નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં 5 જાન્યુઆરી, રવિવારની રાત્રે જે કાંઈ બન્યું એ માત્ર નિંદનીય જ નહીં તો શરમજનક પણ છે. કોઈપણ શિક્ષણ સંસ્થાનો આવો માહોલ ચિંતા ઉપજાવે એ સ્વાભાવિક છે, પરંતુ આપણે અન્ય કોઈ શિક્ષણ સંસ્થા વિશે તદ્દન આવી સ્થિતિની કલ્પના કરી શકીએ તેમ નથી અને JNUની સ્થિતિની સચ્ચાઈ આપણી સામે છે.
જેએનયુ જેવી શિક્ષણ સંસ્થાની સ્થિતિ ચિંતાજનક
શિક્ષણ સંસ્થાને રાજકારણનો અખાડો બનવા દેવો ન જોઈએ
યુનિવર્સિટીના શિક્ષણ અને પરીક્ષા તંત્રને ખોરવી નાખવાના પ્રયાસ થયા
પાચમીના ઘટનાક્રમ વિશે જે નિવેદનો થયા છે અને થઈ રહ્યાં છે તેના પરથી સત્ય તારવવાનું મુશ્કેલ છે અને એવો પ્રયાસ કરવા જેવો પણ નથી. નિવેદન કરનારા મોટા ભાગના પક્ષકારો છે અને બાકીના કેટલાક સંપૂર્ણ સત્ય જાણ્યા વિના રુદન કરનારાઓ છે. આ નિવેદનબાજોમાંના ઘણા બધાએ એવી લાગણી વ્યક્ત કરી છે કે શિક્ષણ સંસ્થાને રાજકારણનો અખાડો બનવા દેવો ન જોઈએ. આવું કહેનારા લોકો કાં તો સત્ય જાણતા નથી અથવા ખોટું ડહાપણ ડોળી રહ્યા છે.
JNU ડાબેરીઓના રાજકારણનો અડ્ડો ક્યારની બની ચૂકી છે અને હવે ત્યાં ડાબેરીઓના આ વૈચારિક અડ્ડા સામે પડકાર અને પ્રતિસ્પર્ધીઓ ખડા થયા એટલે સંઘર્ષનું વાતાવરણ સર્જાયું છે. ડાબેરી ગેંગને તેની મનમાની કરવા દેવામાં આવે તો કોઈને કશી તકલીફ નથી. જ્યાં સુધી JNU એક વિચારધારાનો અખાડો રહી ત્યાં સુધી કોઈને કશી ચિંતા ન થઈ. ત્યાં સુધી કોઈ બોલ્યું નહીં. ત્યાં શિક્ષણના અંચળા હેઠળ જે પ્રવૃત્તિઓ ચાલે છે તેના પ્રત્યે પણ કોઈએ ક્યારેય અવાજ ઉઠાવ્યો નહીં. 'ટુકડે-ટુકડે ગેંગ' જેવી શબ્દાવલિ પણ JNUમાં ચાલતી આવી પ્રવૃત્તિએ જ ભેટ આપેલી છે.
જે લોકોને ખરેખર JNUમાં શિક્ષણની ચિંતા છે એવા લોકોએ સમગ્ર ઘટનાના મૂળ ક્યાં છે એ જાણવા-સમજવાની ચિંતા કરવી જોઈએ. રિપોર્ટ એવા છે કે રવિવારની એ હિંસક ઘટનાના ત્રણ દિવસ પહેલાંથી JNUમાં ધૂંધવાટ વ્યાપેલો હતો. તેનું કારણ એ હતું કે સેમિસ્ટરની પરીક્ષા માટે યુનિવર્સિટીએ ૧થી ૫ જાન્યુઆરી સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો.
ફી વધારાના હવે ઠરી ગયેલા મામલાને પકડીને બેઠેલા ડાબેરી વિદ્યાર્થી સંગઠનોએ પરીક્ષાનો બહિષ્કાર જાહેર કર્યો હતો, પરંતુ અભ્યાસ પ્રત્યે ગંભીર વિદ્યાર્થીઓ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવવા માટે આવવા લાગ્યા. પહેલા બે દિવસ આ કામગીરી ચાલી એટલે ડાબેરી સંગઠનોએ રજિસ્ટ્રેશન થવા નહીં દેવાનો વ્યૂહ અપનાવ્યો.
