સ્વસ્તિક પ્રતીક પર પ્રતિબંધ લગાવવાના સમાચાર નવી વાત નથી. આ પહેલા પણ ઘણા દેશોમાં સ્વસ્તિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે
ઓસ્ટ્રેલિયાના કેટલાક રાજ્યોએ સ્વસ્તિક પર પ્રતિબંધ, તેનું પ્રદર્શન ગુનો માનવામાં આવશે
હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મોને સ્વસ્તિક પ્રતીકનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી
હિન્દુ ધર્મમાં સ્વસ્તિકને ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે
ઓસ્ટ્રેલિયામાં સ્વસ્તિક પ્રતીક ચર્ચામાં છે. વાત જાણે એમ છે કે, ઓસ્ટ્રેલિયાના કેટલાક રાજ્યોએ સ્વસ્તિક પર પ્રતિબંધ મૂક્યો છે. જેથી હવે તેનું પ્રદર્શન ગુનો માનવામાં આવશે. જોકે, ધાર્મિક કારણોસર તેનો ઉપયોગ કરનારાઓને તેમાંથી મુક્તિ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મોને તેનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી છે. હવે સવાલ એ છે કે, ઓસ્ટ્રેલિયામાં શા માટે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને આ સ્વસ્તિક સાથે હિટલરની ચર્ચા શા માટે થઈ રહી છે.
પ્રતિબંધ શા માટે લાદવામાં આવ્યો ?
સ્વસ્તિક પ્રતીક પર પ્રતિબંધ લગાવવાના સમાચાર નવી વાત નથી. આ પહેલા પણ ઘણા દેશોમાં સ્વસ્તિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હવે વાત કરીએ શા માટે તેના પર પ્રતિબંધ છે. તેનું કારણ એ છે કે, તે નાઝીઓના પ્રતીક જેવું લાગે છે અને આવી સ્થિતિમાં વિદેશીઓ માને છે કે, સ્વસ્તિક નાઝીઓનું પ્રતીક છે. તેને હિંસાનું પ્રતીક માનવામાં આવે છે અને તે કટ્ટરવાદ સાથે સંકળાયેલ છે. આ કારણોસર તે ફક્ત નાઝીઓના પ્રતીકને કારણે પ્રતિબંધિત છે. 1930થી સ્વસ્તિકને પશ્ચિમી દેશોમાં ફાસીવાદના પ્રતીક તરીકે જોવામાં આવે છે.
એક રિપોર્ટ અનુસાર, અમેરિકી સેનાએ આ ચિહ્નનો ઉપયોગ ફક્ત પ્રથમ વિશ્વ યુદ્ધમાં કર્યો હતો. આ પ્રતીકનો ઉપયોગ 1939 સુધી બ્રિટિશ એરફોર્સના ફાઇટર એરક્રાફ્ટમાં થતો હતો. પછી સ્વસ્તિક જર્મની આવવાની વાર્તા એવી છે કે, જ્યારે જર્મન વિદ્વાનો ભારતીય સાહિત્યનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તેમને જાણવા મળ્યું કે, જર્મન ભાષા અને સંસ્કૃત વચ્ચે ઘણી સામ્યતા છે. આ પછી બંનેના પૂર્વજોની વાત સામે આવી. ત્યારબાદ યહૂદીઓનો વિરોધ કરનારાઓએ તેને અપનાવી લીધો. ટૂંક સમયમાં તે નાઝીઓના લાલ ધ્વજમાં સ્થાન મેળવ્યું.
તો શું સ્વસ્તિક નાઝીઓનું પ્રતીક છે ?
જો એક નજરમાં જોવામાં આવે તો હિંદુ ધર્મનું સ્વસ્તિક પ્રતીક સરમુખત્યાર હિટલરની નાઝી સેના જેવું લાગે છે, પરંતુ તે તેનાથી તદ્દન અલગ છે. નાઝી પ્રતીક જે સ્વસ્તિક જેવું લાગે છે તેને હેકેનક્રુઝ કહેવામાં આવે છે. હેકેનક્રુઝમાં સ્વસ્તિકની જેમ ચાર બિંદુઓ નથી, તેમાં માત્ર રેખાઓ છે. એવું કહેવાય છે કે, હિંદુ ધર્મના સ્વસ્તિકમાના બિંદુઓને વેદના પ્રતીક માનવામાં આવે છે. જોકે નાઝી ધ્વજમાં આવું નથી જોવા મળતું.
નોંધનીય છે કે, નાઝી સેનાએ તેના પ્રતિનિધિત્વ માટે અને નાઝી ચળવળમાં હેકેનક્રુઝનો ઉપયોગ કર્યો હતો. તે સફેદ પૃષ્ઠભૂમિ પર લાલ રંગનું હતું અને તે સ્વસ્તિક જેવું સીધું ન હતું, પરંતુ 45 ડિગ્રી સુધી નમેલું હતું. આમાં લાલ રંગ સંઘર્ષ સાથે જોડાયેલો જોવા મળ્યો હતો. હિટલરે વર્ષ 1920માં તેનો સમાવેશ કર્યો હતો.
હિન્દુ ધર્મમાં સ્વસ્તિકનું મહત્વ
હિન્દુ ધર્મમાં સ્વસ્તિકને ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે. આ સાથે અવરોધનો નાશ કરનાર પણ માનવામાં આવે છે. સ્વસ્તિકની ડાબી બાજુ ગમ બીજ મંત્ર છે. તેને ગણપતિનું સ્થાન માનવામાં આવે છે. માતા ગૌરી, પૃથ્વી, કુર્મ અને દેવતાઓ સ્વસ્તિકની ચાર બાજુઓ પર બિંદીમાં રહે છે એવું માનવામાં આવે છે. એટલા માટે સ્વસ્તિકને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘણા લોકો સ્વસ્તિકની ચાર રેખાઓને બ્રહ્માજી સાથે જોડે છે. આ સિવાય જૈન અને બૌદ્ધ ધર્મમાં પણ તેનો ઉપયોગ થાય છે.