કેન્દ્રીય વીજપ્રધાન આર.કે. સિંહે વીજળી બચાવવાના ઉદ્દેશથી ગ્રાહકોને પોતાનાં એરકન્ડિશનર (એસી)નું સરેરાશ તાપમાન ૨૪ ડિગ્રી પર ચલાવવા આગ્રહ કર્યો છે એટલું જ નહીં, આ દિશામાં પહેલ કરીને કેન્દ્રીય ઊર્જા મંત્રાલયે કેન્દ્ર સરકારનાં મંત્રાલય, જાહેર સાહસો-વિભાગોને પત્ર લખીને એસી ૨૪થી ૨૫ ડિગ્રીના તાપમાન પર ચલાવવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મંત્રાલયના જણાવ્યા અનુસાર જો એસીને ૨૪-૨૫ ડિગ્રી સે. તાપમાન પર ચલાવાય તો તેનાથી વીજબિલમાં નોંધપાત્ર બચત થઇ શકે છે. એસીનું એક ટકા તાપમાન ઘટવાથી કુલ વીજળી વપરાશમાં છ ટકાનો ઘટાડો થાય છે.
વીજપ્રધાને જણાવ્યું છે કે સામાન્યતઃ રૂમનું તાપમાન ૨૦થી ૨૧ ડિગ્રી હોય છે, જ્યારે આરામદાયક સ્થિતિમાં ભેજ, હવા વગેરેને ધ્યાનમાં રાખતાં તાપમાન ૨૪થી ૨૫ સે. વચ્ચે ફિક્સ્ડ કરવું જોઇએ. તેનાથી ગ્રાહકોના વીજબિલમાં ઘટાડો થશે. તેમણે જણાવ્યું હતું કે અમે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો લાવવા બાબતે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ સંદર્ભે વીજળીની બચત કરવી જરૂરી છે.