આદિવાસી જમીનના દસ્તાવેજ અને વારસાઈની સમસ્યાને લઈ કોંગી MLA અશ્વિન કોટવાલ સીએમ ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા
ભાજપમાં જોડાવા બાબતે અશ્વિન કોટવાલનું નિવેદન
હાલ હું માત્ર આદિવાસીને પ્રશ્નની રજુઆત કરતો આવ્યો છું
ક્યાં પક્ષમાં ક્યારે જોડાવવું આવનાર સમય નક્કી કરશે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાનો દોર શરૂ થવાના એંધાણ પૂરેપૂરા વર્તાઇ ચૂક્યા છે. કોંગ્રસ પાર્ટીથી નારાજ થયેલા ધારાસભ્યોના રિસામણા મનામણા ચાલી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં વધુ એકવાર ભંગાણ થવાના વરતારા દેખાઈ રહ્યા છે. ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાશે તેવી વાતોએ જોર પકડયું છે.
અશ્વિન કોટવાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરી રજુઆત
ત્યારે આજે આદિવાસી વિસ્તારમાં જમીન કાયદા બાબતે રજૂઆત કરવા સાબરકાંઠા ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા. આદિવાસી જમીનના દસ્તાવેજ અને વારસાઈ મોટી સમસ્યા થઈ રહી છે તે મુશ્કેલીનું સત્વરે નિરાકરણ લાવા તેઓએ સીએમને રૂબરૂ મળીને મુલાકાત કરી છે. અને આદિવાસી જમીનના દસ્તાવેજના કાયદામાં સુધારો કરવા સૂચન પણ કર્યું છે જેના ભાગરૂપે મુખ્યમંત્રીએ પણ જરૂરી સુધારા વધારા કરવાની અશ્વિન કોટવાલને ખાત્રી આપી છે.
હું ક્યાં પક્ષમાં છું તે આવનારો સમય નક્કી કરશે - કોટવાલ
મુખ્યમંત્રી પટેલ સાથેની રજૂઆત મુલાકાત બાદ ભાજપમાં જોડાવા બાબતે અશ્વિન કોટવાલે વીટીવી સમક્ષ નિવેદન આપ્યું છે કે હાલ હું માત્ર આદિવાસીને પ્રશ્નની રજુઆત કરતો આવ્યો છું
ક્યાં પક્ષમાં ક્યારે જોડાવવું આવનાર સમય નક્કી કરશે. કોઈ પણ પક્ષમાં હોવું આદિવાસી પ્રશ્નો માટે લડતો રહીશ. વિદ્યાર્થીકાળથી હું ચૂંટણી લડતો આવ્યો છું અને અનામત સીટ પરથી જીત મેળવી ધારાસભ્ય બન્યો છું. આ પ્રતિક્રિયાને રાજકિય વિશેષજ્ઞો અલગ રીતે જોઇ રહ્યા છે તેમનું કહેવું છે કે ભાજપમાં જોડાવું કે ન જોડાવું એ આગળના સમયમાં ખબર પડશે. આ વાતથી તેમણે નિવેદન પર તો પૂર્ણ વિરામ મૂકી દીધો પણ કોંગ્રેસના નેતાઑને આડકતરી રીતે સંદેશો પાઠવી દીધો હોય તેવુ સ્પષ્ટ લાગી રહ્યું છે.
કોંગ્રેસથી નારાજગીનું કારણ શું?
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના કાર્યક્રમોમાં અશ્વિન કોટવાલની ગેરહાજરી જોવા મળી રહી છે. પાર્ટીએ વિપક્ષના નેતા ન બનાવતા નારાજ થયેલા અશ્વિન કોટવાલે ભાજપનો છેડો પકડ્યો હોય તેવી ચર્ચાઓએ જોર પડક્યુ છે. સમગ્ર વિધાનસભા સત્રમાં કોટવાલ નિષ્ક્રિય રહ્યા હતા. જે જોતા લાગી રહ્યુ છે અશ્વિન કોટવાલ કોંગ્રેસથી નારાજ છે.
કોંગ્રેસ માટે ચિંતાનો વિષય
મહત્વનુ છે કે ખેડબ્રહ્મા સીટ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનો ગઢ રહી છે. અહીં કોંગ્રેસ 3-4 ટર્મથી જીતતી આવી છે. અશ્વિન કોટવાલ થકી કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં સારુ પ્રભૂત્વ મેળવી રહી છે. આવા સમયમાં કોંગ્રેસ આદિવાસી મતદારોને પોતાની તરફ આકર્ષવા માટેના જે કાર્યક્રમો કરી રહી છે તેમાં અશ્વિન કોટવાલની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. જે આવનાર ચૂંટણીને લઇને આદિવાસી મતવિસ્તારોનો આકર્ષવા કોંગ્રેસ માટે ઘણી ચિંતાજનક સાબિત થઇ શકે છે.
અશ્વિન કોટવાલ પર ચર્ચા કેમ
છેલ્લા કેટલાક સમયથી અશ્વિન કોટવાલે કોંગ્રેસથી દૂરી બનાવી છે
અશ્વિન કોટવાલ કોંગ્રેસ છોડે તેવી ચર્ચા થઇ રહી છે
અશ્વિન કોટવાલ દિલ્લીમાં ભાજપ નેતાને મળ્યાની પણ ચર્ચા