ભારતના ઝૂ રેગ્યુલેટરે મદ્રાસ ક્રોકોડાઇલ બેંક ટ્રસ્ટમાંથી 1,000 મગરોને પશ્ચિમી રાજ્ય ગુજરાતના ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી હતી.
1000 મગરોને ગુજરાત મોકલવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે
હાલના દિવસોમાં દેશના એક મગર સંવર્ધન કેન્દ્રમાંથી 1,931 કિમી દૂર પ્રાણી સંગ્રહાલયમાં 1000 મગરોને મોકલવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. અને આટલા મગર જે પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવે છે એ પણ સામાન્ય નથી. તેના માલિક છે અબજોપતિ મુકેશ અંબાણી. જો કે આ મગરોને અંબાણીના પ્રાણી સંગ્રહાલયમાં રહેવા માટે વધુ સારી જગ્યા મળશે તેવી અપેક્ષા છે. જણાવી દઈએ કે ભારતના ઝૂ રેગ્યુલેટરે દેશના દક્ષિણી રાજ્ય તમિલનાડુમાં મદ્રાસ ક્રોકોડાઇલ બેંક ટ્રસ્ટમાંથી 1,000 મગર જાતિના મગરોને પશ્ચિમી રાજ્ય ગુજરાતના ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી હતી. જો કે આ અંતર્ગત અત્યાર સુધીમાં 300 જેટલા મગરોને ગુજરાતમાં મોકલવામાં આવ્યા છે.
મગરોની વસ્તી જંગલી રીતે વધી
ચેન્નાઈમાં આ મદ્રાસ ક્રોકોડાઈલ બેંક ટ્રસ્ટ ક્રોકોડાઈલ સેન્ટર 8.5 એકરમાં ફેલાયેલું છે છતાં પણ ગુજરાતમાં મગર મોકલવામાં આવી રહ્યા છે. એક અહેવાલ મુજબ કેન્દ્રના અધિકારીઓનું કહેવું છે કે મગરોને ગુજરાત મોકલવામાં આવી રહ્યા છે કારણ કે અહીં મગરની વસ્તી વધી ગઈ છે અને તેમના વતન પર વધુ ભીડ હોવાના કારણે તેમની વચ્ચે ઝઘડા થઈ રહ્યા છે. મદ્રાસ ક્રોકોડાઈલ બેંકમાં મગરોની વસ્તી જંગલી રીતે વધી છે અને એ કારણે તેમને ત્યાં રાખવા મુશ્કેલ સાબિત થઈ રહ્યા છે. સાથે જ એમને જણાવ્યું હતું કે વધુ ભીડને કારણે દર વર્ષે મગરના સેંકડો ઈંડા નાશ પામે છે અને મગરોને ગુજરાત મોકલવાનો નિર્ણય તેમને રહેવા માટે સારી જગ્યા આપવા માટે લેવામાં આવ્યો હતો.
46 વર્ષ જૂનું છે મદ્રાસ ક્રોકોડાઈલ બેંક ટ્રસ્ટ
આમતો ઘણા સમયથી મગરનું સ્થળાંતર અલગ અલગ જગ્યા પર થઈ રહ્યું છે પણ આટલી મોટી સંખ્યામાં મગરોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું હોય તેવી આ પહેલી ઘટના છે. મદ્રાસ ક્રોકોડાઈલ બેંક ટ્રસ્ટ નામના મગરોનું આ સંવર્ધન કેન્દ્ર વર્ષ 1976માં શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યાં ત્રણ સ્વદેશી જાતિના મગરને સંરક્ષણના હેતુથી શરૂ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે શરૂઆતમાં તેમાં લગભગ 40 મગર હતા અને કેન્દ્રનો ઉદ્દેશ્ય તેમની સુરક્ષા કરવાનો હતો જેથી તેમની વસ્તી વધારી શકાય અને કેન્દ્રોમાં તેમની વસ્તી વધી ગયા પછી એમને તેમના કુદરતી આવાસમાં પુનઃસ્થાપિત કરવા માટે જંગલમાં છોડવામાં આવી શકે.
આવી રહેશે સફર
સંવર્ધન કેન્દ્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે મગરને તાપમાન નિયંત્રિત વાહનમાં લાકડાના બોક્સમાં જામનગર મોકલવામાં આવશે અને બંદી કરાયેલા એ મગરોને અઠવાડિયામાં માત્ર એક જ વાર ખવડાવવાની જરૂર છે, તેથી તેઓને મુસાફરી પહેલા ખવડાવવીને જ મોકલવામાં આવશે.
મગરોનું નવું ઘર કેવું છે
ગુજરાતના જામનગર શહેરમાં આવેલ 3 વર્ષ જૂનું પ્રાણી સંગ્રહાલય 425 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. અને આ પ્રાણી સંગ્રહાલયે તેના તાજેતરના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે ત્યાં આવતા મગરોને રહેવા માટે પૂરતી જગ્યા મળશે અને તેમના ખોરાક અને સંભાળમાં કોઈ કમી નહીં રહે. એટલે કે હવે આ 1000 મગર ચેન્નાઈના 8.5 એકરના કેન્દ્ર કરતા અનેક ગણા મોટા વિસ્તારમાં રહેશે.