશન 2020 બાઉન્ડ્રી દિવાલની ઊંચાઈ નક્કી કરશે.
આ નિર્ણય પર સીઆઈઆઈના 14 સભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા, જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે દેશના અન્ય ધાર્મિક જૂથોની જેમ હિન્દુઓને પણ તેમની શ્રદ્ધા અનુસાર અંતિમ સંસ્કાર કરવાની જગ્યા પર બંધારણીય અધિકાર છે. શાસક પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) ના લઘુમતી ધારાસભ્ય લાલચંદ મલ્હીએ એક નિવેદનમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન, સીઆઈઆઈના વડા ડો.ક્યુબા અયાઝ અને અન્ય સભ્યોને મંજૂરી આપવા બદલ આભાર માન્યો છે.
મંદિર સંકુલ 20,000 ચોરસ ફૂટમાં બનશે
યોજના મુજબ રાજધાનીના એચ -9 વહીવટી વિભાગમાં 20,000 ચોરસ ફૂટના પ્લોટમાં કૃષ્ણ મંદિર બનાવવામાં આવશે. ઇસ્લામાબાદમાં હિન્દુ મંદિરના નિર્માણ માટે સીડીએ દ્વારા 2017 માં હિંદુ પંચાયતને પ્લોટ ફાળવવામાં આવ્યો હતો. સાઇટ નકશાની મંજૂરી અને કાગળની કામગીરી જેવી કેટલીક ઔપચારિકતાઓને કારણે બાંધકામમાં વિલંબ થયો હતો.
પૂર્વ પાક વડા પ્રધાન નવાઝ શરીફે મંદિર માટે જમીન ફાળવી હતી. મંદિર સંકુલમાં એક સ્મશાન પણ બનશે. આ સિવાય અન્ય ધાર્મિક સંસ્કારો માટે પણ જગ્યા બનાવવામાં આવશે. મહત્વનું છે કે હિન્દુ પાકિસ્તાનનો સૌથી મોટો લઘુમતી સમુદાય છે. સત્તાવાર અંદાજ મુજબ પાકિસ્તાનમાં 75 લાખ હિન્દુઓ વસે છે. જોકે સમુદાયનો અંદાજ છે કે દેશમાં 90 લાખથી વધુ હિન્દુઓ છે. પાકિસ્તાનમાં હિન્દુઓની મોટાભાગની વસ્તી સિંધ પ્રાંતમાં રહે છે.