ત્રણ વર્ષમાં લગભગ 15 લાખ ઇમિગ્રન્ટ્સ કેનેડા જશે.એટલે કે ત્યાં કાયમી રહેવાસીઓના પ્રમાણના સંદર્ભમાં કેનેડામાં યુકે કરતાં આઠ ગણા અને યુએસ કરતાં ચાર ગણા નવા ઇમિગ્રન્ટ્સ આવશે
કેનેડામાં 2025 સુધીમાં દર વર્ષે 5 લાખ ઇમિગ્રન્ટ્સને લાવવાની યોજના
તેની પાછળનું કારણ વધતી જતી વૃદ્ધ વસ્તી અને નીચો જન્મ દર
ઇમિગ્રેશન સિસ્ટમ માટે લોકોનો અભિપ્રાય મહત્વનો
ઓપિનિયન પોલમાં લોકોએ શું કહ્યું?
કેનેડામાં વધતાં વૃદ્ધોની સંખ્યાને કારણે અર્થતંત્રને થતા નુકસાનને સરભર કરવા ત્યાંની સરકાર ઇમિગ્રેશન પર દાવ લગાવી રહી છે. આ મહિનાની શરૂઆતમાં ફેડરલ સરકારે 2025 સુધીમાં દર વર્ષે 5 લાખ ઇમિગ્રન્ટ્સને કેનેડા લાવવાની યોજનાની જાહેરાત કરી હતી.
એટલે કે આગામી ત્રણ વર્ષમાં લગભગ 15 લાખ ઇમિગ્રન્ટ્સ કેનેડા જશે. એટલે કે ત્યાં કાયમી રહેવાસીઓના પ્રમાણના સંદર્ભમાં કેનેડામાં યુકે કરતાં આઠ ગણા અને યુએસ કરતાં ચાર ગણા નવા ઇમિગ્રન્ટ્સ આવશે. પણ તાજેતરમાં કરવામાં આવેલ એક ઓપિનિયન પોલ દર્શાવે છે કે આ નવા આવતા લોકોને લઈને ત્યાંના સ્થાયી લોકોને બેચેની પણ છે.
વધતી જતી વૃદ્ધ વસ્તી અને નીચો જન્મ દર
ઘણા વર્ષોથી કેનેડા લોકોને કાયમી નિવાસી તરીકે આકર્ષે છે. જેમાં એમને દેશમાં અનિશ્ચિત સમય સુધી રહેવાનો અધિકાર છે પણ તેઓ નાગરિક નથી. આ કારણે વસ્તી અને અર્થતંત્ર બંનેમાં વૃદ્ધિ થાય છે . જણાવી દઈએ કે ગયા વર્ષે કેનેડાએ 4,50,000 કાયમી રહેવાસીઓને જગ્યા આપી હતી જે તેના ઇતિહાસમાં સૌથી મોટી સંખ્યા છે. કેટલાક લોકો કહે છે કે તેની પાછળ ખૂબ જ સરળ ગણિત છે કે કેનેડા ઘણા પશ્ચિમી દેશોની જેમ વધતી જતી વૃદ્ધ વસ્તી અને નીચા જન્મ દરનો સામનો કરી રહ્યું છે અને એ કારણે જ જો દેશનો વિકાસ કરવો હોય તો તેણે ઇમિગ્રન્ટ્સને લાવવા પડશે.સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર વ્યવહારીક રીતે તમામ દેશોમાં શ્રમ દળ વૃદ્ધિનો મુખ્ય ભાગ ઇમિગ્રન્ટ્સ છે અને એવો અંદાજ છે કે વર્ષ 2032 સુધીમાં તેઓ દેશની કુલ વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં પણ મુખ્ય પરિબળ હશે. આ મહિનાની શરૂઆતમાં સરકારે જાહેરાત કરી હતી કે તે 2025 સુધીમાં દર વર્ષે 5 લાખ ઇમિગ્રન્ટ્સ દેશમાં આવશે અને આ સંખ્યા 2021 કરતા 25% વધુ છે.
