લોકસભા ચૂંટણી અગાઉ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગરીબ સવર્ણોને અનામત પર મહોર લગાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિર્ણયને ચૂંટણી અગાઉ માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે.
આ નિર્ણય બાદ સરકારી નોકરી અને શિક્ષાના ક્ષેત્રમાં સવર્ણોને આર્થિક આધાર પર 10 ટકા અનામત આપવામાં આવશે. કેબિનેટની મંજૂરી બાદ આજે સંવિધાન સંશોધન બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે.
ભાજપે પોતાના બધા સાંસદોને સંસદમાં હાજર રહેવા વ્હીપ જારી કર્યું છે. જ્યારે કોંગ્રેસે પહેલાથી જ પોતાના સાંસદોને સંસદમાં હાજર રહેવા વ્હીપ જારી કરી દીધુ હતુ.
કેન્દ્ર સરકારના આ નિર્ણયને માસ્ટર સ્ટ્રોક એટલા માટે માનવામાં આવી રહ્યો છે કે આ અગાઉ ઘણા બધા પક્ષો આ અંગેની માગ કરી રહ્યા હતા.
આ જ કારણ છે કે સોમવારે જ્યારે કેબિનેટનો નિર્ણય આવ્યો ત્યારે કોઇ પક્ષે તેનો વિરોધ કર્યો નથી. કોંગ્રેસે સોમવારે જ આ અંગે નિવેદન આપતાં સમર્થન જાહેર કર્યું હતું પરંતુ સરકારને પૂછ્યું હતું કે યુવાઓને રોજગાર ક્યારે આપશે.
આમ કેન્દ્ર સરકારનો વિરોધ કરી રહેલા વિપક્ષ માટે આ બીલનો વિરોધ કરવો મુશ્કેલ બનશે કારણ કે બસપા પ્રમુખ માયાવતીથી લઇને ટીડીપી સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુ આર્થિક આધાર પર સામાન્ય વર્ગને અનામત આપવાની માગ કરી રહ્યા હતા.