VTV ગુજરાતીએ ઘૂડખર અભયારણ્યમાં થતાં દબાણને લઈ કર્યો છે મોટો ખુલાસો, શું ગુજરાતમાં અભયારણ્યોમાં છુટોદોર આપી દેવામાં આવ્યો છે?
સિંહોના અકાળે મૃત્યુ મામલે HCમાં સુનાવણી
અભયારણ્ય અને વન્ય જીવોનું રક્ષણ કરવું એ સરકારની જવાબદારી: HC
કચ્છમાં ઘૂડખર અભયારણ્યમાં થઈ રહેલા દબાણને VTVએ કર્યા છે ઉજાગર
VTVએ ડંકાની ચોટ પર કરેલા મોટા પર્દાફાશનો એક એ પણ મુદ્દો હતો કે કચ્છમાં ચાલી રહેલા મીઠાના કાળા કારોબારમાં ઘૂડખર અભયારણ્યની જમીનો પણ છોડવામાં આવી નથી. વિશ્વમાં માત્ર કચ્છમાં જ જોવા મળતા ધૂડખરની હરવા ફરવાની જમીન દાબી લઈ ખુલ્લેઆમ નિયમોને નેવે મુકાઇ રહ્યા છે. ત્યારે હાઈકોર્ટે આજે અભયારણ્ય અને વન્ય જીવોનું રક્ષણ કરવું એ સરકારની જવાબદારી હોવાનું કહી ફટકાર લગાવી છે. અને સિંહોના અકાળે મૃત્યુ મામલે જવાબદારી સમજીને સાચી વિગત સાથે રિપોર્ટ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
અભયારણ્ય અને વન્ય જીવોનું રક્ષણ કરવું એ સરકારની જવાબદારી: HC
સિંહોના અકાળે મૃત્યુ મામલે ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે નિમેલા કોર્ટ મિત્રએ યોગ્ય તપાસ ન થવા અંગે કોર્ટમાં જવાબ આપ્યો હતો. જે બાદ સરકારની કામગીરીની નારાજ ગુજરાત હાઈકોર્ટે અભયારણ્યમાં ચાલી રહેલા બેજવાબદાર તંત્ર વિષે રાજ્ય અને કેન્દ્ર સરકારને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે અને પૂરતી અને સાચી વિગતો સાથે કોર્ટમાં જવાબ રજૂનો નિર્દેશ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. અભયારણ્ય સંબંધિત તમામ વિભાગોનો રિપોર્ટ રજૂ કરવાની સાથે હાઈકોર્ટે સરકારને પોતાની જવાબદારી યાદ કરાવતા કહ્યું હતું કે અભયારણ્ય અને વન્ય જીવોનું રક્ષણ કરવું એ સરકારની જવાબદારી અને માટે જ જવાબદારી સમજીને સાચી વિગત સાથે રિપોર્ટ રજૂ કરવામાં આવે. હાઈકોર્ટના આ તારણથી એ તો સ્પષ્ટ અંદેશો લાગી રહ્યો છે ગુજરાતના અભયારણ્યમાં માત્ર નામ પુરતી જ સુરક્ષા છે બાકી તો કચ્છમાં ઘૂડખર અભયારણ્યમાં ચાલી રહેલા મીઠાના કાળા કારોબાર પર સરકારે કડક પગલા ભર્યા હોત. વીટીવી ગુજરાતીએ હજુ બે દિવસ પહેલા જ ઘૂડખર અભયારણ્યમાં ચાલી રહેલા મીઠાના વેપલાનો પર્દાફાશ કર્યો હતો છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. અને વન્ય જીવોનું રક્ષણની જવાબદારીમાંથી છટકી કાળા બજારીઑને છુટોદોર આપી દેવામાં આવી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે.
