આજે દેશ કોરોના વાયરસના કહેર સામે લડી રહ્યો છે, વાયરસ સામે લડવામાં દેશના તબીબો કોરોના વોરિયર્સ બનીને દિવસ રાત મહેનત કરી રહ્યા છે. ત્યારે દર વર્ષની જેમ આજે પણ તબીબોની પ્રમાણિકતા અને કર્તવ્યપરાયણતા માટે સન્માન પ્રગટ કરવા માટે નેશનલ ડૉકટર્સ ડે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે શું તમે જાણો છો આ દિવસ કેમ ઉજવવામાં આવે છે.
તબીબોના મહત્વ પર પ્રકાશ પાડવા આ દિવસની ઉજવણી
મહાન ચિકિત્સક અને પ.બંગાળના બીજા CM ડૉ. બિધાન ચંદ્ર રોયની યાદમાં આ દિવસની ઉજવણી
ધરતી પર જીવનદાતા તરીકે ઓળખાતા તબીબોના સન્માનમાં આ દિવસની ઉજવણી
દર વર્ષે પહેલી જુલાઈને નેશનલ ડૉકટર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેશના મહાન ચિકિત્સક અને પ.બંગાળના બીજા મુખ્યમંત્રી ડૉ. બિધાનચંદ્ર રોયના સન્માનમાં આ દિવસ મનાવવામાં આવે છે, તેમનો જન્મદિવસ અને પુણ્યતિથી આ જ તારીખે આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 1991થી આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી જેથી આપણા જીવનમાં તબીબોનું શું મહત્વ છે તેના પર પ્રકાશ નાખી શકાય.
તબીબો જીવન અને મોત વચ્ચે લડી રહેલા દર્દીઓની સારવાર તો કરે જ છે પણ તેમને નવું જીવનદાન આપે છે. આ જ કારણ છે કે તેમને ધરતી પર ભગવાનનું બિરુદ આપવામાં આવ્યું છે અને જીવનદાતા કહેવામાં આવે છે. આ તબીબોની પ્રમાણિકતા અને કર્તવ્યપરાયણતા માટે સન્માન પ્રગટ કરવા માટે દર વર્ષ પહેલી જુલાઈએ આ દિવસ ઉજવવામાં આવે છે.
ડૉ. બિધાન ચંદ્ર રોયનો જન્મ 1882માં પટનામાં થયો હતો. તેમણે કોલકાતામાં મેડિકલનું શિક્ષણ પ્રાપ્ત કર્યું અને તે બાદ લંડનથી MRCP અને FRCSની ઉપાધી મેળવી. વર્ષ 1911માં તેમણે ભારતમાં ચિકિત્સીય જીવનની શરૂઆત કરી અને તે બાદ તેઓ રાજકારણમાં આવ્યા. તેમણે પ.બંગાળના મુખ્યમંત્રીનું પદ પણ સંભાળ્યું. ડૉ.રોયને ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા. 80 વર્ષની વયે 1962માં પોતાના જન્મદિને જ તેમની મૃત્યુ થઇ ગઈ. તેમને પ.બંગાળનાં આર્કિટેક્ટ તરીકે પણ કહેવામાં આવે છે.
વર્ષ 1991માં તત્કાલીન ભારત સરકાર દ્વારા આ દિવસને નેશનલ ડૉકટર્સ ડે તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી.