નરેન્દ્ર મોદી આજે ફરી એક વાર પીએમ બનવા જઈ રહ્યા છે. સાંજે નરેન્દ્ર મોદીનો શપથ સમારોહ યોજાશે. નરેન્દ્ર મોદીએ શપથ સમારોહ માટે બિમ્સટેક (BIMSTEC) દેશને પણ આમંત્રણ આપ્યું છે.
એટલું જ નહીં 14 દેશના પ્રમુખ નેતાઓને પણ આમંત્રણ પાઠવ્યું છે. પણ જ્યારથી પુલવામા હુમલો થયો છે ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધમાં ખટાશ આવી છે. જે બાદ પાકિસ્તાનને શપથ સમારોહ માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું નથી. જેને લઈને પાકિસ્તાનમાં આ મામલે સવાલો ઉભા થયા છે. પાકિસ્તાન મીડિયામાં છપાયેલા સમાચારો મુજબ, એવું કહેવામાં આવ્યું છે કે ક્યાં સુધી આવું અપમાન સહન કરતા રહીશું. ઈમરાન ખાનને આમંત્રણ ન પાઠવવાને લઈને પાકિસ્તાન કહી રહ્યું છે કે આ પાછળ ભારતની ઘરેલૂ રાજનીતિ જવાબદાર છે.
એવું પણ કહેવામાં આવ્યું કે, નરેન્દ્ર મોદીનું સર્જીકલ સ્ટ્રાઈકનું નાટક ભારતીયો પર અસર કરી ગયું. નરેન્દ્ર મોદી રાજ્યાભિષેક પહેલા પાકિસ્તાન વિરોધી છબિથી બહાર આવે. શાંતિ વાર્તા માટે ક્યાં સુધી ભારતના વલણને નજરઅંદાજ કરીશું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદીએ શપથ લીધા ત્યારે પાકિસ્તાનના તાત્કાલિક પીએમ નવાઝ શરીફને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતુ.