કર્ણાટકના મૈસુરથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં પત્નીની વધુ પડતી સ્વચ્છતાની જીદથી ત્રસ્ત એક આધેડ વ્યક્તિએ મંગળવારે તેની પત્નીની હત્યા કરી દીધી અને બાદમાં પોતે આત્મહત્યા કરી લીધી હતી.
40 વર્ષીય મૃતક શાંતમૂર્તિ અને તેની 38 વર્ષીય પત્ની પુત્તમનીના લગ્ન 15 વર્ષ પહેલા થયાં હતાં. પડોશીઓ અને સંબંધીઓના જણાવ્યા મુજબ પુત્તમની સ્વચ્છતા પર વધારે ભાર મૂકતી હતી અને તેથી જ તેના પતિએ તેની હત્યા કરી હતી.
શાંતામૂર્તિના પાડોશી પ્રભુ સ્વામીએ કહ્યું, "મેં મારા જીવનમાં પુત્તમની જેવી કોઈ વ્યક્તિ જોઈ નથી. હું આ લોકોને છેલ્લા 8 વર્ષથી જોઈ રહ્યો છું. તે એક ખૂબ જ અંધશ્રદ્ધાળુ મહિલા હતી. અમને તેના ઘરની અંદર જવા પણ ડર લાગતો કારણ કે તેના ઘરે પ્રવેશવા માટે તે અમને નહાવાનું કહેતી."
બાળકોને પણ વારંવાર નવડાવતી આ મહિલા
મળતી માહિતી પ્રમાણે પુત્તમની દિવસમાં ઘણી વખત બાળકોને નવડાવતી હતી અને તેના પતિ જે પૈસા આપતો હતો તે પૈસાની નોટો પણ તે ધોઈ નાખતી. તે માનતી કે આ નોટો અન્ય ધર્મો અને જાતિના લોકો એ સ્પર્શ કરેલ છે જે તેને ગંદી કરે છે.
તેના એક સગાએ કહ્યું, "શાંતમૂર્તિએ મને તેમની પત્નીના આ વર્તન વિશે ઘણી વાર કહ્યું. તે શુદ્ધિકરણના નામે તેમના પર અત્યાચાર ગુજારતી હતી. તેના બાળકો પણ વારંવાર ન્હાવાને લીધે બીમાર થઈ ગયા હતા. પુત્તમનીએ ફરજિયાત બનાવી રાખ્યું હતું કે જો કોઈ પણ શૌચાલયમાં જાય છે, પ્રાણીઓને ખવડાવે છે અથવા કોઈને સ્પર્શ કરે છે, તો તેઓએ નહાવું પડે છે. તેથી જ તેઓ એકબીજા સાથે ઘણું ઝઘડતા હતા."
આખરે મંગળવારે શાંતમૂર્તિની ધીરજ ખૂટી ગઈ અને તેની પત્ની સાથેની દલીલ દરમિયાન તેણે ખેતરમાં પત્ની ઉપર હથિયાર વડે હુમલો કર્યો. આ કામ કર્યા બાદ તે તેના ઘરે આવ્યો હતો અને તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.
બાળકો પરત ફરતા ઘટનાનો થયો ખુલાસો
જો કે શાંતમૂર્તિએ પત્નીની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી હોવાની કોઈને માહિતી મળી નહોતી. જ્યારે તેના 12 અને 7 વર્ષનાં બાળકો શાળાએથી ઘરે પરત ફર્યા ત્યારે આ વાત બહાર આવી હતી. ઘરે પરત ફરતાં બાળકોને તેમના પિતાનો મૃતદેહ પંખાથી લટકતો મળ્યો અને મદદ માટે પડોશીઓ પાસે દોડી ગયા.
પાડોશીઓ ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં શાંતમૂર્તિ મૃત્યુ પામ્યા હતા અને પછીથી જ્યારે લોકોએ પુત્તમનીની શોધ શરૂ કરી ત્યારે તેઓને તેમનો મૃતદેહ ખેતરમાં મળી આવ્યો.