ઇમિગ્રેશન સિસ્ટમ માટે લોકોનો અભિપ્રાય મહત્વનો
હાલમાં દર ચોથો કેનેડિયન ઇમિગ્રન્ટ તરીકે દેશમાં આવ્યો છે, જે G-7 દેશોમાં સૌથી વધુ છે. જો તેમાં અમેરિકાની સરખામણી કરીએ તો ત્યાં માત્ર 14 ટકા જ ઇમિગ્રન્ટ્સ છે અને બ્રિટનમાં પણ માત્ર 14 ટકા ઇમિગ્રન્ટ વસ્તી છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં માઇગ્રેશન ઑબ્ઝર્વેટરીના ડિરેક્ટર મેડેલિન સમ્પશન કહે છે કે 'આ આંકડાઓનો અર્થ એવો નથી કે બ્રિટન ઇમિગ્રેશનમાં પાછળ છે. યુકેમાં કેનેડા કરતાં બમણી વસ્તી છે અને વસ્તીની ગીચતા પણ વધુ છે જ્યારે કેનેડાની આબાદી 3.8 કરોડ છે અને વસ્તી મુજબ વિશ્વમાં સૌથી વધુ જમીન ત્યાં છે એટલે કે વૃદ્ધિ માટે ત્યાં જગ્યા છે. બ્રિટન સામાન્ય રીતે કેનેડાની જેમ તેની વસ્તી વધારવાનું લક્ષ્ય રાખતું નથી."
મેકમાસ્ટર યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્ટિસ્ટ જ્યોફ્રી કેમેરોને ધ્યાન દોર્યું કે 'કેનેડા જેવા ઘણા દેશો ઓછા જન્મદર અને વૃદ્ધાવસ્થાનો સામનો કરી રહ્યા છે તેમ છતાં કોઈપણ ઇમિગ્રેશન સિસ્ટમ લોકોના સમર્થન પર આધારિત છે. એટલે કે મોટા ભાગના દેશોમાં જાહેર ઇમિગ્રેશન સિસ્ટમ માટે લોકોનો અભિપ્રાય સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે, આ સામે દક્ષિણ સરહદેથી અમેરિકામાં પ્રવેશનારા ઈમિગ્રન્ટ્સની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે અને હવે નોકરી કરતાં વધુ ઇમિગ્રન્ટ્સને લાવવા યોગ્ય રહેશે કે કેમ તે અંગે ચિંતા છે.'
ઇમિગ્રેશનને લઈને લોકોમાં ચિંતા
બ્રેક્ઝિટ પહેલા પૂર્વીય યુરોપથી આવનાર યુરોપિયન યુનિયન ઇમિગ્રન્ટ્સના મુદ્દાએ યુકેમાં ઇમિગ્રેશન વિરોધી વાતાવરણ બનાવ્યું હતું. સમ્પશનનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઇમિગ્રેશન માટે લોકપ્રિય અભિપ્રાયમાં વધારો થયો છે કારણ કે લોકોને લાગે છે કે કોણ આવશે અને કોણ નહીં તે નક્કી કરવા માટે દેશ પાસે વધુ સારી પસંદગી છે. જોકે કેનેડા ઐતિહાસિક રીતે ઈમિગ્રેશનને વધુ ટેકો આપતું રહ્યું છે. આ પાછળનું કારણ એ છે કે લોકોને વિશ્વાસ છે કે કેનેડાની સરકાર ઇમિગ્રેશનનું વધુ સારી રીતે સંચાલન કરે છે અને તે કેનેડાના હિતમાં હોય તે રીતે કરશે પરંતુ આનો અર્થ એ નથી કે અહીં લોકોમાં ઈમિગ્રેશનને લઈને કોઈ ચિંતા નથી. ' કેનેડાના જુદા જુદા ભાગોમાં ઇમિગ્રેશન અંગે જુદા જુદા મંતવ્યો છે. જ્યારે સરકારે દર વર્ષે 500,000 ઇમિગ્રન્ટ્સ લેવાની આક્રમક નીતિની જાહેરાત કરી, ત્યારે ક્વિબેક પ્રાંતે કહ્યું કે તે દર વર્ષે 50,000 થી વધુ ઇમિગ્રન્ટ્સને લઈ શકે નહીં. ક્વિબેકમાં દેશની વસ્તીના 23 ટકા છે અને આનો અર્થ એ છે કે તે દેશમાં આવતા કુલ ઇમિગ્રન્ટ્સમાંથી માત્ર 10 ટકા જ લોકો ત્યાં લેશે.
