ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વલસાડ વિધાનસભા સીટ ઘણી મહત્વની છે. કારણ કે એવું કહેવાય છે કે આ બેઠક પર જે પક્ષનો ઉમેદવાર જીતે છે તે જ પક્ષની સરકાર બને છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વલસાડ બેઠક મહત્વપૂર્ણ
AAPની એન્ટ્રી બાદ ત્રિકોણીય જંગ જોવા મળશે
ભાજપે ભરત પટેલને ત્રીજી વખત કર્યા છે રિપીટ
જે પક્ષનો ઉમેદવાર જીતે છે તે જ પક્ષની બને છે સરકાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પક્ષોએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. આજે આપણે વાત કરીશું વલસાડ વિધાનસભા મતવિસ્તારની. વલસાડ બેઠક અંગે કહેવાય છે કે આ બેઠક પર જે પક્ષનો ઉમેદવાર જીતે છે તે જ પક્ષની સરકાર બને છે. વલસાડ બેઠક પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનું હોમ ટાઉન છે. વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું બાળપણ અહીં વિતાવ્યું હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ પણ અહીં મેળવ્યું હતું. આ સીટ 1990થી ભાજપ પાસે છે. ભાજપના ભરત પટેલે 2012 અને 2017માં આ બેઠક જીતી હતી. 2022માં AAPની એન્ટ્રી બાદ ત્રિકોણીય જંગ શરૂ થયો છે. હાલ તો દરેક પક્ષ જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે આ વખતે જોવાનું રહેશે કે વલસાડના મતદારોના દિલ કોણ જીતશે...
ભાજપે ભરત પટેલને ત્રીજી વખત કર્યા છે રિપીટ
વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વલસાડ વિધાનસભા બેઠક વિશેષ મહત્વ ધરાવે છે. વલસાડ વિધાનસભા જે જીતે તેની ગાંધીનગરમાં સરકાર બને તેવી હાઈપ્રોફાઈલ બેઠક પર ભાજપે ફરી ધારાસભ્ય ભરતભાઇ પટેલને ત્રીજી વખત રિપીટ કર્યા છે. જ્યારે કોંગ્રેસે કમલકુમાર પટેલને ચૂંટણીના મેદાનામાં ઉતાર્યા છે. તો આમ આદમી પાર્ટીએ રાજુ મર્યાને ટિકિટ આપી છે.
જ્ઞાતિ આધારિત સમીકરણો
વલસાડ બેઠક પર જ્ઞાતિ આધારિત સમીકરણોની વાત કરીએ તો અહીં કોળી પટેલ, ઘોડીયા માચી, મુસ્લિમો અને મરાઠી લોકોનું વર્ચસ્વ સૌથી વધુ છે.
રાજકીય સમીકરણ શું છે
વલસાડની બેઠક પર જે પાર્ટીના ઉમેદવાર જીતે છે, તે જ પક્ષની સરકાર બને છે. વર્ષ 1962થી શરૂ થયેલો આ ટ્રેન્ડ 2017 સુધી ચાલતો આવ્યો છે. કોંગ્રેસની વાત કરીએ તો 1985 સુધી વલસાડ બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો. 1990થી વલસાડ બેઠક પર ભાજપનો કબજો છે. 1990થી 2007 સુધી ભાજપના દોલતરાઈ દેસાઈ આ બેઠક પરથી જીતતા આવ્યા છે. 2012 અને 2017માં ભાજપના ઉમેદવાર ભરતભાઈ પટેલની જીત થઈ હતી. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નરેન્દ્ર ટંડેલને ભરત પટેલે હરાવ્યા હતા. તેઓ સતત બે ટર્મથી અહીંના સત્તાનો સંગ્રામ જીતી રહ્યા છે.
વલસાડ બેઠકની ખાસિયતો
વલસાડ હાફૂસ અને ચીકુના બાગાયતી પાકો માટે પણ જાણીતું છે. વલસાડમાં એક તરફ રાસાયણીક ઉદ્યોગ છે તો પશ્ચિમ દિશામાં દરિયા કાંઠે માછીમારોનો વ્યવસાય છે. તો પૂર્વમાં ઔદ્યોગિક વિસ્તારમાં ઘોડીયા આદિવાસી અને મુસ્લિમની વસ્તીનું પ્રભુત્વ છે. ભાજપને અહીં ડેમ આંદોલનના કારણે તાપી લિંક પ્રોજેક્ટ કેન્સલ કરવો પડ્યો હતો.