જ્યાં રજિસ્ટ્રેશનની કામગીરી થતી હતી એ સર્વર રૂમ પર તેના કાર્યકરોએ કબજો જમાવ્યો. એબીવીપીએ તેના વિરોધમાં સરઘસનું આયોજન કર્યું. રવિવારે રજિસ્ટ્રેશન માટે છેલ્લો દિવસ હોવાથી ધસારો વધ્યો એટલે સર્વર રૂમમાં તોડફોડ કરાઈ. વિદ્યાર્થીઓ પર હુમલા કરાવ્યા. એબીવીપીના કાર્યકરો પર હુમલા થયા. બચવા માટે ઘણા બધાને હોસ્ટેલમાં છુપાઈ જવું પડ્યું. એબીવીપીના લોકોએ પણ પ્રતિકારની તૈયારી કરી. તેમાં રાત્રે મારપીટ થઈ.
JNUના વિદ્યાર્થી સંઘ પર ડાબેરીઓનો કબજો છે. તેની અધ્યક્ષા ખુદ નકાબપોશ બદમાશોનું નેતૃત્વ કરી રહી હોવાના વીડિયો ટીવી ચેનલોએ દર્શાવ્યા છે. યુનિવર્સિટીના શિક્ષણ અને પરીક્ષા તંત્રને ખોરવી નાખવાના પ્રયાસ થયા અને વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કરતા અટકાવાયા એ વાતને આ સમગ્ર ઘટનાક્રમમાં વિસરી જવામાં આવી છે. સર્વર રૂમની બહાર અડ્ડો જમાવીને બેઠેલા ડાબેરી વિદ્યાર્થી સંઘના કાર્યકરોની તસવીરો પણ જગજાહેર છે.
યુનિવર્સિટી પરીક્ષા આપવા માગતા વિદ્યાર્થીઓની તરફેણ કરે અને તેને માટે વ્યવસ્થા કરે એ તેનો ગુનો ગણાય? યોગેન્દ્ર યાદવ જેવા બુદ્ધિશાળી વ્યક્તિ પણ શઠ બનીને કુલપતિનું રાજીનામું માગવા મેદાને પડ્યા એ તેમને શોભે છે? તેઓ JNUમાં શિક્ષણની તરફેણ કરે છે કે વિદ્યાર્થી સંઘની દાદાગીરીની એ સ્પષ્ટ થવું જોઈએ. હિંસા અને મારામારીની ઘટનામાં બંને પક્ષો દોષિત હોઈ શકે. વાતાવરણ કોણે બગાડ્યું અને શરૃઆત કોણે કરી એ પણ જોવું પડે.
JNU ઘટનામાં કૂદી પડેલા યોગેન્દ્ર યાદવ અને અન્ય નેતાઓ ચાલાકીપૂર્વક એવું કહે છે કે ઝઘડો ક્યાંથી શરૂ થયો અને શરૂઆત માટે કોણ જવાબદાર છે એ મહત્ત્વનું નથી. આ તો એક પ્રકારની બૌદ્ધિક બદમાશી છે. યોગેન્દ્ર યાદવની માફક હિંસા સામે કાગારોળ કરવા વિપક્ષી નેતાઓની આખી હરોળ થોડા સમયમાં સક્રિય બની ગઈ હતી. એથી વધુ મહત્ત્વની વાત એ છે કે JNUના ડાબેરી સંગઠનના સમર્થનમાં જામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પોલીસ વડામથકે દોડી જવા કહેવાયું હતું અને એમ થયું પણ ખરું.
અગાઉ જામિયાની ઘટનામાં JNUના ડાબેરીઓ તેમના સમર્થનમાં બહાર આવ્યા હતા. બે શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થી નેતાઓ વચ્ચેનું આ પ્રકારનું સંકલન અને ગઠબંધન પણ વિઘાતક ગણાવું જોઈએ. JNU બદનામ થઈ રહી છે તો તેને માટે કોઈ એક પરિબળ જવાબદાર નથી. ડાબેરીઓની કાર્યશૈલી જાણનારાઓએ JNUના ઘટનાક્રમ વિશે ઉતાવળે કોઈ નિર્ણય પર આવવાને બદલે હકીકતોની ગહેરાઈમાં જવું જોઈએ.