જોશીમઠમાં મચેલા કુદરતનાં કહેરની વચ્ચે લોકોનાં જીવ જોખમમાં મુકાયા છે. એક રિપોર્ટ અનુસાર આશરે 561 મકાન આ ભૂસ્ખલનથી પ્રભાવિત થયાં છે અને નિવાસીઓને તાત્કાલિક ધોરણે શિફ્ટ કરવામાં આવ્યાં છે. જાણો સમગ્ર મામલો.
ઉત્તરાખંડનાં જોશીમઠનું અસ્તિત્વ જોખમમાં
સ્થાનિકોનાં મકાનોમાં પડી રહી છે તિરાડો
પ્રશાસને તાત્કાલિક લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડ્યાં
ઉત્તરાખંડનાં ચમોલીનો જોશીમઠ બદ્રીનાથનો દ્વાર માનવામાં આવે છે. જોશીમઠમાં જમીન ધસવાની અનેક ઘટનાઓ છેલ્લા કેટલાક દિવસોથી સામે આવી રહી છે. જમીનમાં ભૂકંપ જેવી સ્થિતી જણાતા હજારો સ્થાનિકો પરિવાર સહિત જોશીમઠ છોડી પલાયન પણ કરી રહ્યાં છે. ડિસેમ્બર મહિનામાં કેટલાય ઘરોની દિવાલો પર તિરાડો જોવા મળી છે તો રસ્તાઓનાં 2 હિસ્સા થઈ ચૂક્યાં છે.ગયાં વર્ષે વરસાદ ન પડવા છતાં જમીનો ધસાઈ રહી છે અને મકાનો જમીનમાં સમાઇ રહ્યાં છે. ડિસેમ્બર મહિનામાં એક રિપોર્ટ અનુસાર આશકે 561 મકાન તેનાથી પ્રભાવિત થયાં છે જેમાં 3 હજાર લોકો નિવાસ કરે છે.
ચારધામ રોડ અને રોપવે પર પણ લાગી રોક
જોશીમઠમાં બની રહેલી 'ઑલ વેધર ચારધામ રોડ'નાં નિર્માણ પર પણ રોક લગાવવામાં આવી છે. ADM અભિષેક ત્રિપાઠીએ આંદોલનકારીઓને નિર્માણકાર્યો પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. આ સિવાય ઔલી રોપવેનું સંચાલન પણ બંધ કરવાનાં આદેશો અપાયા છે. આ રોડ પર આશરે 12000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અનુમાન લગાવવામાં આવ્યો છે. જોશીમઠમાં યાત્રીઓ માટે બનાવવામાં આવેલ ખાસ રોપવે સેવા પણ બંધ કરી દેવાઈ છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂસ્ખલનની ઘટના વધતાં એશિયાની સૌથી લાંબી રોપવે સેવા પણ પર્યટકો માટે રોકવામાં આવી છે.
લોકો મશાલ લઇ કરી રહ્યાં છે વિરોધ
જોશીમઠમાં ઘરોમાં તિરાડો આવવાને કારણે નિવાસીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. પ્રદર્શનકારીઓ બગડતી સ્થિતિ માટે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવી રહેલા જળવિદ્યુત યોજનાને જવાબદાર જણાવી રહી છે.
લોકોનાં ઘર અસરગ્રસ્ત થતાં સ્થાનિકો જોશીમઠ બચાવ સંઘર્ષ સમિતિનાં બેનર લઈ રસ્તા પર ઊતર્યાં હતાં. આંદોલનકારીઓ ધરણા પર બેઠાં અને બદરીનાથ હાઇવે પર પણ જામ લગાવી દીધેલ હતો. મશાલ હાથમાં લઈને લોકો સરકાર પાસે સમાધાન શોધવાની માંગ ઊઠાવી રહ્યાં છે. લોકોએ સરકાર પાસે જોશીમઠનું અસ્તિત્વ બચાવવા માગ કરી છે.
દિવાલોમાંથી નિકળ્યું પાણી!
જાણકારી અનુસાર જોશીમઠનાં મારવાડીમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂસ્ખલનની ઘટના બની રહી છે જેના કારણે અચાનક બદ્રીનાથ રાષ્ટ્રીય રાજમાર્ગ-58માં લાગેલ જયપ્રકાશ પાવર પ્રોજેક્ટ કોલોનીની અંદરથી પાણી દિવાલોમાંથી અને જમીનમાંથી બહાર આવી રહ્યું છે.
