હાલમાં સમગ્ર વિશ્વમાં અમેરિકા અને ચીનનું વ્યાપાર યુદ્ધ ચર્ચામાં છે. આ ટ્રેડ વોર કરતા પણ વધુ ચિંતાજનક તણાવ અત્યારે જાપાન અને સાઉથ કોરિયા વચ્ચે ચાલી રહ્યો છે. નોંધનીય છે કે આ ટ્રેડ વોરની સીધી અસર સ્વરૂપે સમગ્ર દુનિયામાં સૌથી વધુ વપરાતા એવા સ્માર્ટફોન્સની કિંમતમાં ભડકો થઇ શકે તેમ છે. ભારત જેવા વિકાસશીલ દેશ માટે સ્માર્ટફોનની કિંમતમાં વધારો ખુબ માઠા સમાચાર હોઈ શકે છે.
કોરિયા જાપાનની ગુલામીથી મુક્ત થયા બાદ જાપાને આપેલા વળતરથી નાખુશ હતું
કોરિયાની નારાજગીથી ધુંધવાયેલા જાપાને કોરિયા સાથે વ્યાપારી સંબંધો ઓછા કરી દીધા
કોરિયા સ્માર્ટફોન માટે આવશ્યક એવા સેમિકંડકટરના નિર્માણ માટે જાપાનથી આવતા 3 રાસાયણિક ઉત્પાદનો ઉપર નિર્ભર
હાલ જાપાન અને સાઉથ કોરિયા વચ્ચે ચાલી રહેલા તણાવથી વિશ્વ ચિંતામાં મુકાયું છે. જો આ લાંબો સમય ચાલે તો વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ મચી શકે તેમ છે.
જેમ ચીન અને અમેરિકા એક બીજાના ઉત્પાદનોના ટેરિફ વધારી રહ્યા છે એમ જાપાન અને સાઉથ કોરિયા પોતાના વ્યાપારી સંબંધો ખતમ કરવાની કોશિશ કરીને એકબીજા પર દબાણ મૂકી રહ્યાં છે.
ક્યાંથી શરુ થયું આ ટ્રેડવોર?
જુલાઈ 2019માં જાપાને સાઉથ કોરિયા ઉપર જાપાનથી નિકાસ થતા 3 અતિ અગત્યના રાસાયણિક પદાર્થો 'ફ્લોરિનેટેડ પોલીમાઇડ', 'ફોટો રેઝિસ્ટ' અને 'હાઇડ્રોજન ફ્લોરાઈડ'ને ખરીદવા ઉપર સાઉથ કોરિયા ઉપર પ્રતિબંધ લાદી દીધો. જાપાનનો આરોપ હતો કે સાઉથ કોરિયા આ રસાયણો ઈરાન, નોર્થ કોરિયા જેવા બ્લેક લિસ્ટના દેશોને છુપી રીતે મોકલે છે.
અહીં નોંધનીય છે કે આ 3 પદાર્થો સાઉથ કોરિયા માટે સ્માર્ટફોન્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટેના ડિસ્પ્લે સ્ક્રીન અને સેમિકન્ડક્ટર્સ બનાવવા માટે ખૂબ અગત્યના છે. હાલમાં કમ્પ્યુટરમાં AMD, intel વગેરે કંપનીઓના પ્રોસેસર્સ અને સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન વગેરે જેવા પ્રોસેસર્સ આ પદાર્થોની વગર બનવા આ અશક્ય છે. જાપાન આ પદાર્થોનો વિશ્વમાં 90% જેટલો સપ્લાય ધરાવે છે.
