શિવ મંદિરોમાં આપણે ભક્તોને નંદીના કાનમાં કંઇક કહેતા હોય તેમ જોયુ છે પરંતુ આવુ કરવાનું શું છે કારણ, શા માટે શિવજીને નહી પણ નંદી સામે વ્યક્ત કરાય છે ઇચ્છા
શિવજીના મંદિરોમાં કેમ હોય છે નંદી
શિવ પહેલા નંદીને કેમ કરાય છે નમન
નંદી છે શિવજીના સૌથી મોટા ભક્ત
શિવમંદિરોમાં શિવજીના ગર્ભગૃહ પહેલા નંદી અને કાચબાની પ્રતિમા આપણને જોવા મળે છે. નંદીને ભગવાન ભોલેનાથનું વાહન કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો નંદીને પ્રસન્ન કરવા જરૂરી છે. તમે જોયું જ હશે કે મંદિરમાં ભગવાન ભોલેનાથના દર્શન કરતા પહેલા લોકો નંદીની સામે હાથ જોડીને કાનમાં મન્નત માંગે છે, તેની પાછળનું કારણ શું છે? અને તેનું રહસ્ય શું છે, ચાલો તમને જણાવીએ.
નંદી શિવના સૌથી મોટા ભક્ત
જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું ત્યારે ભગવાન શિવે ઝેર પીને આ સંસારનો ઉદ્ધાર કર્યો. ઝેરના કેટલાક ટીપાં જમીન પર પડ્યા, જેને નંદીએ પોતાની જીભથી ચાટી લીધા, નંદીનું આ સમર્પણ જોઈને ભગવાન શિવે તેમને સૌથી મોટા ભક્તનું બિરુદ આપ્યું અને આશીર્વાદ આપ્યા કે તેમના પહેલા લોકો નંદીના દર્શન કરશે.
નંદી પહોંચાડે છે શિવ સુધી વાત
નંદીને ભગવાન શિવના દ્વારપાળ કહેવામાં આવે છે. ભગવાન શિવના દર્શન કરતા પહેલા નંદીના દર્શન કરવામાં આવે છે. નંદી ભક્તોની પરીક્ષા પણ લે છે. એમ કહેવાય છે કે ભક્ત આ પરીક્ષામાં પાસ થઇ જાય તો શિવજીના દર્શન કરવા માટેના દ્વારા ખોલી દે છે. ભગવાન શિવ સમક્ષ,ભક્તો નંદીના કાનમાં તેમની ઇચ્છાઓ કહે છે અને આ ઇચ્છાઓ નંદી ભગવાન શિવ સુધી પહોંચાડે છે અને શિવજી તમારી ઇચ્છા પુરી કરશે તેવું માનવામાં આવે છે.
નંદી કેવી રીતે શિવના ગણ બન્યા
કહેવાય છે કે શિવની કઠોર તપશ્ચર્યા બાદ શિલાદ ઋષિએ નંદીને પુત્ર સ્વરૂપે મેળવ્યા હતા. નંદીને તેના પિતાએ સમગ્ર વેદોનું જ્ઞાન આપ્યું હતું. એક દિવસ શિલાદ ઋષિના આશ્રમમાં બે દિવ્ય ઋષિઓ આવ્યા, નંદીએ બંનેની ખૂબ સેવા કરી, ઋષિ ખૂબ જ પ્રસન્ન થયા, તેમણે શિલાદ ઋષિને લાંબા આયુષ્યનું વરદાન આપ્યું પણ નંદીને આપ્યું નહીં..
જ્યારે શિલાદ ઋષિએ તે દૈવી ઋષિઓ પાસેથી કારણ જાણ્યુ તો તેમણે કહ્યું કે નંદી અલ્પજીવી છે. આ સાંભળીને ઋષિ શિલાદ ચિંતિત થઈ ગયા, જ્યારે નંદીએ પિતાને તેમની ચિંતાનું કારણ પૂછ્યું તો તેમણે તેમને સત્ય કહ્યું. આ સાંભળીને નંદી હસવા લાગ્યા અને કહ્યું કે શિવની કૃપાથી તમે મને પ્રાપ્ત કર્યો છે અને તે મારી રક્ષા કરશે. આ પછી નંદીએ ભુવન નદીના કિનારે શિવની સખત તપસ્યા કરી. જ્યારે શિવ દેખાયા ત્યારે નંદીએ કહ્યું કે તે આખી જીંદગી તેમની સાથે રહેવા માંગે છે. શિવ નંદીના સમર્પણથી પ્રસન્ન થયા અને તેને બળદનું મુખ આપીને પોતાનું વાહન બનાવ્યું અને તેને પોતાના ગણમાં સામેલ કર્યા. આ સાથે તેમણે આશીર્વાદ પણ આપ્યા કે જ્યાં શિવજી નિવાસ કરશે ત્યાં નંદી પણ રહેશે.