પ્રથમ વખત ૨૦૨૧માં વસ્તીગણતરીના ડેટા એકત્ર કરવા માટે મોબાઇલ એપનો ઉપયોગ થશે.૨૦૨૧માં થનારી ૧૬મી વસ્તીગણતરીની તૈયારીઓ માટે ચાલી રહેલી બે દિવસની કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગૌબાએ આ જાણકારી આપી હતી.
૧૫૦ વર્ષમાં પ્રથમ વખત ૨૦૨૧માં વસ્તીગણતરીના ડેટા એકત્ર કરવા માટે મોબાઇલ એપનો ઉપયોગ થશે. સરકાર તેને આખરી ઓપ આપી રહી છે. ૨૦૨૧માં થનારી ૧૬મી વસ્તીગણતરીની તૈયારીઓ માટે ચાલી રહેલી બે દિવસની કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગૌબાએ આ જાણકારી આપી હતી.
રાજીવ ગૌબાએ જણાવ્યું હતું કે દુનિયાની આ સૌથી મોટી વસ્તીગણતરી માટે ૩૩ લાખ કર્મચારીઓની જરૂર પડશે. આ અંગે નોટિફિકેશન પહેલાંથી જ જારી કરી દેવામાં આવ્યું છે. આ માટે કર્મચારીઓ પાસે પોતાના મોબાઇલનો ઉપયોગ કરવાનો વિકલ્પ રહેશે અને આ માટે વસ્તીગણતરી કરનારને અલગ નાણાં ફાળવવામાં આવશે.મોબાઇલનો ઉપયોગ નહીં કરનાર કર્મચારીઓએ પેપર પર આંકડા એકત્ર કરીને એપમાં ફીડ કરવા પડશે.
ગૃહ સચિવે જણાવ્યું હતું કે વસ્તીગણતરીના આંકડા એકત્ર કરતી વખતે ગોપનીયતા ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે અને આ ડેટાનો દુરુપયોગ ન થાય તે ખાસ જોવાનું રહેશે. તેમણે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશના બર્ફિલા વિસ્તારોમાં ૧ ઓક્ટોબર, ૨૦૨૦થી વસ્તીગણતરીનું કામ શરૂ થઇ જશે, જ્યારે બાકીના દેશોમાં ૧ માર્ચ, ૨૦૨૧થી વસ્તીગણતરી કરવામાં આવશે.
ગૌબાએ જણાવ્યું હતું કે વસ્તીગણતરીનો મતલબ માત્ર લોકોની ગણતરી કરવી એવો નથી થતો. વસ્તીગણતરી વખતે દેશ અંગે સામાજિક અને આર્થિક આંકડા પણ એકત્ર કરવાના હોય છે. વસ્તીગણતરીનું મહત્ત્વ એ દૃષ્ટિએ છે કે તેના આધારે સરકાર પોતાની નીતિ તૈયાર કરતી હોય છે અને જરૂર મુજબ આંકડા અને સંસાધનો ફાળવવા માટે કાર્યવાહી કરતી હોય છે.
વસ્તીગણતરીના ડેટાના આધારે જ આર્થિક અને વિકાસ કલ્યાણની યોજના બનાવવામાં આવે છે. વસ્તીગણતરીથી જ ચૂંટણી વિસ્તારો માટે સીમાંકન કરવામાં આવતું હોય છે અને અનામત બેઠકો અંગે પણ વસ્તીગણતરીના ડેટાના આધારે જ નિર્ણય લેવામાં આવતો હોય છે.
કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગૌબાએ જણાવ્યું કે ૨૦૨૧ની વસ્તીગણતરી દુનિયાની સૌથી મોટી કવાયત હશે. તેમણે જણાવ્યું હતું કે તમામ લોકોના ઘરે-ઘરે જઇને આંકડા એકત્ર કરવા માટે કુલ ૩૩ લાખ ગણતરીકારની સેવા લેવામાં આવશે.
ભારતીય વસ્તીગણતરી અંગે યોજાયેલ આ સંમેલનનો હેતુ ૨૦૨૧ની વસ્તીગણતરી માટે રણનીતિ અને પ્રશ્નોત્તરીને આખરી ઓપ આપવાનો હતો. મોબાઇલ એપ મારફતે ઇલેક્ટ્રોનિકલી વસ્તીગણતરી કરવા અંગેની કાર્યપદ્ધતિ નક્કી કરવાનો પણ હેતુ હતો.
કેન્દ્રીય ગૃહ સચિવે વસ્તીગણતરી અંગેના આ સંમેલનમાં ભાગ લઇ રહેલા તમામ પ્રતિનિધિઓને વસ્તીગણતરીની પ્રશ્નાવલી અને તૈયારીમાં મદદ કરવા માટે વધુ ને વધુ સૂચન આપવા અનુરોધ કર્યો હતો.