ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે જણાવ્યું કે તેમની પાર્ટી પશ્ચિમ બંગાળમાં ર૦ર૧ની વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસને હરાવી સરકાર બનાવશે.
માધવે કહ્યું કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના અન્ય વરિષ્ઠ નેતા બંગાળમાં પાર્ટીના વોટ આધારને મજબૂત કરવા માટે ત્યાં ઘણો સમય વીતાવી રહ્યા છે, સાથે-સાથે તેમણે ભરોસો વ્યક્ત કર્યો છે કે આસામમાં પણ ભાજપના નેતૃત્વવાળી સરકાર ફરી આવશે.
રામ માધવે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં આપણે આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી જીતવાની કોશિશ કરી રહ્યા છીએ. ગૃહપ્રધાન ખુદ ઘણો સમય વીતાવે છે. અન્ય વરિષ્ઠ નેતાઓ પણ સખત મહેનત કરી રહ્યા છે.
એક વર્ષની અંદર અમે ત્યાં જીતવાની સ્થિતિમાં હોઇશું. અમે મમતા બેનરજીને હરાવીશું અને પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનાવીશું. તેમણે એમ પણ ભરોસો અપાવ્યો છે કે આવતા વર્ષે આસામમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીઓમાં પણ ભાજપના નેતૃત્વવાળું ગઠબંધન જ ફરી સત્તામાં આવશે.
તેમનું માનવું છે કે આસામમાં રાજગ સરકાર આગામી વર્ષે યોજાનારી ચૂંટણી બાદ સત્તામાં વાપસી કરશે. અમે ઘણું કામ કર્યું છે અને મોદીજીએ પણ ઘણું કામ કર્યું છે. અમે આસામમાં જીતવાને લઇ સંપૂર્ણ વિશ્વાસ ધરાવીએ છીએ.
આગામી રાજ્યસભા ચૂંટણી અને આસામમાં ભાજપની શક્યતા અંગે માધવે કહ્યું કે એનડીએ પાસે ત્રણ ખાલી સીટમાંથી બે સીટ જીતવાનું સંખ્યાબળ છે અને અમે ઉમેદવારની જાહેરાત આગામી બે-ત્રણ દિવસમાં કરીશું.