સરકાર દેશમાં 12,000 રૂપિયાથી ઓછી કિંમતના ચાઇનીઝ સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂકશે કે કેમ ? જાણો કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે શું કહ્યું ?
સરકાર દેશમાં 12,000થી ઓછી કિંમતના ચાઇનીઝ સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂકશે ?
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આપ્યું મોટું નિવેદન
સરકાર પાસે આ કંપનીઓના સ્માર્ટફોનના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો કોઈ પ્રસ્તાવ નથી: રાજીવ ચંદ્રશેખર
હાલમાં દેશમાં કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સરકાર દેશમાં 12,000 રૂપિયાથી ઓછી કિંમતના ચાઇનીઝ સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે. જોકે હવે આ મામલે સરકારના મંત્રીએ સ્પષ્ટતા કરી હોવાનું સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર પાસે આ કંપનીઓના 12,000 રૂપિયાથી ઓછી કિંમતના સ્માર્ટફોનના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો કોઈ પ્રસ્તાવ નથી.
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, સરકારે ચીનની મોબાઈલ કંપનીઓને ભારતમાંથી નિકાસ વધારવા માટે કહ્યું છે. દેશના ઇલેક્ટ્રોનિક ઇકોસિસ્ટમમાં ભારતીય કંપનીઓની પણ ભૂમિકા છે. પરંતુ આનો અર્થ એ નથી કે વિદેશી બ્રાન્ડ્સને બાકાત રાખો. તેમણે કહ્યું, 'ફક્ત એક જ મુદ્દો છે, જે અમે ઉઠાવ્યો છે. તેને કેટલીક ચીની બ્રાન્ડ્સ સાથે ખૂબ જ પારદર્શક રીતે મૂકવામાં આવ્યું છે. અમે કહ્યું છે કે અમારી અપેક્ષા છે કે તેઓ વધુને વધુ નિકાસ કરે.
શું કહ્યું ચંદ્રશેખરે ?
ચંદ્રશેખરે કહ્યું કે, સપ્લાય ચેઇન,ખાસ કરીને ઘટકોની સપ્લાય ચેઇન વધુ પારદર્શક અને ખુલ્લી હોવી જોઈએ. અમારી પાસે બજારના ચોક્કસ સેગમેન્ટ (રૂ. 12,000થી નીચે)માંથી ચીની કંપનીઓને હાંકી કાઢવાનો કોઈ પ્રસ્તાવ નથી. મને ખબર નથી કે, આ બાબત કે વિષય ક્યાંથી આવ્યો. ચીની કંપનીઓને રૂ. 12,000થી ઓછી કિંમતના મોબાઈલ ફોન વેચવાથી રોકવાની સરકારની કથિત યોજના અંગેના પ્રશ્નનો જવાબ આપતાં તેમણે આ વાત કહી.