આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડી ભારતીય રાજકારણમાં નવા નવા રેકોર્ડ સ્થાપે તેમ લાગે છે. જંગી બહુમતીથી સત્તા પર બેસવાની સાથે જ પાંચ નાયબ મુખ્યપ્રધાન નીમીને નવો ચીલો ચાતર્યો હતો. હવે જગન મોહન તેમના રાજ્યમાં ચાર નવાં પાટનગર બનાવવા માગે છે.
તાજેતરમાં જગન મોહન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા ત્યારે તેમણે તેમની આ આશ્ચર્યજનક યોજના વિશે માહિતી આપી. તે અમરાવતીને એકમાત્ર વહીવટી પાટનગર બનાવવા માગે છે અને વિજયનગરમ, કાકીનાડા, ગુંટુર અને કડપાને પણ પાટનગરનો દરજ્જો આપવા માગે છે.
પરંતુ નવાં ચાર પાટનગર કેવાં હશે તે કહેવું મુશ્કેલ છે. તેમના પક્ષના નેતા હાલની રાજધાની અમરાવતીથી પરેશાન છે, કારણ કે ત્યાં વારંવાર પૂર આવે છે તેમજ બાંધકામનો ખર્ચ પણ વધારે છે.
તેલુગુ દેશમ પાર્ટી અને જનસેના સહિતના કેટલાક રાજકીય પક્ષોએ પાટનગરને અમરાવતીથી સ્થળાંતર કરવાની યોજનાનો વિરોધ કર્યો છે, જોકે એક કરતાં વધારે પાટનગરનો ખ્યાલ નવો નથી. બ્રિટિશ શાસન હેઠળ શિમલાને ભારતની ઉનાળાની રાજધાની બનાવવામાં આવી હતી.
જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર અને જમ્મુ બંને શહેરો પાસે પાટનગરનો દરજ્જો છે, જોકે કલમ-૩૭૦ હટાવ્યા બાદ હવે તેમાં સરકાર કયો ફેરફાર કરે છે તે જોવાનું રહે છે. નાગપુરને મહારાષ્ટ્રના ઉપપાટનગરનો દરજ્જો છે.
બિહારમાંથી ઝારખંડ અલગ રાજ્ય બન્યું ન હતું ત્યાં સુધી પટણા ઉપરાંત રાંચી પાસે પણ આ દરજ્જો હતો, પરંતુ જગન મોહન ચાર પાટનગર બનાવીને નવો ચીલો ચાતરવા માગે છે. હજુ સુધી ઉનાળા અને શિયાળાના પાટનગરનું ચલણ રહ્યું છે, પરંતુ જગન મોહન સંભવતઃ શિયાળા, ઉનાળા, ચોમાસા અને વસંતઋતુ માટે અલગ અલગ પાટનગર બનાવવા માગે છે.
વરસાદમાં પૂરની સંભાવના ન હોય ત્યાં તમામ નેતાઓ અને અધિકારીઓ જશે. ગરમી વધશે એટલે ઠંડી જગ્યાએ અને ઠંડી વધે એટલે ગરમ સ્થળે બધાં જશે. જ્યારે વસંતઋતુમાં કોઇ રમણીય સ્થળેથી સરકાર ચાલશે.
જગન મોહન માને છે કે તેનાથી અધિકારીઓને પણ સારું લાગશે. નેતા-અધિકારીઓ કામથી કંટાળશે નહીં. પાટનગર પાંચ થવાના છે તો રાજ્યમાં નાયબ મુખ્યપ્રધાન પણ પાંચ છે. તેથી એમ મનાઇ રહ્યું છે કે તમામ નાયબ મુખ્યપ્રધાનને એક-એક પાટનગરનો હવાલો અપાશે.
જોકે તેમાં એક સમસ્યા એવી પણ છે કે અમરાવતી સિવાય ચાર શહેરોને પાટનગરનો ખાસ દરજ્જો મળતાં ત્યાં વિકાસનાં કામ વધુ થશે, જેના પગલે અન્ય શહેરોના લોકો નારાજ થઇ શકે છે. જગન મોહન રેડ્ડીના આ નિર્ણયને જોકે કેટલાક તઘલખી ગણાવે છે. વર્ષમાં પાંચ વખત વહીવટનું કેન્દ્ર બદલાવાથી મોટા પાયે અધિકારીઓ અને કર્મચારીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફટ થતાં રહેવું પડશે.
વિપક્ષો એમ પણ કહે છે કે માત્ર વધારે પાટનગર બનાવી દેવાથી લોકોના પ્રશ્નો ઉકેલાઇ જવાના નથી. પાંચ-પાંચ પાટનગર બનવાથી આપોઆપ વહીવટમાં પણ સુધારો થઇ જતો નથી. આવા નિર્ણયોથી વહીવટીતંત્રની હાલાકી વધશે અને સરકારનો ખર્ચ પણ વધી જશે.
જગન મોહને મુખ્યપ્રધાન બન્યા પછી બધાંને સાથે લઇને ચાલવા માગે છે તેવો મેસેજ આંધ્રપ્રદેશના લોકોને આપવાનો સતત પ્રયાસ કર્યો છે. વિવિધ સમુદાયને રીઝવવા માટે જ પાંચ નાયબ મુખ્યપ્રધાનની નિમણૂક કરી છે.
ચૂંટણીમાં જંગી બહુમતી લાવીને જગન મુખ્યપ્રધાન બન્યા છે. તેમણે એ સમજવું પડશે કે રાજ્યનો વિકાસ આવા નિર્ણયો લેવાથી નહીં પણ એક ઇચ્છાશક્તિવાળી અને સંવેદનશીલ સરકારથી થાય છે. લોકોએ ભારે અપેક્ષા સાથે જગન મોહનને ખોબલે-ખોબલે મત આપ્યા છે. જગન મોહન લોકોની અપેક્ષામાં ખરા નહીં ઊતરે તો આવા બધા નિર્ણયો રાજકીય તુક્કા કે તરંગ સમાન સાબિત થશે.