દિલ્હીના ચકચારી નિર્ભયા રેપ કાંડના આરોપીઓને ગમે ત્યારે ફાંસી પર લટકાવાય તેવી શકયતા છે. બીજી બાજુ સુરતમાં બાળકીના બળાત્કાર અને હત્યામાં સંડોવાયેલા આરોપીને નીચલી અદાલતે ફટકારેલી ફાંસીની સજા યથાવત રાખી છે. તમે ઘણી વાર ફિલ્મોમાં જોયું હશે કે જ્યારે કોર્ટમાં જજ કોઈ ગુનેગારને ફાંસીની સજા સંભળાવતા ઓર્ડર પર સહી કરે તે પછી તરત જ તે પેનની નીબ તોડી નાખે છે.પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે આ પ્રથા પાછળનું કારણ શું છે?
શું કોઈ ગુનેગારને પેનની નીબ તોડયા વિના ફાંસી આપવાનો આદેશ આપી શકાય નહીં? રસપ્રદ બાબત એ છે કે આવી પ્રથા માત્ર ભારતમાં છે. ભારતીય કાયદા મુજબ જ્યારે કોઈ દોષીને ફાંસીની સજા આપવામાં આવે છે ત્યારે જજ આ પ્રથાને અનુસરે છે.
ભારતીય કાયદા મુજબ રેરેસ્ટ ઓફ રેર એટલે કે દુર્લભ કેસના કિસ્સામાં જ આરોપીને મોતની સજા દેવાની જોગવાઈ છે.મોતની સજા ફટકાર્યા બાદ જજ પેનની નીબ તોડે છે,એવી આશામાં કે સમાજમાં આવા ગુના બને જ નહીં. એક કારણ એવું પણ માનવામાં આવે છે કે આ સજા મેળવનાર વ્યક્તિનું જીવન સમાપ્ત થવાનું હોય છે, તેથી જિંદગી છિનવી લેતી સજા સંભળાવ્યા બાદ પેનની નીબ તોડવામાં આવે છે.
જેથી નીબ તોડવાથી પેનનું જીવન પણ તેની સાથે સમાપ્ત થઈ જાય છે. ઉપરાંત તે પેનથી તે પછી કંઇ પણ લખી શકાતું નથી. એક એવી પણ ભાવના છે કે ચૂકાદા પછી જો પેનની નિબ તૂટી ગઈ હોય, તો જજને પણ પોતાને નિર્ણય બદલવાનો અધિકાર નથી. એકવાર પેન નિબ તૂટી ગયા પછી આ નિર્ણય પર પુનર્વિચારણા કરી શકાશે નહીં.
ભારતમાં ફાંસી લગાડવી એ કોઈ મોટા ગુના માટેની અંતિમ સજા છે. એકવાર સુપ્રીમ કોર્ટ દ્વારા તેને યથાવત રાખવામાં આવે તે પછી સજા બદલી શકાતી નથી. જો કે, ફાંસીની સજા પામેલા આરોપી પાસે એકમાત્ર અને છેલ્લો રસ્તો દેશના રાષ્ટ્રપતિના સમક્ષ દયાની અરજી કરવાનો રહે છે. રાષ્ટ્રપતિ પોતાની વિવેકબુદ્ધિના આધારે ફાંસીની સજા માફ પણ કરી શકે છે.