જે ભક્ત હનુમાનજીની પૂજા નિયમિત રૂપે કરે છે તેમની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. હનુમાનજી કલયુગમાં પણ છે અને પૂજા કરવાથી જલ્દી જ પ્રસન્ન થઇ જાય છે. હનુમાન ચાલીસાનો પાઠ અને મંદિરમાં હનુમાનજીના દર્શન કરવા માત્ર થી જ સુખ-સમૃદ્ધિમાં વધારો થઇ જાય છે.
હનુમાનજીની પૂજામાં સિંદૂરનું અનેરું મહત્વ રહેલું છે. સિંદૂર વિના હનુમાનજીની પૂજા અધુરી છે.
હનુમાનજીને સિંદૂર લગાવવા પાછળનું મહત્વ
હનુમાનજીની મૂર્તિ પર સિંદૂરનો લેપ લગાવવામાં આવે છે. તેના પાછળ પણ એક રોચક કથા છે. એક કથા અનુસાર, એકવાર હનુમાનજીએ માતા સીતાને પોતાની માંગમાં સિંદૂર લાગવતા જોઇ લીધા હતા. ત્યારે તેમના મનમાં એક સવાલ ઉઠ્યો હતો કે માતા સીતા આખરે પોતાના માંગમાં સિંદૂર કેમ લગાવે છે. એમણે સીતા માતાને તેનું કારણ પૂછ્યું. ત્યારે માતા સીતાએ કહ્યું કે એ પોતાન પ્રભુ શ્રી રામના લાંબા આયૂષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે માંગમાં સિંદૂર લગાવે છે.
માતા સીતાની વાત સાંભળીને હનુમાનજીના મનમાં એ સવાલ ઉઠ્યો કે થોડું સિંદૂર લગાવવાથી પ્રભુ શ્રી રામને આટલો ફાયદો મળશે તો આખા શરીરે લગાવવાથી પ્રભુ હંમેશા અમર થઇ જશે. ત્યારે હનુમાનજીએ આખા શરીરે સિંદૂરનો લેપ લગાવી લીધો હતો. ત્યારથી જ હનુમાનજીને સિંદૂર લગાવવાની પરંપરાની શરૂઆત થઇ હતી.