કેન્દ્રના 3 કૃષિ કાયદાની સામે દિલ્હીના ગાઝીપુર બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે એવું જણાવ્યું કે જ્યાં સુધી અમારા લોકોને છોડાશે નહીં ત્યાં સુધી સરકાર સાથે કોઈ નવી મંત્રણા કરવા તૈયાર નથી.
ટિકૈતે જણાવ્યું કે 26 જાન્યુઆરીએ થયેલી હિંસા ષડયંત્ર હતું અને તેની સર્વાંગી તપાસ થવી જોઈએ
જ્યાં સુધી અમારા લોકોને છોડાશે નહીં ત્યાં સુધી સરકાર સાથે કોઈ નવી મંત્રણા કરવા તૈયાર નથી
દબાણ હેઠળ કોઈ વાતચીત ન થઈ શકે
ટિકૈતે જણાવ્યું કે દબાણ હેઠળ કોઈ વાતચીત ન થઈ શકે. અમે આ મુદ્દે ચર્ચા કરીશું પરંતુ ત્યારે કે જ્યારે અમારા માણસોને છોડી મૂકવામાં આવે. વડાપ્રધાન મોદી આપણા છે, અમે તેમની પહેલના આભારી છીએ.
26 જાન્યુઆરીએ થયેલી હિંસા ષડયંત્ર હતું અને તેની સર્વાંગી તપાસ થવી જોઈએ. અમે કોઈને પણ તિરંગાનું અપમાન થવા દેવાની મંજૂરી નહીં આપીએ. હમેંશા દેશનું માનસન્માન અને ગૌરવ જાળવી રાખીશું. સરકારે અમારા માણસોને છોડી મૂકવા જોઈએ અને મંત્રણા માટેનો માર્ગ મોકળો કરવો જોઈએ. આશા છે કે ટૂંક સમયમાં આ મુદ્દાનો ઉકેલ આવશે.
ટિકૈતે જણાવ્યું કે ખેડૂતોનું પણ માન-સન્માન સચવાય તેની અમે ખાતરી રાખવા માગીએ છીએ. એક સન્માનીય ઉકેલ આવવો જોઈએ. અમે દબાણ હેઠળ તો કોઈ પણ બાબતને મંજૂરી નહી આપીએ. સરકાર કે સંસદ અમારી સામે ઘૂંટણીયે પડી જાય તે અમને મંજૂર નથી. પરંતુ સરકારે ખેડૂતોનું સન્માન પણ જાળવવું જોઈએ.
રાકેશ ટીકૈતે કહ્યું કે અમે દેશના વડાપ્રધાનનું સન્માન કરી છે અને આ મુદ્દાનું સમાધાન આવે તે અમારી ઈચ્છા છે. પરંતુ બંદૂકના દમ પર વાતચીત નહીં થાય. અમે વાતચીત કરીશું પરંતુ સરકાર શરતો મૂકીને વાતચીત ન કરે.
દિલ્હી સરહદે પોલીસ અને ગૂંડાઓ પંજાબના ખેડૂતોની મારઝૂડ કરી રહી છે તેવો આક્ષેપ કરતા પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંહે જણાવ્યું કે કેન્દ્ર સરકારના 3 કાયદા પર થઈ રહેલા ખેડૂત આંદોલનનો ઉકેલ કાઢવા મંગળવારે સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ.