પૂર્વ મહિલા ડેપ્યુટી મેયરના 12 વર્ષના પુત્રનો ડેન્ગ્યુના ભરડાએ ભોગ લીધો પણ આશ્ચર્યજનક રીતે તંત્રની સત્તાવાર પ્રેસનોટમાં ડેન્ગ્યુથી કોઈ મૃત્યુ થયું ન હોવાનું દર્શાવાયું
ડેન્ગ્યુ-ચિકનગુનિયાથી પણ ઘણા લોકોના જીવ ગયા
પૂર્વ ડેપ્યુટી મેયરના 12 વર્ષના પુત્રનું ડેન્ગ્યુથી મોત
પણ સરકારી ચોપડે એક પણ મોત ન દર્શાવાયું
શહેરીજનોને ચોમાસાએ વિદાય લીધી તેમ છતાં મચ્છરજન્ય રોગચાળો અને તેમાંય ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો વધેલો પ્રકોપ ભયભીત કરી રહ્યો છે. દિવાળી બાદ સ્વાભાવિકપણે કોરોનાના નવા કેસ વધ્યા છે, પરંતુ કોરોનાની સાથે-સાથે ડેન્ગ્યુ-ચિકનગુનિયાની પણ શહેરમાં દહેશત ફેલાઈ છે. બીજી તરફ કોરોના મહામારી તેની ચરમસીમાએ હતી તે વખતે તેના કેસ અને મૃત્યુ આંકમાં ઢાંકપિછોડો કરનારા મ્યુનિ. સત્તાવાળાઓએ ડેન્ગ્યુ-ચિકનગુનિયાના રોગચાળામાં પણ આવી જ રમત માંડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જોકે નાગરિકોને ડેન્ગ્યુ-ચિકનગુનિયાથી થતાં મૃત્યુથી અંધારામાં રાખવા એક પ્રકારની છેતરપિંડી જ કહી શકાય તેમ પણ મ્યુનિ. વર્તુળો માને છે.
અમદાવાદમાં ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગચાળો ફેલાઈને લોકોને આતંકિત કરતો આવ્યો છે તેમાં મચ્છરને પોષક એવો માહોલ મ્યુનિ. તંત્ર અને લોકો દ્વારા જાણે-અજાણે સર્જાઈ જાય છે. મચ્છરના પોરાનો નાશ કરવો કે પછી ઘરે-ઓફિસમાં જઈને મચ્છરનાશક સ્પ્રેનો છંટકાવ કે પછી ફોગિંગ કરવું વગેરે મચ્છરજન્ય રોગચાળા પર અંકુશ મેળવવા જરૂરી ઉપાયોને અસરકારક રીતે અમલમાં મૂકવામાં મ્યુનિ. તંત્ર દ્વારા કોઈ ને કોઈ કચાશ રહી જતી આવી છે. મેલેરિયા માટે તો ખાસ અલગ વિભાગ છે, જેમાં પાંચ આંકડામાં પગાર મેળવતા મોટા-મોટા અધિકારીઓ છે, તેમ છતાં મ્યુનિ. મેલેરિયા વિભાગની કામગીરી પણ વારંવાર વિવાદાસ્પદ બને છે.
અમદાવાદીઓ ડેન્ગ્યુ-ચિકનગુનિયાથી રાડ પાડી ઊઠ્યા છે.
ખાનગી દવાખાનાં-હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહ્યાં છે. નાનાં બાળકોને પણ ડેન્ગ્યુએ સકંજામાં લીધાં છે. મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલાં શહેરનાં પૂર્વ મહિલા ડેપ્યુટી મેયરનો ૧૨ વર્ષનો માસૂમ બાળક પણ ડેન્ગ્યુથી મૃત્યુ પામ્યો છે. એક સમયના ઉચ્ચ હોદ્દેદારનું ઘર પણ ડેન્ગ્યુના ઉપદ્રવથી બાકાત ન રહ્યું હોવા છતાં આશ્ચર્યજનક રીતે તંત્રની સત્તાવાર પ્રેસનોટમાં ડેન્ગ્યુથી કોઈ મૃત્યુ થયું ન હોવાનું દર્શાવાયું છે. તાજેતરમાં ભાજપનાં યુવાન મહિલા ધારાસભ્યનું પણ ડેન્ગ્યુથી મૃત્યુ નીપજ્યું હતું. તેમનો કિસ્સો તો અમદાવાદ બહારનો હતો, પરંતુ શહેરમાં પણ ડેન્ગ્યુથી આશાસ્પદ યુવક-યુવતીઓ મોતને ભેટી રહ્યાં છે. ખાસ તો બાળકો માટે ડેન્ગ્યુ-ચિકનગુનિયા ભયજનક બન્યો હોવાનું ખાનગી પ્રેક્ટિશનર્સ કબૂલે છે. તેમ છતાં મ્યુનિ. તંત્ર શાંત પાણીએ બેઠું છે.
સ્ટેન્ડિંગ કમિટીમાં ડેન્ગ્યુ ચર્ચાસ્પદ બન્યો
ગઈ કાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીના ઝીરો અવર્સમાં પણ ભાજપના સભ્યોએ ડેન્ગ્યુ-ચિકનગુનિયાના વધેલા કેસ અને મૃત્યુના મામલે તંત્ર પર પસ્તાળ પાડી હતી. એક બોલકા સભ્યએ કહ્યું હતું કે તંત્ર તો કોરોના-કોરોનાની માળા જપવામાં ડેન્ગ્યુ-ચિકનગુનિયાને સદંતર ભૂલી ગયું હોઈ તેનો નાગરિકો ભોગ બન્યા છે.
તંત્રે માન્યું કે ડેન્ગ્યુ વધ્યો છે
મ્યુનિ. હેલ્થ વિભાગે સ્વીકાર્યું હતું કે ગત વર્ષની તુલનામાં ડેન્ગ્યુ-ચિકનગુનિયાના કેસ વધ્યા છે, તેમ છતાં ફોગિંગ સહિતના ઉપાયો હાથ ધરાયા હોઈ રોગચાળાની સ્થિતિ અંકુશ હેઠળ આવી રહી છે તેવો દાવો પણ તંત્રે કર્યો હતો, જોકે મૃત્યુના આંકડાના મામલે તંત્રે ભેદી મૌન પાળ્યું હતું.