સાઉથ કોરિયા સમગ્ર વિશ્વના આ પ્રકારના કુલ ઇલેક્ટ્રોનિક ઉપકરણોના સપ્લાયમાં 61%નો સિંહફાળો ધરાવે છે. 2018માં સેમિકન્ડક્ટર્સની નિકાસથી સાઉથ કોરિયાએ તેની કુલ નિકાસમાં 92%ની જંગી વૃદ્ધિ નોંધાવી હતી. આમ સેમિકન્ડક્ટર્સ સાઉથ કોરિયા માટે આવશ્યક ઉત્પાદન છે. ભારત પોતે પોતાનું IC ચિપ્સનું ઉત્પાદન વધારવા માંગે છે. ચીને પણ પોતાનું ઉત્પાદન 16% થી વધારીને 2025માં 70% સુધી લઇ જવું છે.
આ પ્રકારના તણાવથી વૈશ્વિક ધોરણે સેમિકન્ડક્ટર્સની કિંમતમાં ઉછાળો આવે તેવી સંભાવના છે જેના પરિણામે ઇલેક્ટ્રિક ઉપકરણો અને ખાસ કરીને સ્માર્ટફોન્સની કિંમતમાં મોટો ઉછાળો આવે તેવી શક્યતા છે.
શું છે જાપાન અને કોરિયા વચ્ચેનો વિવાદ?
જાપાન અને કોરિયા વચ્ચેનો વિવાદ 60 વર્ષ જૂનો છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1910 થી 1945 સુધી કોરિયા જાપાનનું ગુલામ હતું. આ સમયે જાપાને કોરિયાનું આર્થિક શોષણ કર્યું હતું. કેટલીય કોરિયન સ્ત્રીઓને જાપાને સેક્સ ગુલામ તરીકે રાખી હતી.
જાપાનના હાલના વડાપ્રધાન શિન્ઝો આબેએ જાહેરમાં કોરિયા ઉપર થયેલા જુલ્મો અંગે કોરિયાની માફી માંગી હતી અને કોરિયાને સહાયતા પેટે 1 કરોડ ડોલરનું ફંડ આપ્યું હતું અને બદલા આંતરરાષ્ટ્રીય મંચ ઉપર કોરિયા જાપાન સામે કડવાશ નહિ રાખે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.
જો કે ઘણા બધા કોરિયન લોકોના મતે આ વળતર ખૂબ ઓછું હતું. 2017માં સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ તરીકે મૂન જે ઈન ચૂંટાયા હતા. તેમણે આ કરારને રદબાતલ કરી દીધો હતો.
2018ના અંતમાં સાઉથ કોરિયાની સુપ્રીમ કોર્ટે જાપાનની કંપનીઓને ગુલામી સમયે મજૂરી કરતા કોરિયન ગુલામોની હાલની પેઢીને વળતર આપવાનો હુકમ કર્યો હતો. સાઉથ કોરિયાના આ વલણથી જાપાન ગિન્નાયું હતું અને તેણે સાઉથ કોરિયાને વેપારની 27 દેશોની WHITE list યાદીમાંથી બહાર કાઢી દીધું હતું. આ ઉપરાંત જાપાને ઉપરના 3 રસાયણોની સાઉથ કોરિયાની ખરીદી ઉપર પણ પ્રતિબંધ ફરમાવી દીધો હતો.
ભારતને શું નુકશાન છે?
કોરિયાની કંપની સેમસંગના સ્માર્ટફોન્સ ભારતમાં ખૂબ પોપ્યુલર છે. જાપાન સાથેના આ વિવાદમાં સેમસંગના ફોન્સની કિંમતમાં સીધો વધારો થઇ શકે છે. આ ઉપરાંત ભારતમાં આયાત થતી IC ચિપ્સની કિંમત સેમિકન્ડક્ટર્સના ભાવ વધવાથી મોંઘી થશે. આ કારણે ભારતમાં કમ્પ્યુટર અને સ્માર્ટફોન્સના પ્રોસેસરના ભાવો વધવાની સંભાવના છે.
દુનિયાના તમામ વિકસિત અને વિકાસશીલ દેશો આ નિવેડાનો જલ્દી અંત આવે તે માટે પગલાં ભરી રહ્યા છે.