VTV ગુજરાતીએ ઘૂડખર અભયારણ્યમાં થતાં દબાણને લઈ કર્યો છે મોટો ખુલાસો
મીઠા માફિયાઓ કચ્છમાં ખૂલેઆમ અભયારણ્ય અને સરકારી જમીનો પર અગર બનાવીને પૈસા કમાઈ રહ્યા છે ત્યારે અધિકારીઓનાં પાપે મીઠા માફિયાઓને ખુલ્લુ મેદાન આપી દેવામાં આવ્યું છે. જોકે માત્ર અધિકારીઓ જ નહીં આ કૌભાંડમાં કેટલાય મોટા નેતાઓના તાર પણ અડતા હોવાના સમાચાર છે. VTV ગુજરાતીએ કચ્છમાં મીઠાનાં કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. કચ્છમાં મીઠું પકવવાનું ખૂબ મોટા પાયે બિઝનેસ ચાલે છે પરંતુ અધિકારીઓ અને નેતાઓ ભેગા થઈને હવે લાખો એકર જમીનમાં ગેરકાયદેસર મીઠું પકવીને મબલખ પૈસા ઘરભેગા કરી રહ્યા છે. VTV ગુજરાતી દ્વારા કરવામાં આવેલ તપાસમાં જાણવા મળ્યું કે કચ્છમાં આડેસરથી મુન્દ્રા, સુરજબારીથી નવલખીમાં લાખો એકર જમીન પર અગર માફિયાઓ અડ્ડો જમાવીને બેઠા છે.
અભયારણ્ય પર સરકારનો કોઈ કંટ્રોલ જ નથી?
સરકારની જમીનો પર તો ઠીક કચ્છનો કાળો કારોબાર તો ઘૂડખર માટે ફાળવવામાં આવેલ અભયારણ્યમાં પણ માફિયાઓ ખૂલેઆમ કરોડો રૂપિયાનો ધંધો કરી રહ્યા છે. VTV જ્યારે કચ્છના નાના રણ વિસ્તારમાં પહોંચ્યું તો જોવા મળ્યું કે જે અભયારણ્યમાં દાખલ થવા માટે પણ સામાન્ય નાગરિકોએ જાતજાતની પરવાનગી લેવી પડે તે અભયારણ્યની અંદર જ માફિયાઓનું રાજ ચાલી રહ્યું છે. આટલું જ નહીં આ માફિયાઓ પર એવા આશીર્વાદ છે કે ખોટી રીતે મીઠું પક્વતા લોકોને સરકાર જ એટલે કે PGVCL દ્વારા વીજકનેક્શન આપી દેવામાં આવ્યા છે. એક વીજ કનેકશન માટે 10 થી 30 લાખ રૂપિયા સુધીનો ભાવ બોલવામાં આવે છે અને PGVCLના ઉચ્ચ અધિકારીઓ હપ્તા પણ પહોંચાડવામાં આવે છે. આ કૌભાંડ બાદ ઘૂડખરને લઈને પણ સવાલ ઊભા થાય છે કે પ્રવાસનને વધારવા તથા આપણાં વન્ય જીવનને વધારવા માટે બનાવવામાં આવેલ અભયારણ્ય પર સરકારનો કોઈ કંટ્રોલ જ નથી.
કચ્છમાં ઘુડખરનું અભયારણ્ય આવેલું છે, ત્યારે કચ્છના કાળા કૌભાંડીઓએ ઘુડખરનું અભયારણ્યને પણ છોડ્યું નથી, મીઠાના કાળા કારોબારને લીધે સેંકડો એકર જમીન બંજર બની રહી છે, તેમજ ઉપજાઉ જમીનને પણ મીઠાની ખારાશ લાગી ગઈ છે, ત્યારે સમગ્ર અહેવાલ બાદ પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. સરકારની જમીનો પર ઉદ્યોગપતિ અને નેતાઓના સગાઓ અગરના માફિયા બનીને અડિંગો જમાવીને બેઠા છે અને સરકારની નજર સામે જ આ બધો કાળો કારોબાર ચાલી રહ્યો છે. કચ્છનાં મુંદ્રા, કંડલા અને અંજારમાં વન વિભાગ તથા રેવન્યુ વિભાગની જમીનો પર ગેરકાયદે અગર બનાવી દેવામાં આવ્યા છે. આ સિવાય રાપર, આદેસરના પટ્ટામાં આખે આખા ગામે ગામ ગેરકાયદેસર અગર બનાવી દેવાયા છે. ત્યારે હાઈકોર્ટે સિંહના મોત મામલે સુનાવણી કરતી વખતે સરકારને પોતાની જવાબદારીનું ભાન કરાવ્યું છે. અને અભયારણ્ય ચાલતા બેજવાબદાર તંત્ર મુદ્દે સરકારનો ઉધડો પણ લીધો છે.