શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે પણ કંગના રનૌત અને શિવસેના વિવાદમાં ઝુકાવ્યું છે, જો કે તેમણે કંગનાની જગ્યાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેનું સમર્થન કર્યું છે.
શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય આવ્યા ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત અને શિવસેના વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ
અયોધ્યાના સંતો એ કર્યું હતું અભિનેત્રી કંગના રનૌતનું સમર્થન, ઉદ્ધવ ઠાકરેને બહિષ્કારની આપી હતી ચીમકી
ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત અને શિવસેના વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ અને વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય ઉપપ્રમુખ ચંપત રાય ખુલ્લેઆમ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં આવ્યા છે.
થોડા દિવસો પહેલા, જ્યારે BMC એ કંગનાની ઓફિસમાં તોડફોડ કરી હતી ત્યારે તેનો અયોધ્યાના સાધુ સંતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. હનુમાનગઢી સહિતના અનેક મંદિરોના સંતોએ ઉદ્ધવ ઠાકરેને અયોધ્યામાં પ્રવેશતા અટકાવવા અને વિરોધ કરવાની જાહેરાત કરી હતી. જો કે હવે ચંપત રાયે ઉદ્ધવ ઠાકરેને સમર્થન આપ્યું છે.
ચંપત રાયે ઉદ્ધવ ઠાકરેને ટેકો આપ્યો
મીડિયા સાથે વાત કરતા ચંપત રાયે કહ્યું, "કોઈએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને અયોધ્યામાં આવવા નહી દેવાય. હાલ કોની માતાએ એવું દૂધ પીવડાવ્યું છે જે અયોધ્યામાં ઉદ્ધવ ઠાકરેનો સામનો કરી શકે. તમે શું સમજો છો? .. રાજસ્થાનમાં એક ગીત છે કે કોઈની માતાએ જીરું ખાધુ છે જે ગંગાને રોકી શકે છે. તો અહીં અયોધ્યામાં કોણ છે જેમની માતાએ એટલું જીરું ખાધું છે કે તેને એવા બાળકનો જન્મ થયો છે જે ઉદ્ધવ ઠાકરેને અહીં પ્રવેશતા અટકાવી શકે છે. આ બધી નકામી અને અર્થહીન વાતો છે. આ વિવાદ, આ વિષે વધુ બોલવું હવે ઉચિત નથી."
સાધુ સંતોમાં છેડાઈ શકે છે વિગ્રહ
ચંપત રાયનું નિવેદન બહાર આવ્યા બાદ, ફરી એકવાર અયોધ્યામાં સાધુ સંતો વચ્ચે તલવારો ખેંચાઈ શકે છે અને આ તેમને બે ભાગમાં વહેંચી શકે છે. હનુમાન ગઢી મંદિરના પૂજારી મહંત રાજુ દાસે BMC દ્વારા રનૌતની ઓફિસ ધ્વંસ અંગે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે 'ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાનું અયોધ્યામાં સ્વાગત નથી. હવે તે અહીં આવે તો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને અયોધ્યાના સંતોના સખત વિરોધનો સામનો કરવો પડશે. જયારે કે ચંપત રાયે ઉદ્ધવનું સમર્થન કર્યું છે જેથી વિવાદ વધી શકે છે.
સાધુ સંતોએ ઉદ્ધવ સરકાર પર આરોપ લગાવ્યો
અયોધ્યા સંત સમાજના વડા મહંત કન્હૈયા દાસે પણ મહારાષ્ટ્ર સરકાર પર અસામાજિક પ્રવૃત્તિઓમાં લિપ્ત લોકોનું રક્ષણ કરવાનો આરોપ લગાવ્યો હતો અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને ચેતવણી આપી હતી કે તેઓ અયોધ્યાની મુલાકાત ન લે. મહંત કન્હૈયા દાસે કહ્યું, 'ઉદ્ધવ ઠાકરેનું હવે અયોધ્યામાં સ્વાગત નથી. શિવસેના કેમ કંગના રનૌત પર હુમલો કરી રહી છે? દરેક વ્યક્તિ સમજી શકે છે. આ કોઈ રહસ્ય નથી. આજની શિવસેના હવે એ શિવસેના નથી રહી જે કયારેક બાળાસાહેબ ઠાકરેના નેતૃત્વમાં હતી.