કોરોના વાયરસે આખી દુનિયામાં મહામારીનું રૂપ ધારણ કર્યું છે અને લોકો તેને મોતનું તાંડવ માનવા માંડ્યા છે. વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં 5 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારતમાં પણ 73થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, જ્યારે બે લોકોનાં મોત નીપજ્યાં છે. દરમિયાન, બેંગલુરુમાં એક વ્યક્તિમાં કોરોના વાયરસની પુષ્ટિ થયા પછી, હનીમૂનથી પરત આવેલી પત્ની તેને છોડીને માતાના ઘરે જતી રહી હતી.
પોલીસે આખરે દખલઅંદાજી કરીને આખા પરિવારને આઇસોલેશનમાં રાખ્યો
નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ વ્યક્ત કરી નારાજગી
હનીમૂન પછી ઇટાલીથી પરત આવેલા તેના પતિમાં કોરોના વાયરસના લક્ષણો મળ્યા બાદ તે એટલી ગભરાઈ ગઈ કે તે તેને છોડીને આગ્રા પોતાના ઘરે ભાગી ગઈ. હનીમૂન પછી ઇટાલીથી પરત ફર્યા બાદ, મહિલાના પતિમાં વાયરસ પોઝિટિવ મળ્યો હતો, ત્યારબાદ તેની સાથે સાથે ડોકટરોએ મહિલાને પણ આઇસોલેશનમાં રાખી હતી.
આ સમય દરમિયાન, મહિલા ભાગી ગઈ હતી અને ફ્લાઇટ પકડીને સીધી દિલ્હી ગઈ હતી અને ત્યારબાદ ટ્રેનમાં તે આગ્રા સ્થિત તેના પિયર ગઈ હતી. આ જાણીને વહીવટીતંત્રએ બેંગલુરુથી આગ્રા તરફ દોટ મૂકી હતી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ફ્લાઇટ અને ટ્રેનમાં ઘણા લોકોને કોરોનાથી પીડિત મહિલાના સંપર્કને કારણે ચેપ લાગ્યો હશે, જેની ઓળખ કરવી હવે મુશ્કેલ છે.
આટલું જ નહીં, આરોગ્ય વિભાગને આ વાતની જાણ આગ્રામાં થતાં તેઓ ઉતાવળે મહિલાના ઘરે દોડી ગયા હતા અને તેની શોધખોળ શરૂ કરી હતી. મહિલાનો પતિ પોઝિટિવ હોવાનું જણાતાં પત્નીને પણ આઇસોલેશનમાં રાખવામાં આવી હતી. પરંતુ આ મહિલા હોસ્પિટલમાં જવા તૈયાર નહોતી અને આ માટે વહીવટી તંત્રએ પોલીસની મદદ લેવી પડી હતી.
જ્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓ મહિલાના ઘરે પહોંચ્યાં ત્યારે તે પરિવારના અન્ય 8 સભ્યો સાથે રોકાઈ હતી. તેને આઇસોલેશનમાં રાખવાના નિર્ણયનો તેના પરિવારે વિરોધ કર્યો હતો. મહિલાના પિતાએ સ્પષ્ટ જૂઠું બોલતા કહ્યું હતું કે તેની પુત્રી બેંગલુરુથી પરત આવી જ નથી. આ પછી જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસને સ્થળ ઉપર બોલાવાયા હતા. પછી આખા પરિવારને આઇસોલેશનમાં ખસેડવામાં આવ્યો.
નોંધનીય છે કે મહિલાના લગ્ન આ વર્ષે ફેબ્રુઆરીમાં થયા હતા. આ પછી તે તેના પતિ સાથે હનીમૂન માટે ઇટાલી, ગ્રીસ અને ફ્રાન્સ ગઈ હતી, ત્યારબાદ તે બંને 27 ફેબ્રુઆરીએ મુંબઇ અને ત્યારબાદ બેંગલુરુ પહોંચ્યા, જ્યાં પતિ કોરોના વાયરસથી પીડિત હોવાનું જણાયું હતું અને બંનેને આઇસોલેશનમાં મોકલવામાં આવ્યા હતા.
આ રીતે મહિલા તેના ઘરે આવવા અને ફ્લાઇટ, ટ્રેન સહિતના તમામ સ્થળોએ ચેપ ફેલાવવા વિશે નારાજગી વ્યક્ત કરતા દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયાએ લખ્યું છે કે આ બેજવાબદાર કૃત્ય માટે મહિલાને ભગવાન પણ માફ નહિ કરે.
તમને જણાવી દઈએ કે મોદી સરકારે દેશમાં કોરોના વાયરસથી પીડાતા મૃત્યુ પામેલા બે લોકોના પરિવારને 4 લાખ રૂપિયા વળતર આપવાનો નિર્ણય કર્યો છે.