સ્મશાન એવું ક્ષેત્ર છે જ્યાં માયા વસતી નથી, માત્ર જીવનનું સત્ય વસે છે. માનવી કાયમ માટે સત્યને સમજી શકે જો તે કાયમ માટે તેના હૃદયમાં સ્મશાન વૈરાગ્યને ધારણ કરી શકે. કોઈ પણ ઘર એવું નથી કે જ્યાં મૃત્યુ થયું ન હોય. માટે દરેક ઘર સ્મશાન જ છે. પૃથ્વી પર આપણા પગ તળે કોઈ પણ જગ્યા લો જ્યાં મડદું દટાયેલું ન હોય. બ્રહ્માંડ પર દૃષ્ટિ કરીએ તો પૂરું બ્રહ્માંડ સ્મશાન જ છે. બ્રહ્માંડમાં હર ક્ષણે તારાનું મૃત્યુ થાય છે. બ્રહ્માંડમાં જગ્યાએ જગ્યાએ તારાની કબરો છે. આપણે બ્રહ્માંડરૂપી સ્મશાનમાં જ જીવી રહ્યા છીએ. તો પછી સ્મશાનનો ડર શા માટે?
બ્રહ્માંડમાં હર ક્ષણે એક તારો મૃત્યુ પામે છે અને કબરમાં ફેરવાય છે. બ્રહ્માંડમાં જગ્યાએ જગ્યાએ તારાની કબર છે. તો શું બ્રહ્માંડને સ્મશાન ન કહી શકાય? આમ પૂરું બ્રહ્માંડ એક સ્મશાન જ છે. આ બધા તારાના મૃત શરીરો છે, તારાની કબરો છે, તારાની રાખ છે. રાખ હંમેશાં પવિત્ર મનાય છે. રાખ ફળદ્રુપ હોય છે. તારાની રાખ પણ ફળદ્રુપ છે અને તેમાંથી બ્રહ્માંડમાં વિવિધ તત્ત્વો ફેંકાય છે જેમાંથી નવા તારા અને જીવન ઉત્પન્ન થાય છે. મૃત્યુ હંમેશાં નવા જીવનને ઉત્પન્ન કરે છે. અથવા નવા જીવનને વિકસાવવા માર્ગ કરી આપે છે. જો માનવીના મૃત્યુ થતાં ન હોત તો આજે પૃથ્વીની હાલત શું હોત? માટે મૃત્યુ પણ માનવજીવન માટે એક વરદાન જ છે. મહાદેવનો અર્થ સમજવા જેવો છે. મહાદેવ બ્રહ્માંડનું રહસ્ય પ્રગટ કરે છે.
દેવાધિદેવ મહાદેવ અજન્મા ગણાય છે. તેનો જન્મ નથી અને તેથી તેમનું મરણ પણ નથી. મહાદેવનું રૂપ નિરાળું છે. લિંગ સ્વરૂપ. તેમનું નિવાસ્થાન સ્મશાન છે. ભલા કોઈનું નિવાસસ્થાન સ્મશાન હોતું હશે? કોઈ સ્મશાનમાં રહી શકતું હશે, જ્યાં રાત-દિવસ નાના-મોટા માનવીઓની ચિતા બળતી હોય. સ્મશાન જેવી ભયંકર જગ્યા એકેય નથી. વળી પાછું શંકર ભગવાન શરીરે ભસ્મ ચોળે. ગળામાં સાક્ષાત્ કાળ સ્વરૂપ સર્પ પહેરે, એટલે કે કાળનેે તો ગળે લગાવીને રહે છે.
સ્મશાન પોતે કાળનું નિવાસસ્થાન છે. શંકર ભગવાન મહાકાળ ગણાય છે. ઉજ્જૈનમાં મહાકાળેશ્વર બિરાજે છે. કાળનું જન્મસ્થાન ગણાય છે. પ્રાચીન ભારતમાં સમયનો પ્રારંભ ઉજ્જૈનથી થતો હતો. ઉજ્જૈન હકીકતમાં ભારતના કેન્દ્રમાં છે. શંકર ભગવાન ગળામાં રુંડની માળા પહેરે છે. રુંડની માળા એટલે ખોપરીઓની માળા. તેમનું વાહન નંદિ છે. નંદી (વૃષભ) જ્ઞાનનો અવતાર મનાય છે. શંકર ભગવાન જટા રાખે જેના ગૂંચળામાં ગંગાજી બિરાજે અને જટામાં બાળચંદ્રને ધારણ કરે. વળી પાછા શંકર ભગવાન સંહારના દેવતા ગણાય છે અને ગળામાં હળાહળ ઝેર રાખીને બેઠા છે. તેમનું આયુધ ભયંકર ત્રિશૂળ અને તેમના બીજા હાથમાં નાદબ્રહ્મ સ્વરૂપ ડમરું. ડમરું પૂરા બ્રહ્માંડને નચાવે છે.
શંકર ભગવાન પોતે નટરાજ સ્વરૂપે નૃત્ય કરે છે અને આપણે જોઈએ તો બ્રહ્માંડમાં બધે જ નૃત્ય ચાલી રહ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં શંકર ભગવાનનું આવું સ્વરૂપ જોઈને થાય કે શંકર ભગવાનનું આવું સ્વરૂપ શા માટે, તેનો અર્થ શું? ખગોળીય દૃષ્ટિથી વિચારીએ તો તેનું આવું સ્વરૂપ બ્રહ્માંડનું વર્ણન કરતું હોય તેમ લાગે છે. શંકર ભગવાન વળી પાછા ઉત્તર દિશામાં હિમાલય પર બિરાજે જે દિશામાં ઉત્તર ધ્રુવનો અચળ તારો છે જેની ફરતે પૂરી પૃથ્વી એટલે કે બ્રહ્માંડ ઘૂમે છે. શંકર ભગવાન સ્મશાનના રહેવાસી હોવા છતાં મહાદેવ ગણાય છે. દેવાધિદેવ ગણાય છે.
શંકર ભગવાન પોતે મહાદેવ છે, દેવાધિદેવ છે. તેમના સસરા મહાન હિમાલય છે. તેમનો મિત્ર ધનપતિ કુબેર છે. તેમનો દીકરો રિદ્ધિ-સિદ્ધિના દેવતા ગણેશ છે પણ પોતાની પાસે તો કાંઈ જ નથી. શંકર ભગવાન કેટલા માયાથી અલિપ્ત છે તે જોવાનું છે. માટે તે સ્મશાનમાં રહે છે.•