ઓપિનિયન પોલમાં લોકોએ શું કહ્યું?
ક્વિબેક પ્રીમિયર ફ્રાન્કોઇસ લેગ્યુએ કહ્યું કે તેમને ડર છે કે ઇમિગ્રન્ટ્સનો ધસારો પ્રાંતમાં ફ્રેન્ચ ભાષાને નબળી પાડશે. પચાસ હજાર ઇમિગ્રન્ટ્સ લે એવામાં ફ્રેન્ચ ભાષાના પતનને રોકવું મુશ્કેલ છે. એ વાત સાચી છે કે કેનેડામાં વિકાસ માટે પૂરતી જગ્યા છે, ત્યારે કેટલાક વિસ્તારો એવા છે જ્યાં જગ્યાનો અભાવ પણ છે. ટોરોન્ટો અને વાનકુવર જેવા મોટા શહેરો જ્યાં દેશની 10 ટકા વસ્તી રહે છે પણ ત્યાં સસ્તું રહેણાંક મુશ્કેલ છે. ' લેઝર એન્ડ એસોસિએશન ઓફ કેનેડિયન સ્ટડીઝ દ્વારા હાથ ધરવામાં આવેલા 1,537 કેનેડિયનોના મતદાનમાં ત્રણ ચતુર્થાંશ લોકોએ જણાવ્યું હતું કે તેઓ હાઉસિંગ અને જાહેર સેવાઓ પર પડવા જઈ રહેલ અસરને કારણે તેઓ ચિંતિત છે અને લગભગ અડધા એટલે કે 49% એ કહ્યું કે લક્ષ્ય ખૂબ ઊંચું છે, જ્યારે 31% લોકો આ વાત સાથે સહમત હતા.
શું કેનેડા તેનું લક્ષ્ય મેળવી શકશે?
કેનેડા ફક્ત અન્ય મોટા દેશો કરતાં આર્થિક ધોરણે વધુ ઇમિગ્રન્ટ્સ લેતું નથી પણ તેની સાથે તે શરણાર્થીઓના પુનર્વસનની દ્રષ્ટિએ પણ પ્રથમ ક્રમે છે. જણાવી દઈએ કે વર્ષ 2021માં તેને 20,428 ઇમિગ્રન્ટ્સને આશ્રય આપ્યો હતો જો કે કેનેડાએ તેના ભવિષ્ય માટે લક્ષ્યો નક્કી કર્યા છે પણ ભૂતકાળ દર્શાવે છે કે તે તેના પોતાના લક્ષ્યોને પહેલા પણ ચૂકી ગયા છે. વર્ષ 2021માં કેનેડાએ 59,000 શરણાર્થીઓના પુનર્વસનનો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ તે ઇમિગ્રન્ટ્સમાંથી માત્ર ત્રીજા ભાગને જ લઈ શક્યા હતા. ઈમિગ્રેશન મિનિસ્ટર સીન ફ્રેઝરે સીબીસી સાથેના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આનું મુખ્ય કારણ કોવિડના કારણે કેનેડા અને વિશ્વભરમાં સરહદો સીલ કરવામાં આવી હતી.વર્ષ 2023માં કેનેડાએ 76,000 શરણાર્થીઓને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.