દેશની બેંકો પાસેથી 9 હજાર કરોડની લોન લઈને વિદેશ ફરાર થઈ ગયેલા લિકર કિંગ વિજય માલ્યાએ એક ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.
વડાપ્રધાન મોદીએ 16મી લોકસભાના અંતિમ દિવસે ભાષણમાં વિજય માલ્યાનું નામ લીધા વિના 9 હજાર કરોડ રૂપિયા લઈને ભાગી ગયેલા એક શખ્સની વાત કરી હતી. જેના જવાબમાં વિજય માલ્યાએ કહ્યું કે હું રૂપિયા પરત કરવા તૈયાર છું પણ PM મોદી બેંકોને રૂપિયા સ્વીકારવા કેમ નથી કહેતા.
માલ્યાએ ટ્વીટ કરીને કહ્યું કે "હું સમ્માન સાથે પૂછવા માગું છું કે વડાપ્રધાન તેમની બેંકોને એ નિર્દેશ કેમ નથી આપતા કે કિંગફિશરને મળતા પબ્લિક ફંડને ચૂકવવા માટે જે રૂપિયા આપવા તૈયાર છું તે સ્વીકારી લે"...મહત્વનું છે કે નવેમ્બર 2016માં મુંબઈની એક સ્પેશિયલ PMLA કોર્ટે વિજય માલ્યાને ભાગેડુ જાહેર કર્યો છે. તેની સાથે જ કોર્ટે માલ્યાની તમામ ઘરેલુ સંપત્તિ શેર અને ડિબેંચરને જપ્ત કરવાનો આદેશ કર્યો છે.
વિજય માલ્યાએ બીજા ટ્વિટમાં જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સારા વકતા છે અને મીડિયા તરફથી મળી રહેલા અહેવાલ મુજબ હું એવું અનુમાન લગાવુ છુ કે પીએમ સંસદમાં મારી જ વાત કરી રહ્યાં હતા. વિજય માલ્યાએ કહ્યું કે સંસદમાં વડાપ્રધાનના અંતિમ ભાષણ પર મારુ ધ્યાન પડ્યું છે.