પરિવારોને સુરક્ષિત સ્થળો પર પહોચાડવામાં આવ્યાં
આ ઘટના બાદ જિલ્લા પ્રશાસન તરત જ એક્શનમાં આવ્યું. અધિકારીઓએ જાણકારી આપી છે કે કેટલાક મકાનોમાં તિરાડો આવવાને કારણે ઓછામાં ઓછો 30 પરિવારોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યું છે. પ્રશાસને લોકો માટે 70 રૂમ, 7 હોલ અને 1 ઓડિટોરિયમની વ્યનસ્થા કરી છે.સૂત્રો અનુસાર જોશીમઠ શહેરનાં વિવિધ વિસ્તારોનાં આશરે 561 મકાનોમાં તિરાડો આવી છે જેમાં રવિગ્રામમાં 153, ગાંધીનગરમાં 127, મનોહરબાગમાં 71, સિંહઘારમાં 52, પરસારીમાં 50, અપર બજારમાં 29 વગેરે જગ્યાનાં મકાનો સમાવિષ્ટ છે.
મુખ્યમંત્રી પુષ્કરસિંહ ઘામીએ કરી ઘટનાની સમીક્ષા
મુખ્યમંત્રી પુષ્કરસિંહ ઘામીએ કહ્યું કે જોશીમઠમાં સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને તે સ્થિતિનું પરિક્ષણ કરવા સ્વયં સ્થળ પર પહોંચ્યાં હતાં. સીએમએ આ વિષય પર ખાસ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કરશે જેમાં મુખ્ય સચિવ, સચિવ આપત્તિ પ્રબંધન, સચિવ સિંચાઇ, ડીજીપી, ડીઆઇજી, ડીએમ ચમોલી વગેરે હાજર રહેશે. ભૂકંપનો ખતરો ધરાવતાં ઝોન -પાંચનાં આ શહેરમાં સર્વે કરવા માટે વિશેષજ્ઞોનાં એક દળને પણ ગઠીત કરવામાં આવ્યું છે.
1976માં થઈ હતી ભવિષ્યવાણી
જોશીમઠમાં ભૂસ્ખલન નવી વાત નથી. થોડા વર્ષો પહેલાં ભૂસ્ખલનની ઘટના વધવાને લીધે તપાસ માટે મિશ્રા કમિટીનું પણ ગઠન કરવામાં આવ્યું હતું અને 1976માં આ કમિટીએ પોતાની રિપોર્ટમાં જણાવ્યું કે જોશીમઠ જૂનાં ભૂસ્ખલન ક્ષેત્રોમાં સમાવિષ્ટ છે. આ ક્ષેત્ર બોલ્ડરો અને નબળી માટીમાં વસેલું છે. કેટલાક લોકો તો એવું પણ કહી રહ્યાં છે કે વીજળી પરિયોજના અને રોડ રસ્તાનાં નિર્માણ માટે વિસ્ફોટકોનો ઉપયોગ કરવાને લીધે પણ ભૂસ્ખલનની ઘટનાઓ વધી છે. 1976માં તો આ પરિસ્થિતિનો સામનો કરવા માટેનો ઉપાય પણ આપવામાં આવ્યો હતો જેમાં વધુ વક્ષારોપણને લઈને સલાહ આપવામાં આવી હતી. ત્યારબાદ 2001માં પણ એક રિપોર્ટમાં આ ખતરાને લઈને આગાહી કરવામાં આવી હતી.
ફેબ્રિકેટેડ મકાનો તૈયાર થશે
જોશીમઠમાં થયેલ ભૂલ્ખલન બાદ પ્રશાસને લોકોને સુરક્ષિત સ્થળોમાં ખસેડી દીધેલ છે. પ્રશાસને પ્રભાવિત પરિવારોને શિફ્ટ કરવા માટે NTPC અને HCC કંપનીઓને તાત્કાલિક ધોરણે 2-2 હજાર પ્રી-ફેબ્રિકેટેડ ભવન તૈયાર કરવાનો પણ આદેશ આપેલ છે. જોશીમઠને બચાવવા માટે સરકાર તમામ શક્ય પ્રયાસો કરવા તૈયાર છે.
શા માટે કંપી રહ્યું છે જોશીમઠ?
જોશીમઠ કંપિત થવાનું મુખ્ય કારણ ભૌગોલિક પરિબળ છે. જોશીમઠની જમીનની કન્સ્ટ્રક્શન સહન કરવાની ક્ષમતા ઘણી ઓછી છે. એક્સપર્ટ્સએ ઘણા સમય પહેલા કન્સ્ટ્રક્શન અંગે ચેતવણી આપી હતી તેમ છતાં વધુ પડતાં ભારે બાંધકામ, હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ અને નેશનલ હાઈવેને પહોળું કરવા વગેરે જેવી પ્રવૃતિઓને લીધે સ્થિતિ લથળતી હોય તેવું લાગી રહ્યું છે.આ ક્ષેત્ર બોલ્ડરો અને નબળી માટીમાં વસેલું છે જેના કારણે જાણકારોએ જણાવ્યું કે આ જમીન વધુ પડતું પ્રેશર સહન નથી કરી શકતી. આ પ્રેશર મોટા ભાગે પાણી એટલે કે ચોમાસા દરમિયાન સર્જાય છે.