રિઝર્વ બેંકે ગઇકાલે વ્યાજના દરમાં ઘટાડો કર્યા પછી નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યુ છે કે, તેમની સરકાર સામાન્ય લોકો પરથી વ્યાજનો બોજ ઘટાડવા ઇચ્છે છે.
અરૂણ જેટલીએ કહ્યુ કે, જો તમેની સરકાર ફરી સત્તા પર આવી તો તે ઘરના ભાડા કરતા હોમલોનનો હપ્તો ઓછો કરી નાખશે. જેનાથી ભાડે રહેવા કરતા લોકો માટે મકાન ખરીદવુ સરળ થઇ જશે.
દિલ્હીમાં એક કાર્યક્રમમાં બોલતા જેટલીએ કહ્યું હતું કે, મોદી સરકારે છેલ્લા પાંચ વર્ષના ટેક્સ રેટમાં કોઇ વધારો નથી કર્યો, તેમ છતાંય ટેક્સ બેસ ડબલ કરવામાં અને ટેક્સ ક્લેક્શન વધારવામાં સફળતા મળી છે. જેટલીએ કહ્યુ કે, ફરી NDAની સરકાર બની તો વ્યાજના દર હજુય ઘટે તેવી નીતિ બનાવશે અને નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે.
આ સિવાય તેમણે જણાવ્યુ કે, નીચા વ્યાજ દર લોનને સસ્તી બનાવશે, અને ખાસ તો તેનાથી હોમ લોન સસ્તી બનશે જેનાથી કન્ઝ્યુમર ડિમાન્ડ વધશે અને તેના કારણે આર્થિક વિકાસ વધશે. જેટલી દાવો કર્યો હતો કે, વાજપેયી સરકાર સત્તામાં હતી ત્યારે હોમલોનનું વ્યાજ એટલું ઓછું થઇ ગયુ હતુ કે ભાડે રહેવા કરતા ઘરની લોન ભરવી સસ્તી પડતી હતી.
દેશના મધ્યમ વર્ગને મબજૂત બનાવવા સરકાર સજાગતાપૂર્વક પ્રયાસ કરી રહી છે. તેમ કહેતા જેટલીએ જણાવ્યું હતું કે, દરેક બજેટમાં સરકારે ટેક્સના સ્લેબમાં રાહત આપી મધ્યમ વર્ગની ખર્ચ કરવાની ક્ષમતામાં વધારો કર્યો છે. સરકાર GSTના દર નીચે લાવી છે અને ભારતના મધ્યમ વર્ગ, નીઓ-મિડલ ક્લાસ તેમજ ગરીબ વર્ગનું ભવિષ્ય દેશના આર્થિક ભવિષ્ય સાથે સીધી રીતે સંકળાયેલુ છે.