નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે ભવિષ્યમાં પણ આ 18 મહિના માટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતના ત્રણ હપ્તાઓ ચૂકવવાની સરકારની કોઈ યોજના નથી.
સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપ્યો મોટો ફટકો
બાકી DA ચૂકવવાની કોઈ યોજના નથી
નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું આ કારણ
કોરોના મહામારીના બાદ કેન્દ્રીય કર્મચારીઓના રોકેલા DA એરિયર્સને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓને મોટો ફટકો આપતાં સરકારે કહ્યું કે કર્મચારીઓ અને પેન્શનરોને તેમના 18 મહિનાનું બાકી DA એરિયર આપવામાં આવશે નહીં.
બાકી DA ચૂકવવાની કોઈ યોજના નથી
નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં સાફ શબ્દોમાં બાકી DA આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ વિશે સ્પષ્ટ કરતાં એમને કહ્યું હતું કે ભવિષ્યમાં પણ આ 18 મહિના માટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતના ત્રણ હપ્તાઓ ચૂકવવાની સરકારની કોઈ યોજના નથી.
નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું આ કારણ
આ સમગ્ર મામલે સરકાર વતી સ્પષ્ટતા આપતા નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે જાન્યુઆરી 2020, જૂલાઈ 2020 અને જાન્યુઆરી 2021નાં જાહેર કરવામાં આવેલા મોંઘવારી ભથ્થાને ફ્રીઝ કરવાનો નિર્ણય કોરોના મહામારીના લીધે જન્મેલ આર્થિક કટોકટીને લીધે લેવામાં આવ્યો હતો જેનાથી સરકાર પરનો નાણાકીય બોજ ઘટાડી શકાય. આ નિર્ણયથી સરકારને સરકારી તિજોરીમાં 34,402.32 કરોડ રૂપિયાની બચત થઈ છે. DA બાકી ન આપવાના સરકારના નિર્ણયથી રોગચાળા દરમિયાન થયેલા નાણાકીય નુકસાનને ઘટાડવામાં ઘણી મદદ મળી છે.
કર્મચારીઓની આશા પર ફટકો
નોંધનીય છે કે કેન્દ્રીય કર્મચારીઓને જાન્યુઆરી 2020 થી જૂન 2021 સુધી DA બાકી છે. એ સમયે દેશમાં કોરોના મહામારી ચાલી રહી હતી એ દરમિયાન સરકારે કર્મચારીઓના ડીએ હોલ્ડ પર રાખ્યા હતા. જ્યારે કોરોના રોગચાળા દરમિયાન લાદવામાં આવેલા તમામ નિયંત્રણો દૂર કરવામાં આવ્યા હતા, ત્યારે કર્મચારીઓને તેમની બાકી DAની રકમ પાછી મળવાની આશા લગાવીને બેઠા હતા. કર્મચારીઓ લાંબા સમયથી બાકી ડીએની રકમ વિશે સરકાર પાસે ઝડપથી નિર્ણય લેવાની માંગ કરી રહ્યા હતા એવામાં હવે નાણામંત્રીએ ડીએની બાકી રકમ અંગે સ્પષ્ટ કરી દીધું છે અને કેન્દ્રીય કર્મચારીઓની આશા પર પાણી ફરી વળ્યું છે.
સપ્ટેમ્બર 2022માં થયું હતું DA Hike
જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થું (DA) એ સરકારી કર્મચારીઓના સેલેરી સ્ટ્રક્ચરનો એક ભાગ છે. કેન્દ્રીય કર્મચારીઓનો DA દર છ મહિને બદલાય છે એવામાં મહત્વનું છે કે ગયા વર્ષે સપ્ટેમ્બર 2022માં મોદી સરકારે કર્મચારીઓને 4% DA વધારો આપ્યો હતો. આ વધારા બાદ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 34 ટકાથી વધીને 38 ટકા થઈ ગયું છે.