સજ્જનો નારિયેળના ફળ જેવા હોય છે. જ્યારે બીજાઓ બોરની માફક બહારથી જ મનોહર દેખાય છે. સમાજનો બહુ મોટો વર્ગ બોરનું અનુકરણ કરનારો હોય છે. માણસને સારા બનવા કરતાં સારા દેખાવાનું વધારે ગમતું હોય છે. સારા દેખાવું એ સરળ છે, પરંતુ સારા બનવા માટે માણસે કષ્ટ સહન કરવાં પડે છે, ઘસાવું પડે છે.
શા માટે દેવ-દેવીઓને ધરાવવામાં આવે છે શ્રીફળ
કારણ રસપ્રદ
ટૂંકમાં કહેવું હોય તો આજનો કાળ વ્યક્તિત્વ-પૂજાનો છે, નહિ કે ચારિત્ર્ય-પૂજાનો! નારિયેળ આપણને ચારિત્ર્યપૂજાની પ્રેરણા આપે છે. બાહ્ય સૌંદર્યના અભાવથી નાનપ ન અનુભવતાં નારિયેળે પોતાનું આંતર સૌંદર્ય ખીલવી દેખાડ્યું અને એ રીતે 'શ્રીફળ'નું ગૌરવવંતું નામ પ્રાપ્ત કર્યું.
માનવ જો ધારે તો પોતાનું આંતરસૌંદર્ય યથેચ્છ ખીલવી શકે
બાહ્ય સૌંદર્ય મળવું કે ન મળવું એ માનવના હાથની વાત નથી. પરંતુ માનવ જો ધારે તો પોતાનું આંતરસૌંદર્ય યથેચ્છ ખીલવી શકે છે. સોક્રેટિસ, ઇસપ કે અબ્રાહમ લિંકન જેવા લોકોએ પોતાના વિચાર સૌંદર્ય, ગુણ સૌંદર્ય કે જીવન સૌંદર્યથી પોતાની બાહ્ય કુરૂપતાને ભુલાવી દીધી હતી. આંતરસૌંદર્ય પાસે બાહ્યસૌંદર્ય ગૌણ બની જાય છે. માણસની પાસે આંતરસૌંદર્ય નીરખવાની આંખ હોવી જોઇએ.
ઋષિની આઠેય અંગે વક્ર કાયાને જોઇને હસ્યા
મહર્ષિ અષ્ટાવક્ર એક વખત રાજર્ષિ જનકના દરબારમાં ગયા. તેમના દેહની વક્રતા નિહાળી રાજસભાના પંડિતો હસવા લાગ્યા. તેના પ્રત્યુત્તરમાં અષ્ટાવક્ર પણ હસવા લાગ્યા. જનકે પંડિતોને હસવાનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું કે અમે આ ઋષિની આઠેય અંગે વક્ર કાયાને જોઇને હસ્યા.
અષ્ટાવક્રનો આ જવાબ સાંભળી બધા જ પંડિતો બન્યા શરમિંદા
અષ્ટાવક્રને હાસ્યનું કારણ પૂછતાં તેમણે કહ્યું કે જનક જેવા રાજર્ષિની સભામાં વિદ્વાનોને બદલે ચમારોને બેઠેલા જોઇને હું હસવું ખાળી શક્યો નહીં. જનકે પૂછ્યું એ કઇ રીતે ? અષ્ટાવક્રે કહ્યું, 'વિદ્વાનો પાસે આંતર સૌંદર્ય જોવાની આંખ હોય છે જે આમની પાસે નથી. તેમણે મારું ગુણ સૌંદર્ય, વિચાર સૌંદર્ય કે જીવન સૌંદર્ય જોયું જ નહીં. તેમનું ધ્યાન માત્ર મારી બહારની વિરૂપતા તરફ ગયું. કેવળ બહારના ચામડાંને જોવાનું કામ ચમારોનું હોય છે, નહીં કે વિદ્વાનોનું !' અષ્ટાવક્રનો આ જવાબ સાંભળી બધા જ પંડિતો શરમિંદા બની ગયા.
વળી બોર મોઢામાં મૂકતા જ પહેલાં મીઠાશ અને મુલાયમતાનો અનુભવ થાય છે, પરંતુ તેના અંદરના ઠળિયા પાસે કઠોરતા જણાય છે. દુર્જનો બહારથી મીઠા અને મુલાયમ લાગે છે, પરંતુ અંતઃકરણના કઠોર હોય છે. 'કમળ પત્રના આકાર જેવું મુખ, ચંદન જેવી શીતળ વાણી અને ક્રોધથી સંયુક્ત એવું હૃદય- એ ત્રણ ધૂર્તનાં લક્ષણો છે.' એથી ઊલટું, સજ્જનોના સંબંધમાં કે વાણીમાં શરૂઆતમાં નારિયેળની માફક ઉપર ઉપરની કર્કશતા જણાય, પણ લાંબે ગાળે એમના સંબંધો નારિયેળના પાણી જેવા ભાવભીના અને એમની વાણી કોપરા જેવી પુષ્ટિવર્ધક અને આપણા વિકાસની સાધક હોય છે. નારિયેળની જેમ સજ્જનો પણ બાહ્ય દેખાવનો આગ્રહ ન રાખતા હોવાથી તેમને ઓળખવા બહુ જ કઠણ પડે છે. બહારથી સામાન્ય અને કઠોર વર્તનવાળા લાગતા લોકોને ઓળખવામાં આપણે મોટે ભાગે ભૂલ કરી બેસીએ છીએ.