વિરાટ કોહલીએ સદીની વર્ષો જૂની રાહનો અંત લાવ્યો હતો અને ત્રણ અંકનો આંકડો પાર કર્યો હતો. શું કોહલીએ આગામી મેચમાં ઓપનર રહેવું જોઈએ, આ વિશે વિરેન્દ્ર સહેવાગે શું કહ્યું જાણો.
વિરાટ કોહલીએ કરિયરની 71મી સદી ફટકારી
એશિયા કપ 2022માં 61 બોલમાં અણનમ 122 રન
વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે ઓપનીંગ બેટિંગ કરી હતી
વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે એશિયા કપ 2022ની છેલ્લી સુપર ફોર ગેમમાં સદીની વર્ષો જૂની રાહનો અંત લાવ્યો હતો અને ત્રણ અંકનો આંકડો પાર કર્યો હતો. રોહિત શર્માની ગેરહાજરીમાં ઈનિંગની શરુઆત કરવા ઉતરેલા કોહલીએ માત્ર 61 બોલમાં અણનમ 122 રન ફટકારતાં ભારતને 212ના મોટા સ્કોર સુધી પહોંચાડયું હતુ.
ઓપનીંગ બેટ્સમેનનો મોકો મળ્યો હતો
ત્રીજા નંબર પર બેટિંગ કરતી વખતે કોહલીને એટલો સમય નથી મળતો જેટલો તેને ઇનિંગની શરૂઆતથી મળે છે. કોહલીને વધુ બોલ રમવાની તક મળી હતી અને ત્યાર બાદ આ ટોપ ક્લાસ બેટ્સમેન મેદાન પર શું રમ્યું છે તે બધાએ જોયું હતુ. આવી સ્થિતિમાં સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે શું કોહલીએ અફઘાનિસ્તાન સામેની સફળતા બાદ હવે ઈનિંગની શરુઆત(ઓપનીંગ બેટ્સમેન) કરવી જોઈએ ?
વિરેન્દ્ર સહેવાગે ઇનિંગ વિશે ચર્ચા કરી
ક્રિકબઝ સાથે વાત કરતા ભારતના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગે ખુલાસો કર્યો હતો કે શા માટે વિરાટ કોહલી ઓપનર ન બની શકે. સેહવાગે પોતાનો અભિપ્રાય શેર કર્યો હતો અને કેટલીક દલીલો કરી હતી અને ચાહકોને યાદ અપાવ્યું હતુ કે, રોહિત શર્મા આરામ ફરમાવી રહ્યો હોવાથી ભારતના ભૂતપૂર્વ કેપ્ટનને ઈનિંગની શરુઆત કરવાની તક મળી હતી.
કોહલીને ઓપનરનો મોકો કેમ મળ્યો
સેહવાગે ક્રિકબઝને કહ્યું, "ના. આ તર્કથી રાહુલ દ્રવિડ પણ ઓપનર બની શક્યો હોત. સચિન તેંડુલકર ટેસ્ટમાં પણ ઓપનિંગ કરી શક્યો હોત. તેણે ઓપનર તરીકે 1-2 મેચમાં પણ મોટી ઇનિંગ્સ રમી છે. જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી દ્રવિડે પણ 160-170 રન કર્યા હતા અને જ્યારે અમે ટેસ્ટમાં ઓપનિંગ વિકેટ માટે 400 રનની ભાગીદારી કરી હતી, ત્યારે તેઓ અણનમ રહ્યા હતા. આ માત્ર એટલે જ શક્ય થયું કારણ કે કેપ્ટન મેચમાં રમી રહ્યા નહોતા, આથી જ કોહલીએ ઓપનિંગ કર્યું હતું."
ત્રણ વર્ષ બાદ સદી ફટકારી
વિરાટ કોહલીએ લગભગ ત્રણ વર્ષ બાદ 8 સપ્ટેમ્બરે એશિયા કપની મેચમાં અફઘાનિસ્તાન સામે સદી ફટકારી હતી. 71મી આંતરરાષ્ટ્રીય સદી સાથે હવે તે રિકી પોન્ટિંગની બરોબરી પર આવી ગયો છે અને તેના કરતાં માત્ર સચિન તેંડુલકર (100 સદીઓ મારી) જ આગળ છે.