કચ્છના નખત્રાણાના વિજપાસર ગામે યુવતીએ પ્રેમલગ્ન કરતાં ઉશ્કેરાયેલા યુવકનાં પરિવારજનો દ્વારા યુવકનાં ઘરે જઈ મારઝુડ કરી હતી. ત્યારે યુવક યુવતી ઘરે ન મળતા યુવતિનાં પરિવારજનો દ્વારા યુવકની માતા પર કેરોસીન છાંટી જીવતી સળગાવી દેતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રેમ લગ્ન બાદ યુવકની માતાની હત્યા
દિકરાના પ્રેમ લગ્નના કારણે માતાનો ભોગ
14 લોકોએ યુવકના ઘરે પહોંચી કર્યો હુમલો
કચ્છના છેવાડે નખત્રાણાના વિજપાસર ગામે યુવતીએ પ્રેમલગ્ન કરતાં ઉશ્કેરાયેલાં પરિવારજનોએ યુવકના ઘરમાં ઘૂસી જઈને મારકૂટ કરી, યુવકની ૪૫ વર્ષની માતા પર પેટ્રોલ કેરોસીન છાંટી જીવતી સળગાવી મારી નાખતા ચકચાર મચી ગઈ છે. ચોંકાવનારી બાબત એ છે કે પ્રેમલગ્ન કરનાર યુગલ નારાજ પરિવારજનો તરફથી થનારી સંભવિત આફતના ડરે પોલીસની મદદ લેવા પોલીસ મથકે બેઠું હતું ત્યારે આ ચોંકાવનારી ઘટના ઘટી છે.
નખત્રાણા તાલુકાના વિજપાસર ગામે રહેતા હેમંત પરબતભાઈ માધડ (ચારણીયા)ને નાના કાદિયા ગામની રિધ્ધિ આશિષભાઈ ઊર્ફે બાબુલાલ શેખા નામની યુવતી સાથે આંખ મળી ગઈ હતી. રિધ્ધિ અવારનવાર વિજપાસર ગામે હેમંતની નજીક રહેતા દાદીને મળવા આવતી હતી. તે સમયે બેઉની આંખ મળી ગયેલી.બેઉ લગ્ન કરવા ઈચ્છતાં હતાં પરંતુ રિધ્ધિના પરિવારજનોનો સખ્ત વિરોધ હતો. રિધ્ધિએ પરિવારજનોના વિરોધ વચ્ચે ત્રણેક માસ અગાઉ હેમંત જોડે ગુપચુપ રીતે સત્તાવાર લગ્ન કરી લીધાં હતા. હેમંત અને રિધ્ધિએ આજથી એક જ છત નીચે સાથે રહેવાનું નક્કી કર્યું હતું.પ્રેમલગ્નની જાણ થતાં જ રિધ્ધિના પરિવારજનો ભારે ડખ્ખો કરશે તે બીકે ફડતા હેમંત અને રિધ્ધિ બેઉ આજે બપોરે નખત્રાણા પોલીસ મથકે પહોચ્યાં હતા. તેમણે પોલીસને પ્રેમલગ્ન અંગે વાત કરી તેમના પર ખોટા કેસ થવાની અને મારકૂટ થવાની દહેશત દર્શાવેલી.
નખત્રાણા પોલીસ મથકે 3 અજાણ્યા શખસો સહીત કુલ 14 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી
પ્રેમલગ્ન અંગે જાણ થતાં રિધ્ધિના સગાં-સંબંધીઓ પોલીસ મથકે દોડી આવ્યાં હતા. દરમિયાન, સાંજે ચાર વાગ્યના અરસામાં રિધ્ધિની માતા, ભાઈ, બે બહેનો સહિત પંદરેક સ્ત્રી- પુરુષોએ હેમંતના ઘરે જઈ તેની માતા રાધાબેન અને દાદા મેઘજીભાઈ જોડે ધોકા અને મુક્કા-લાતોથી મારકૂટ કરી હતી. રોષે ભરાયેલાં આરોપીઓએ રાધાબેનની હત્યા કરવાના હેતુથી તેમના પર પેટ્રોલ અને કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દેતાં તે ભડભડ બળવા માંડ્યાં હતા. રાધાબેનની જીવલેણ રાડારાડ વચ્ચે આરોપીઓ તેમના હાથમાંથી સાદો મોબાઈલ ફોન લૂંટીને બધાને સળગાવીને મારી નાખવાની ધમકી આપીને જતાં રહ્યાં હતાં.રાધાબેન સળગી ઉઠતા તેમને સારવાર માટે ભુજ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ સારવાર દરમિયાન રાધાબેનનું મોત થતાં સમગ્ર મામલો હત્યામાં ફેરવાયો છે. નખત્રાણા પોલીસ મથકે 3 અજાણ્યા શખસો સહીત કુલ 14 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.